Jul 9, 2020

ભાગવત રહસ્ય -૩૨૭

જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે,અને ઈશ્વર તેના પર કૃપા કરે છે.નિઃસાધન બની જે ભક્તિ કરે તે શ્રેષ્ઠ છે.નિઃસાધન બનવું એટલે –સાધન બધાં કરવાના પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી-એમ માનવું તે.એવા નિરાભિમાની થવાનું છે.પણ ઘણી વખત એવું થાય છે કે –મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે –એટલે તે પડે છે.પડવાનું નહિ પણ દીન બનીને રડવાનું છે.

Jul 8, 2020

ભાગવત રહસ્ય -૩૨૬

દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાંને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,દૂધ દોહવામાં આવે છે,પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાંને છોડે તે શ્રીકૃષ્ણ.વાછરડાનો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ.પરમાત્માની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્માને બંધનમાંથી છોડાવે છે.શાસ્ત્ર માં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.સમય આવ્યે (ક્રમથી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવને ક્રમ પ્રમાણે નહિ,પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે.

Jul 7, 2020

ભાગવત રહસ્ય -૩૨૫

શંકરાચાર્યજીએ કહ્યું છે-કે- પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી,તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી,અને કદાચ થાય તો દોષ તેના માથે જતો નથી.પણ પરમાત્માનો સાક્ષાત્કાર જેને નથી થયો,તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.ચોરી કરવી જોઈએ નહિ તેવી આજ્ઞા શાસ્ત્ર આપે છે.પરમાત્મા જેને અપનાવે છે-પછી આખું જગત તેનું -જ – થઇ જાય છે.પછી તે ચોરી કરતો નથી.જે પરમાત્મા (આત્મા)ને ઓળખે છે,જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે,તે જ્ઞાની માટે શાસ્ત્ર નથી,તે શાસ્ત્ર-વિધિ-નિષેધથી પર થઇ જાય છે. શાસ્ત્ર પશુ માટે પણ નથી,શાસ્ત્ર મનુષ્ય માટે છે.