Jul 20, 2020

ભાગવત રહસ્ય -૩૩૭

મનનો નિરોધ ત્યારે થાય કે-મનમાં જગતના કોઈ પણ જીવ તરફ વિરોધ ના હોય.
મનના નિરોધમાં વિઘ્ન કરનાર વિરોધ અને વાસના છે.જગતના ભોગપદાર્થો ભોગવવાની વાસના અને વિરોધ જાય તો આપોઆપ નિરોધ થાય,અને અનાયાસે જીવને મુક્તિ મળે. શ્રીકૃષ્ણલીલામાં અનાયાસે મન નો નિરોધ થાય છે.જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવતસ્મૃ-તિ (ઈશ્વરમાં આસક્તિ) એ નિરોધ છે.પ્રભુના હૃદયમાં જઈ ને રહેવું-કે પ્રભુને હૃદયમાં રાખવા તે નિરોધ છે.

Jul 19, 2020

ભાગવત રહસ્ય -૩૩૬

નિંદ્રામાં મન કોઈ વિષય તરફ જતું નથી,એટલે કે તે નિર્વિષય બને છે,અને જગત ભુલાય છે.અને જેથી નિંદ્રામાં સુખ અનુભવાય છે. સમાધિમાં પણ જગત ભુલાય છે પણ નિંદ્રા ને સમાધિમાં તફાવત છે.સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે,ચિત્તવૃત્તિ નો નિરોધ થાય છે. અને મન પૂર્ણપણે નિર્વિષય થઇ જાય છે, જયારે નિંદ્રામાં મન પૂર્ણપણે નિર્વિષય થતું નથી.

Jul 18, 2020

ભાગવત રહસ્ય -૩૩૫

જગત રહેવાનું,જગતના વિષયો રહેવાના,શરીર રહેવાનું અને મન પણ રહેવાનું.
એટલે મહાત્માઓ કહે છે-કે-“જગતને છોડી ને ક્યાં જશો ? જગતમાં રહો, પણ જગત ને ભગવદ-દૃષ્ટિથી જુઓ.” પણ અજ્ઞાનીઓ જગતને ભોગ-દૃષ્ટિથી જુએ છે,લૌકિક (જગતના) નામરૂપમાં આસક્તિ તે માયા અને અલૌકિક (ઈશ્વરના) નામરૂપમાં આસક્તિ તે ભક્તિ.જગતમાં ભગવદ-ભાવના રાખ્યા વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.દશમ સ્કંધમાં નિરોધ લીલા છે.સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે.