અધ્યાય-૧૮૫-યુદ્ધનિવારણ
II भीष्म उवाच II ततो हलहलाशब्दो दिवि राजन्महानभूत I प्रस्वापं भीष्म मा साक्षिरीति कौरवनन्दन II १ II
ભીષ્મે કહ્યું-હે રાજા,જેવી મેં 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,ત્યારે તુરત જ આકાશમાં 'હે ભીષ્મ,તમે 'પ્રસ્વાપન'અસ્ત્રને પ્રગટ કરશો નહિ' એવો હલહલાટ થઇ રહ્યો.તો પણ મેં અસ્ત્ર મુકવાની યોજના કરી ત્યારે તુરત જ નારદમુનિએ મને આવીને કહ્યું કે-'હે કૌરવ્ય,આ દેવગણો તમને આ અસ્ત્રનો પ્રયોગ કરવા વારી રહ્યા છે,માટે તમે આ શસ્ત્રનો પ્રયોગ કરો નહિ.પરશુરામ,તમારા ગુરુ,તપસ્વી,બ્રહ્મવેત્તા ને બ્રાહ્મણ છે,માટે તેમનું કોઈ રીતે તમે અપમાન કરો નહિ.'
ત્યારે આકાશમાં ઉભેલા મારા રક્ષક આઠ બ્રહ્મવાદીઓ મને કહેવા લાગ્યા કે-'હે ભીષ્મ,તું નારદ કહે છે તેમ કર,એજ કલ્યાણકારી છે' મેં એમને સાંભળીને 'પ્રસ્વાપન'અસ્ત્રનો પ્રયોગ કરવાનું માંડી વાળ્યું.તે જોઈને પરશુરામ હર્ષ પામ્યા.
તે વખતે તેમણે પોતાના પિતા જમદગ્નિ તથા તેમના માન્ય પિતા રૂચિકને જોયા,તેમણે પણ પરશુરામને શાંત પાડતાં કહ્યું કે-
'હે તાત,ભીષ્મ સામે ને ખાસ કરીને ક્ષત્રિયની સામે સંગ્રામ કરવારૂપી આવું સાહસ તું ફરીથી કોઈ રીતે આદરીશ નહિ.બ્રાહ્મણોનું પરમ ધન તો વેદાધ્યયન જ છે.પૂર્વે અમે તને એક પ્રસંગમાં આ વાત કહી હતી.શસ્ત્રગ્રહણ અતિ ઉગ્ર કર્મ છે છતાં તે વિસરી જઈને તેં આ અકાર્ય કર્યું છે.ભીષ્મ સાથે તારું આટલું યુદ્ધ પૂરતું છે,માટે તું હવે સંગ્રામમાંથી ચાલ્યો જા,ને તપશ્ચર્યા કર.આ ભીષ્મને પણ સર્વ દેવોએ યુદ્ધથી અટકાવ્યા છે.તેઓ ભીષ્મને વારંવાર કહે છે કે-'પરશુરામ તારા ગુરુ છે માટે તેમને યુદ્ધથી જીતવા એ ન્યાય નથી.તમે આ રણમાં બ્રાહ્મણનું માન રાખો ને યુદ્ધ બંધ કરો.'
'હે પરશુરામ,આ પ્રમાણે દેવો ભીષ્મને વારે છે માટે તું પણ આ યુદ્ધ બંધ કર.તું જીવતો રહ્યો છે તે જ આનંદની વાત છે,કારણકે ગંગા અને શાંતનુના આ મહાયશસ્વી પુત્ર ભીષ્મ,એ આઠ વસુઓમાંના એક વસુ છે,તેમને તું કેવી રીતે જીતી શકીશ? માટે તું યુદ્ધમાંથી નિવૃત્ત થા.બ્રહ્માએ,ઇન્દ્રના પુત્ર અર્જુનને ભીષ્મના મૃત્યુ માટે યોગ્ય સમય નિર્માણ કરેલો છે'
પરશુરામે પિતૃઓને કહ્યું કે-'હું યુદ્ધમાંથી પાછો ફરું નહિ તેવી મેં પ્રતિજ્ઞા કરી છે અને પૂર્વે હું યુદ્ધમાંથી કદી પાછો ફર્યો નથી માટે તમે ઇચ્છતા હો તો ભીષ્મને યુદ્ધથી અટકાવો,હું કોઈ રીતે પાછો હઠીશ નહિ.
પછી,તે ઋચીક વગેરે મુનિઓ ભીષ્મ પાસે ગયા અને તેમને યુદ્ધમાંથી નિવૃત્ત થવાની અને પરશુરામને માન આપવાનું જણાવ્યું.ત્યારે ભીષ્મએ કહ્યું-'મારી આ લોકમાં એવી પ્રતિજ્ઞા છે કે-મારે પીઠ પર બાણોનો પ્રહાર સહન કરતાં,યુદ્ધમાંથી વિમુખ થઈને કદી પણ પાછા ફરવું નહિ.લોભ,દીનતા,ભય અથવા ધનના કારણે મારે શાશ્વત ધર્મનો ત્યાગ કરવો નહિ,એ નિશ્ચય છે'
પછી,નારદ આદિ સર્વ મુનિઓ,ગંગા આદિ સર્વ રણભૂમિમાં વચ્ચે આવી ઊભાં રહ્યાં ને સર્વે પરશુરામને કહેવા લાગ્યા કે-
'હે ભાર્ગવ,બ્રાહ્મણોનું હૃદય ઉદ્ધત હોતું નથી,માટે તું શાંત થા,યુદ્ધમાંથી નિવૃત્ત થા.તારે હાથે આ ભીષ્મ અવધ્ય છે ને ભીષ્મના હાથે તું અવધ્ય છે' આ પ્રમાણે કહીને તેઓએ પરશુરામની પાસેથી શસ્ત્રો મુકાવી દીધા.
તે વખતે આઠ બ્રહ્મવાદીઓએ આવી ભીષ્મને કહ્યું-'તું ગુરુ રામની પાસે જા અને આ લોકનું હિત કર'
ત્યારે પરશુરામને અટકેલા જોઈને ભીષ્મ,પરશુરામની પાસે જઈને તેમને પ્રણામ કર્યા.પરશુરામે ભીષ્મને કહ્યું-હે ભીષ્મ,આ પૃથ્વીમાં ફરનારા ક્ષત્રિયોમાં તારા જેવો બીજો કોઈ યોદ્ધો મેં જોયો નથી.તેં મને યુદ્ધમાં પ્રસન્ન કર્યો છે,હવે તું જા'
તે પછી,પરશુરામે તે મહાત્માઓની અને ભીષ્મની વચ્ચે અંબાને બોલાવી તેને દીન વાણીથી કહેવા લાગ્યા (37)
અધ્યાય-185-સમાપ્ત