Oct 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-963

 

અધ્યાય-૮૧-સાતમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ अथात्मजं तव पुनरगांगेयोध्यानमास्थितम् I अब्रवीभ्दरतश्रेष्ठः संप्रहर्षकरं वचः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,વિચારમાં પડી ગયેલા તમારા પુત્ર દુર્યોધનને,ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહ હર્ષ ઉપજાવનારાં વચનો કહેવા લાગ્યા-'હું,દ્રોણ,શલ્ય,કૃતવર્મા,અશ્વત્થામા,વિકર્ણ,ભગદત્ત,શકુની,વીંદ-અનુવીંદ,બૃહદબલ,ચિત્રસેન,વીવિંશતિ,બાહલીક દેશનો રાજા,ત્રિગર્ત દેશનો રાજા,મગધ દેશનો રાજા અને અનેક સુંદર રથો,ઘોડાઓ,હાથીઓ,હથિયારો,પાળાઓ તારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે.વળી,આ સર્વ રણમાં દેવોને પણ જીતી લેવા સમર્થ છે એમ હું માનું છું.હે દુર્યોધન,મારે તને હંમેશાં હિતવચન જ કહેવું જોઈએ કે દેવોથી પણ તે પાંડવો જીતી શકાય તેમ નથી કેમકે તેમને શ્રીકૃષ્ણની સહાય છે.છતાં,હું તારા કહ્યા પ્રમાણે જ કરીશ.હું મરણીયો થઈને લડીશ ને પાંડવોને રણસંગ્રામમાં જીતીશ કે કદાચ તેઓ મને જીતે' આમ કહી ભીષ્મે દુર્યોધનને ઘા રૂઝાવી દેનાર સુંદર ઔષધિ આપી,તેનાથી તે એકદમ શસ્ત્રોની પીડાથી રહિત થયો.

Oct 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-962

 

અધ્યાય-૮૦-દુર્યોધન અને ભીષ્મનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ शूरा महाराज परस्पर कृतागस: I जग्मुः स्वशिबिराण्येव रुधिरेण समुक्षिताः ॥१॥ 

સંજયે કહ્યું-હે મહારાજ,એકબીજા પર વૈર રાખતા અને લોહીથી છંટાયેલા એ શૂરા યોદ્ધાઓ પોતપોતાની છાવણી તરફ ગયા.આખી રાત્રિ વિશ્રાંતિ લઇ,પરસ્પર સન્માન કરી અને યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલા તેઓ દેખાયા.ત્યાર પછી,ચિંતાથી યુક્ત થયેલો તમારો પુત્ર દુર્યોધન ભીષ્મપિતામહ પાસે જઈને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,રૌદ્ર અને ભયંકર એવાં આપણાં સૈન્યો દૃઢ વ્યૂહમાં રચેલાં અને મોટી ધ્વજાવાળાં  છે છતાં પાંડવોના સાહસી યોદ્ધાઓ,વ્યૂહરચનાને તોડીને આપણને મારી જાય છે.વળી તેઓએ આપણને મોહિત કરીને વજ્રસમાન મકરવ્યૂહ પણ ભેદી નાખ્યો ને ભીમસેને આપણા સૈન્યમાં પ્રવેશ કરીને કાળદંડ સમાન ઘોર બાણોથી મને માર્યો છે,તેના ક્રોધથી હું ભયભીત થયો છું,ને મને શાંતિ મળતી નથી.માટે હે પિતામહ,તમારા પ્રસાદથી જ હું જય મેળવવાની ને પાંડવોના નાશની ઈચ્છા રાખું છું'

Oct 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-961

 

અધ્યાય-૭૯-છઠ્ઠો દિવસ સમાપ્ત 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राज लोहितायति भास्करे I संग्राममरभसो भीमं हन्तुकामोभ्यधावत ॥१॥ 

