May 5, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-808
અધ્યાય-૧૫૩-દુર્યોધનના સૈન્યની તૈયારી
II जनमेजय उवाच II युधिष्ठिरं सहानिकमुपयांतं युयुत्सया I सन्निविष्टं कुरुक्षेत्रे वासुदेवेन पालितम् II १ II
જન્મેજયે કહ્યું-'હે વૈશંપાયન મુનિ,યુદ્ધ કરવાની ઈચ્છાથી યુધિષ્ઠિર સૈન્ય સહિત,કુરુક્ષેત્રમાં આવ્યા,કે જેમનું શ્રીકૃષ્ણ રક્ષણ કરે છે,ને કેકયો,યાદવો ને બીજા સેંકડો રાજાઓ તેમનું રક્ષણ કરે છે,તે સાંભળી દુર્યોધને કયા કાર્યનો આરંભ કર્યો?'
વૈશંપાયને કહ્યું-'શ્રીકૃષ્ણ પાછા ગયા પછી,દુર્યોધને,કર્ણ-દુઃશાસન ને શકુનિને કહ્યું કે-'કૃષ્ણ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના જ પાંડવો પાસે ગયા છે,તેથી ક્રોધે ભરાયેલા તે અવશ્ય પાંડવોના ક્રોધાગ્નિને જાગ્રત કરશે એમાં સંશય નથી.પૂર્વે મેં પાંડવોને ઠગ્યા છે અને વિરાટ તથા દ્રુપદે પણ મારી સામે વેર બાંધેલું છે,એટલે વાસુદેવને અનુસરનારા તે બંને સેનાના નાયકો થશે.એટલે તમે યુદ્ધ સંબંધી સર્વ તૈયારીઓ કરાવો.અને આજે ઢંઢેરો પિટાવો કે 'કાલે યુદ્ધ માટે નીકળવાનું છે' આ કામમાં વિલંબ કરો નહિ.
May 4, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-807
અધ્યાય-૧૫૨-પાંડવોની છાવણી
II वैशंपायन उवाच II ततो देशे समे स्निग्धे प्रभूतयवसेधने I निवेशयाभास सेनां राजा युधिष्ठिरः II १ II
વૈશંપાયને કહ્યું-તે પછી,યુધિષ્ઠિર રાજાએ રસાળ અને પુષ્કળ ઘાસ તથા લાકડાં મળે એવા સપાટ પ્રદેશમાં પોતાની સેનાનો પડાવ નાખ્યો.ને તેમાં સર્વેએ નિવાસ કર્યો.ત્યાં વાહનોને વિસામો આપી અને પોતે પણ વિશ્રાંતિ લઈને સ્વસ્થ થયા પછી યુધિષ્ઠિર ત્યાંથી ઉઠી અને રાજાઓથી વીંટાઇને સર્વેને મળવા આગળ ચાલવા લાગ્યા.તે વખતે અર્જુન અને શ્રીકૃષ્ણ,ઠેકઠેકાણે રક્ષણને માટે બેસાડેલાં દુર્યોધનનાં સેંકડો થાણાંઓને નસાડી ચોતરફ ફરવા લાગ્યા.ને પછી શ્રીકૃષ્ણે ખાઈ ખોદાવી અને ઉત્તમ રખવાળી કરવાની આજ્ઞા કરીને સૈનિકોનાં થાણાં બેસાડ્યાં .
May 3, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-806
સૈન્યનિર્યાણ પર્વ
અધ્યાય-૧૫૧-સેનાપતિની નિમણુંક અને કુરુક્ષેત્રમાં પ્રવેશ
II वैशंपायन उवाच II जनार्दनवचः श्रुत्वा धर्मराजो युधिष्ठिरः I भ्रात्रुनुवाच धर्मात्मा समक्षं केशवस्य ह् II १ II
વૈશંપાયને કહ્યું-ધર્માત્મા ધર્મરાજ યુધિષ્ઠિર,શ્રીકૃષ્ણનું કહેવું સાંભળીને તેમની સમક્ષમાં જ,પોતાના ભાઈઓને કહેવા લાગ્યા કે-
કૌરવોની સભામાં જે જે થયું તે તમે સાંભળ્યું ને ધ્યાનમાં લીધું છે માટે તમે હવે આપણી પાસે એકત્ર થયેલી સાત અક્ષૌહિણી સેનાના વિભાગ પાડો.તેઓના વિખ્યાત સાત અધિપતિઓના નામ તમે સાંભળો.દ્રુપદરાજા,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સાત્યકિ,
ચેકિતાન અને ભીમસેન.આ સાત રણમાં દેહ પડે ત્યાં સુધી યુદ્ધ કરે તેવા વીર સેનાપતિઓ છે.આ સર્વ સેનાને દોરનારો,સેનાના વિભાગને સમજનારો અને બાણરૂપી જ્વાળાવાળા અગ્નિતુલ્ય ભીષ્મને રણમાં સહન કરે તેવો,આપણામાં મુખ્ય સેનાપતિ થવા કોણ સમર્થ છે? એ સંબંધમાં સહદેવ,તું સહુથી પ્રથમ તારો મત કહે.(8)