Jun 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-836

 

અધ્યાય-૧૮૨-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II ततः प्रभाते राजेन्द्र सूर्ये विमलतं गते I भार्गवस्य भयासार्ध पुनर्युध्धमववर्तत II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,બીજે દિવસે પ્રભાતમાં સૂર્યનો સ્વચ્છ પ્રકાશ પડતાં જ મારી સાથે પરશુરામનું યુદ્ધ શરુ થયું.

પરશુરામે રથમાં સ્થિર બેસી,જેમ,મેઘ પર્વત પર વૃષ્ટિ કરે તેમ મારા પર બાણસમૂહની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોથી મારો સારથી ઘવાયો ને જમીન પર ગબડી પડ્યો.ને થોડા જ સમયમાં તેણે પ્રાણ છોડી દીધા.મારા સારથિના મરણથી,હું ઉન્મત્ત જેવો થઇ ગયો ને રામના પર બાણ ફેંકવા લાગ્યો.તે વખતે રામે એક મૃત્યુતુલ્ય બાણ મારા પર છોડ્યું,રુધિરપાન કરનારું તે બાણ મારી છાતીમાં વાગ્યું ને મારી સાથે જ તે જમીન પર ઢળી પડ્યું.

પરશુરામે મને મરણ પામેલો જાણીને મેઘની જેમ મોટી મોટી ગર્જના કરવા લાગ્યા.યુદ્ધ જોવા આવેલા કૌરવો પણ,હું પડ્યો તેથી વ્યથિત થઇ ગયા.એટલામાં જ મેં સૂર્ય જેવી કાંતિવાળા આઠ બ્રાહ્મણો (વસુઓ)ને જોયા તેઓએ મને ઉપાડીને,મારી ચારે બાજુ વીંટળાઈને ઉભા રહ્યા ને તે બ્રાહ્મણોએ મારુ બાંધવોની જેમ,રક્ષણ કર્યું.મને ઉપાડીને તેઓ મને સાવધ કરવા મારા પર શીતળ જળબિંદુઓ છાંટતા હતા,ને મને તેઓ ભય નહિ પામવા કહી રહ્યા હતા.તેઓની વાણીથી હું તૃપ્ત ને બલિષ્ઠ થયો અને એકદમ ઉભો થયો,ત્યારે મેં મારી માતા ગંગાને રથ પર બેઠેલી જોઈ.તેમણે દિવ્ય રૂપ ધારણ કરીને મારા ઘોડાઓના દોર પકડ્યા હતા.પછી,હું તે મારી માતાના ને બ્રાહ્મણરૂપધારી પિતૃઓના ચરણમાં પ્રણામ કરીને રથમાં ચડ્યો.


મારી માતાને મેં પ્રણામ કરીને પાછાં વિદાય કર્યાં ને હું પોતે જ રથ હાંકવા લાગ્યો.ને ફરી,યુદ્ધ ફરી શરુ થયું.મેં એક  મહાબળવાન,હૃદયને ચીરી નાખે તેવું બાણ રામના પર છોડ્યું,કે જે બાણથી પીડાયેલા,રામ ધનુષ્ય છોડી દઈને ઘૂંટણભેર જમીન પર પડયા ને મૂર્છિત થયા.તે રામ પૃથ્વી પર પડતાં જ મેઘમંડળે આકાશને ઘેરી લીધું,પુષ્કળ રુધિરની વર્ષા થવા લાગી,વીજળીની સાથે સેંકડો ઉંબાડિયાં પડવા લાગ્યાં,ને આવા આવા અનેક અતિભયંકર ઉત્પાતો થવા લાગ્યા.તે પછી,પરશુરામ ઉઠ્યા ને ક્રોધાધીન થઈને,ફરી મારા સામે યુદ્ધ કરવા અગ્નિ જેવું બાણ કાઢવા લાગ્યા ત્યારે દયાળુ મહર્ષિઓએ તેમને વાર્યા,એટલે તેમણે તે બાણ પાછું મૂકી દીધું.એટલામાં સૂર્ય અસ્ત થવા આવ્યો અને યુદ્ધ બંધ થયું.આ પ્રમાણે પ્રભાતે શરુ થતું ને સાયંકાળે સમાપ્ત થતા,તે ક્રમથી તે  યુદ્ધ ત્રેવીસ દિવસ સુધી ચાલ્યું.(30)

અધ્યાય-182-સમાપ્ત