Nov 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-968

 

અધ્યાય-૮૫-સાતમો દિવસ (ચાલુ) અર્જુનનું પરાક્રમ 

॥ संजय उवाच ॥ स तायमान्स्तु शरैर्धनंजयः पदाहतो नागइव श्वसन बली I बाणेन बाणेन महारथां विच्छेद चापानिरणे प्रसह्य ॥१॥ 

સંજયે કહ્યું-જયારે તમારા સૈનિકોએ બાણોનો પ્રહાર કરવા મંડ્યો,ત્યારે બળવાન અર્જુને પાદપ્રહારને પામેલા સર્પની જેમ ફૂંફાડો મારીને,એકેક બાણ મૂકીને સર્વ મહારથીઓને ધનુષ્યોને એકદમ કાપી નાંખ્યાં ને તેઓનો એક સાથે જ નાશ કરી નાખવાનો નિશ્ચય કરીને તેઓને બાણો વડે વીંધવા લાગ્યો.અર્જુનથી મરાયેલા રાજાઓના મસ્તકો રણભૂમિ પર પડવા લાગ્યા.ત્યારે ત્રિગર્ત રાજ સુશર્મા,પોતાના બત્રીસ પૃષ્ઠરક્ષકોથી ઘેરાઈ ત્યાં આવી પહોંચ્યો ને તે સર્વેએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરી.

ત્યારે ક્રોધાયમાન થયેલા અર્જુને સાઠ બાણો છોડીને તે પૃષ્ઠરક્ષકોને હણી નાખ્યા.ને આગળ વધવા લાગ્યો.

Oct 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-967

 

અધ્યાય-૮૪-સાતમો દિવસ (ચાલુ) સુશર્મા અને અર્જુનનો સમાગમ 


॥ संजय उवाच ॥ ततो युधिष्ठिरो राज मध्यं प्राप्ते दिवाकरे I श्रुतयुषममिप्रेक्ष्य प्रेषयामास वाजिनः ॥१॥ 

સંજયે કહ્યું-સૂર્યનારાયણ જયારે આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરે શ્રુતાયુષને જોઈને તેના તરફ પોતાના ઘોડાઓને હાંક્યા.ને તીક્ષ્ણ નવ બાણોથી પ્રહાર કરતા યુધિષ્ઠિર તેના તરફ ધસ્યા.સામે શ્રુતાયુષે પણ તેમના બાણોનું નિવારણ કરીને સાત બાણોથી યુધિષ્ઠિર પર પ્રહાર કર્યો કે જે બાણોએ યુધિષ્ઠિરનાં કવચોને તોડી નાખી તેમને લોહીલુહાણ કરી દીધા.

ક્રોધાયમાન થયેલા યુધિષ્ઠિરે વરાહના કાન જેવા આકારવાળા બાણથી તેના હૃદય પર પ્રહાર કર્યો ને બીજા બાણથી તેની ધ્વજાને તોડી નાખી.શ્રુતાયુષે સામે બીજાં સાત બાણ મૂકી યુધિષ્ઠિરને વીંધવા માંડ્યું.

Oct 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-966

 

અધ્યાય-૮૩-સાતમો દિવસ (ચાલુ) દ્વંદ્વયુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ बहूनि हि विचित्राणि द्वैरथानिस्म संजय I पांडुनां मामकै: सार्धमश्रोषं तव जल्पतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,'પાંડવોનાં મારા પુત્રો સાથે વિચિત્ર એવાં ઘણાં દ્વંદ્વયુદ્ધો થયાં' એમ કહેતા તારી પાસેથી મેં સાંભળ્યું.પણ મારા પક્ષના યોદ્ધાઓમાં કોઈને આનંદ થયો-એમ તો તું કહેતો જ નથી અને પાંડવોને હંમેશા આનંદ પામેલા અને અપરાજિત કહ્યા કરે છે.તું મારા પુત્રોને તો સંગ્રામમાં હારેલા,ઉદાસીન મતવાલા અને નિસ્તેજ જ કહ્યા કરે છે,એનું કારણ પ્રારબ્ધ જ છે.

