અધ્યાય-૧૧૩-દશમો દિવસ (ચાલુ)ભીમસેનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ भगदत्तः कृपः शल्यः कृतवर्मा तथैव च I विंदानुविंदावावन्त्यौ सैन्यवश्व जयद्रथः ॥१॥
સંજયે કહ્યું-ભગદત્ત,કૃપાચાર્ય,શલ્ય,કૃતવર્મા,અવંતીકુમારો,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ અને દુર્મર્ષણ આદિ તમારા દશ યોદ્ધાઓ ભીમસેન સામે લડવા લાગ્યા.અને તેઓ તીક્ષ્ણ બાણોથી ભીમસેન પર પ્રહાર કરવા લાગ્યા.સામે ભીમસેને પણ એ સર્વ મહારથીઓ પર પૃથક પૃથક પ્રહાર કરવા માંડ્યો.ભીમે સાત બાણોથી શલ્યને વીંધી નાખ્યો ને કૃતવર્માને આઠ બાણોથી ઘાયલ કર્યો.પછી કૃપાચાર્યનું ધનુષ્ય છેદી નાખ્યું ત્યારે તેમણે બીજું ધનુષ્ય લઈને ભીમને વીંધવા લાગ્યા.ત્યારે કોપેલા ભીમે પણ કૃપાચાર્ય પર બાણોનો મારો કર્યો.વળી,જયદ્રથના રથના ઘોડાઓ ને સારથિને મારી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે તે જયદ્રથ એકદમ ચિત્રસેનના રથ પર ચડી ગયો.તે રણસંગ્રામમાં ભીમે અદભુત પરાક્રમ કર્યું હતું.
ભીમ એકલો હતો,છતાં પણ સર્વ મહારથીઓને વીંધીને તેમને ખાળી રહ્યો હતો.જયદ્રથ રથ વગરનો થયો તે શલ્યથી સહન થયું નહિ અને તેણે 'ઉભો રહે ઉભો રહે' એમ કહીને ભીમસેન પર બાણોનું સંધાન કરી તેને વીંધવા લાગ્યો.શલ્યને મદદ કરવા બાકીના મહારથીઓ પણ ત્યાં આવી એકી સાથે ભીમ પર મારો ચલાવવા લાગ્યા.આવી રીતે તે સર્વ મહારથીઓ ભીમને પીડી રહ્યા હતા,છતાં પણ ભીમ તેઓને ઘાસ સમાન તુચ્છ ગણીને,લેશમાત્ર પણ નહિ ગભરાઈને રણસંગ્રામમાં ઘૂમતો હતો.
સામે આવતી,ભગદત્તે ફેંકેલી શક્તિને તેણે તોડી પાડી,જયદ્રથના તોમરના,કૃપાચાર્યના શત્ઘ્ની (તોપ જેવા)શસ્ત્રના અને બીજા મહારથીઓને બાણોના પણ કકડા કરી નાખી સામે તે સર્વેના પર ત્રણત્રણ બાણોનો પ્રહાર કર્યો.
એ પ્રમાણે ચાલતા સંગ્રામમાં ભીમને યુદ્ધ કરતો જોઈને,અર્જુન ત્યાં આવી પહોંચ્યો.બંને ભાઈઓને સાથે મળેલા જોઈને તમારા સર્વ મહારથીઓએ વિજયની આશા છોડી દીધી.ભીમનું પ્રિય કરવાની ઈચ્છાથી અર્જુને બાણોની વર્ષા કરીને તે સર્વ મહારથીઓને પીડવા માંડ્યા.એ જોઈને દુર્યોધને અર્જુન અને ભીમનો વધ કરવા સુશર્માને આજ્ઞા કરી.દુર્યોધનની આજ્ઞાથી સુશર્મા,ભીમ અને અર્જુનની સામે યુદ્ધ કરવા ધસ્યો ને હજારો રથો વડે તે ભીમ અને અર્જુનને ઘેરી યુદ્ધ કરવા લાગ્યો (53)
અધ્યાય-113-સમાપ્ત