અધ્યાય-૧૮૪-પરસ્પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ
II भीष्म उवाच II ततो रात्रौ व्यतीतायां प्रतिबुद्धोस्मि भारत I ततः संचित्य स्वप्नमवापं हर्षमुत्तमम II १ II
ભીષ્મે કહ્યું-હે ભારત,પછી,રાત્રિ વીતી ગઈ ને હું જાગ્રત થયો ત્યારે સ્વપ્ન સંભારીને બહુ આનંદ પામ્યો.તે દિવસે યુદ્ધ ચાલુ થયું ત્યારે પરશુરામ મારા પર બાણોની વૃષ્ટિ કરી એટલે મેં પણ સામે બાણો છોડીને તેનું નિવારણ કરવા માંડ્યું.ક્રોધે ભરાઈને તેમણે,વજ્ર જેવી શક્તિનો મારી હાંસડી પર પ્રહાર કર્યો,જેના ઘામાંથી ભયંકર રુધિરધારા વહેવા લાગી.એટલે મેં પણ સામે સર્પના જેવું ઝેરી બાણ છોડ્યું કે જે તેમના લલાટમાં પેસી ગયું.તેમણે પણ ક્રોધથી કાળના જેવું ભયંકર મારી છાતી પર છોડ્યું કે જેનાથી હું રુધિરથી તળબોળ થઈને જમીન પર પડ્યો.થોડીવારે ભાનમાં આવીને મેં તેમની છાતી પર શક્તિનો પ્રહાર કર્યો,કે જેનાથી તે રામ અત્યંત વિહવળ થઇ ગયા ને કંપી ઉઠ્યા.
છેવટે,તેમણે અસહનશીલ થઈને સર્વોત્તમ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો.કે જેનો નાશ કરવા માટે મેં પણ સામો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો.આ બંને બ્રહ્માસ્ત્રો અમારી બંનેની વચ્ચે જ એકઠાં થઇ ગયા.ત્યારે આકાશમાં તેજનો સમૂહ પ્રગટ્યો,સર્વ પ્રાણીઓ પીડિત થવા લાગ્યાં,ઋષિઓ-ગાંધર્વો-ને દેવતાઓ સંતાપ કરવા લાગ્યા,પૃથ્વી ચલાયમાન થઇ,દશે દિશાઓમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા.આ રીતે દેવો,અસુરો સાથે સર્વ લોકમાં હાહાકાર થઇ ગયો,ત્યારે લાગ જોઈને મેં પેલા સત્યવાદી બ્રાહ્મણોના વચનને અનુસરીને 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,તો તે જ વખતે,મને તે વિચિત્ર અસ્ત્રની સ્મૃતિ થઇ (23)
અધ્યાય-184-સમાપ્ત