Oct 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-965

 

અધ્યાય-૮૨-સાતમો દિવસ (ચાલુ) દ્વૈરથ યુદ્ધ 


॥ संजय उवाच ॥ तथा प्रवृत्ते संग्रामे निवृत्ते च सुशर्मणि I भग्नेषु चापि वीरेषु पाण्डवेन महात्मना ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો અને સુશર્મા જયારે પાછો હટ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ત્વરાથી ધસી ગયા.અર્જુનનું પરાક્રમ જોઈને દુર્યોધને સર્વ રાજાઓને અને સુશર્માને,ભીષ્મનું રક્ષણ કરવાનું કહ્યું.એટલે તે સર્વ રાજાઓ ભીષ્મની પાછળ ગયા.સામે ધસી આવતા અર્જુનને જોઈને તમારા સર્વ સૈન્યમાં તુમુલ શબ્દ થયો.તે જ રીતે ભીષ્મને ધસી આવતા જોઈને પાંડવ સૈન્યમાં પણ અનેક પોકારો થયા.અર્જુન અને ભીષ્મ વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.

Oct 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-964

 

પરમ દુર્જય એવો શત્રુઓનો મંડળવ્યૂહ જોઈને યુધિષ્ઠિરે વજ્રવ્યૂહ રચ્યો કે જે મુજબ સર્વ સૈન્ય ગોઠવાઈ રહ્યું.પોતપોતાના સ્થાન પર ઉભેલા સર્વ રથીઓ,ઘોડેસ્વારો સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા.ને પછી યુદ્ધ માટે નીકળી પડ્યા.

દ્રોણાચાર્ય વિરાટરાજા સામે,અશ્વત્થામા શિખંડી સામે,દુર્યોધન ધૃષ્ટદ્યુમ્ન સામે,નકુલ-સહદેવ મામા શલ્ય સામે આવી ગયા.

વીંદ-અનુવીન્દ ઈરાવાન સામે અને બાકી રહેલા સર્વ રાજાઓ અર્જુન સામે લડવા લાગ્યા.રણસંગ્રામમાં આગળ વધતા હૃદિકના પુત્રને,ચિત્રસેનને,વિકર્ણને તથા દુર્મુશણને ભીમસેને અટકાવી દીધા.અભિમન્યુ તમારા પુત્રો સામે લડતો હતો.

Oct 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-963

 

અધ્યાય-૮૧-સાતમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ अथात्मजं तव पुनरगांगेयोध्यानमास्थितम् I अब्रवीभ्दरतश्रेष्ठः संप्रहर्षकरं वचः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,વિચારમાં પડી ગયેલા તમારા પુત્ર દુર્યોધનને,ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહ હર્ષ ઉપજાવનારાં વચનો કહેવા લાગ્યા-'હું,દ્રોણ,શલ્ય,કૃતવર્મા,અશ્વત્થામા,વિકર્ણ,ભગદત્ત,શકુની,વીંદ-અનુવીંદ,બૃહદબલ,ચિત્રસેન,વીવિંશતિ,બાહલીક દેશનો રાજા,ત્રિગર્ત દેશનો રાજા,મગધ દેશનો રાજા અને અનેક સુંદર રથો,ઘોડાઓ,હાથીઓ,હથિયારો,પાળાઓ તારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે.વળી,આ સર્વ રણમાં દેવોને પણ જીતી લેવા સમર્થ છે એમ હું માનું છું.હે દુર્યોધન,મારે તને હંમેશાં હિતવચન જ કહેવું જોઈએ કે દેવોથી પણ તે પાંડવો જીતી શકાય તેમ નથી કેમકે તેમને શ્રીકૃષ્ણની સહાય છે.છતાં,હું તારા કહ્યા પ્રમાણે જ કરીશ.હું મરણીયો થઈને લડીશ ને પાંડવોને રણસંગ્રામમાં જીતીશ કે કદાચ તેઓ મને જીતે' આમ કહી ભીષ્મે દુર્યોધનને ઘા રૂઝાવી દેનાર સુંદર ઔષધિ આપી,તેનાથી તે એકદમ શસ્ત્રોની પીડાથી રહિત થયો.