Jun 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-837

 

અધ્યાય-૧૮૩-ભીષ્મને પ્રસ્વાપનાસ્ત્રની સ્મૃતિ 


II भीष्म उवाच II ततोऽहं निशि राजेन्द्र प्रणम्य शिरसा तदा I ब्राह्मणानां पितृणां च देवतानां च सर्वशं II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,તે પછી રાત્રે,બ્રાહ્મણોને,પિતૃઓને,દેવ-દેવતાઓને,નિશાચર પ્રાણીઓને અને ક્ષત્રિયોને મસ્તક વડે પ્રણામ કરીને એકાંતમા શયન કરીને મનમાં વિચારવા લાગ્યો કે-'પરશુરામ સાથે મારું આ યુદ્ધ ઘણા દિવસથી ચાલે છે પણ તેમને હું જીતી શકતો નથી,હે દેવતાઓ,જો મારાથી તેમને જીતી શકાય તેમ હો તો મને દર્શન આપો' ત્યારે તે પ્રભાતે જે બ્રાહ્મણો(વસુઓ)એ મારું રક્ષણ કર્યું હતું તેઓએ મને સ્વપ્નમાં દર્શન આપી આશ્વાસન આપ્યું ને કહેવા લાગ્યા કે-

'હે ગંગાપુત્ર,તારે જરા પણ ડરનું કારણ નથી,અમે તારું રક્ષણ કરીએ છીએ કેમ કે તું અમારું જ (વસુ)શરીર છે.તે પરશુરામ તને કોઈ રીતે જીતી શકશે નહિ પરંતુ તું જ સંગ્રામમાં તેમનો પરાજય કરીશ.પ્રજાપતિ વિશ્વકર્માએ નિર્માણ કરેલું પ્રસ્વાપન નામનું અસ્ત્ર,કે જે તું પૂર્વદેહમાં જાણતો હતો,તેનું તને સ્મરણ થશે,ત્યારે તે તારી પાસે આવશે,તેનો તું સારી રીતે પ્રયોગ કરજે.આ અસ્ત્રને પરશુરામ કે દુનિયાનો બીજો કોઈ મનુષ્ય જાણતો નથી.આ અસ્ત્રથી પરશુરામનો નાશ થશે નહિ પણ તે ગાઢ નિંદ્રામાં પડશે,એટલે તારો પાપ સાથે જરા પણ સંબંધ થશે નહિ.આ રીતે રણમાં વિજય મેળવ્યા પછી તું જ તેમને 'સંબોધન'નામના અસ્ત્રથી ઉઠાડજે.રણમાં નિશ્ચેટ સૂનારા ને મરનારા એક સમાન છે.એટલે તારો જય થયો જ ગણાશે.બાકી,આ પરશુરામ કદી મરવાના નથી માટે આ 'પ્રસ્વાપન'અસ્ત્રનો તું કાલે પ્રયોગ કરજે' આમ કહી તે બ્રાહ્મણો અંતર્ધાન થઇ ગયા (19)

અધ્યાય-183-સમાપ્ત