સંજયે કહ્યું-તે પછી,સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોવાથી રક્ત વર્ણનો થવા લાગ્યો ત્યારે દુર્યોધન,ભીમને મારવાની ઈચ્છાથી ઉતાવળો થઈને દોડ્યો.પોતાના કટ્ટર દુશ્મન દુર્યોધનને આવતો જોઈને ભીમ તેને ક્રોધ પૂર્વક કહેવા લાગ્યો કે-'વર્ષોથી જે સમય ઇચ્છેલો તે આજે આવી પહોંચ્યો છે.આજે હું તને મારીને માતા કુંતીના ક્લેશને ને અમારા વનવાસના ને દ્રૌપદીના દુઃખોને દૂર કરીશ.પૂર્વે કર્ણના ને શકુનિના મત પર આધાર રાખીને ને પાંડવોને હિસાબમાં નહિ ગણીને તેં તારી ઈચ્છા મુજબ વર્તન કરીને,શ્રીકૃષ્ણનું પણ અપમાન કર્યું છે.હું આજે તારા કુટુંબ સહીત તારો નાશ કરીશ ને તારાં પાપોનો બદલો વાળીશ'

Oct 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-960

 

અધ્યાય-૭૮-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-ભીમનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा मोहत्प्रत्यागतस्त I शरवर्षे: पुनर्भीमं प्रत्यवारयद्च्युतम् ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી દુર્યોધનરાજા,જયારે મૂર્છામાંથી પાછો ફર્યો ત્યારે ભીમસેન સામે ધસી ગયો અને બાણોનો વરસાદ વરસાવતો તેને આગળ વધતો અટકાવવા લાગ્યો.હે રાજન,તમારા બીજા પુત્રો પણ એકત્ર થઈને ભીમસેન સામે યુદ્ધ કરવા સજ્જ થયા.તે વેળા,ભીમસેન પણ પોતાના રથ પાસે આવીને રથ પર ચડ્યો ને પોતાનું દૃઢ ધનુષ્ય લઈને તમારા પુત્રોને વીંધવા લાગ્યો.સામે દુર્યોધને તીક્ષ્ણ નારાચ બાણથી દુર્યોધનના મર્મસ્થાનમાં સખત પ્રહાર કર્યો.પછી,ક્રોધથી લાલ થયેલી આંખોવાળા ભીમે ઘણા વેગપૂર્વક ધનુષ્ય ખેંચીને દુર્યોધનને ત્રણ બાણો વડે છાતીમાં ને બે ભુજાઓ પર પ્રહાર કર્યો.

Oct 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-959

 

દ્રોણાચાર્યથી વીંધાયેલો દ્રુપદરાજા,પોતાનું પૂર્વવૈર યાદ કરીને યુદ્ધમાંથી ખસી ગયો,ત્યારે તે જીતથી દ્રોણે શંખનાદ કર્યો.

ને પછી મૂર્છિત પડેલા તમારા પુત્રો પાસે આવીને તેમણે પ્રજ્ઞાસ્ત્રનો પ્રયોગ કરીને મોહનાસ્ત્રનો નાશ કર્યો એટલે તમારા પુત્રો ભાનમાં આવી ગયા.ને ફરીથી ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન સામે યુદ્ધ કરવા ધસી ગયા.મધ્યાહ્નન વખતે યુધિષ્ઠિરે પોતાના સૈનિકોને બોલાવીને અભિમન્યુ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન વગેરેના ખબર લાવવાનું કહ્યું,એટલે સૈનિકો ત્યાંથી ચાલી નીકળ્યા.

કેકયો,દ્રૌપદીના પાંચ પુત્રો,ધૃષ્ટકેતુ વગેરે યોદ્ધાઓએ અભિમન્યુને આગળ કરીને 'સુચીમુખ' (સોયની આકૃતિનો) નામનો વ્યૂહ રચ્યો ને તેથી તેમણે કૌરવોના સૈન્યને ભેદી નાખ્યું.ભીમ ને ધૃષ્ટદ્યુમ્નના મારથી ને ભયથી આવિષ્ટ થયેલી કૌરવોને સેના 

આ બાર મહાધનુર્ધરોને અટકાવી શકી નહિ.ને તેમને આવેલા જોઈને ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન આનંદમાં આવી ગયા.

Oct 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-958

 

અધ્યાય-૭૭-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-દ્રોણ પરાક્રમ 


॥ संजय उवाच ॥ आत्मदोषात्वया राजन प्राप्तं व्यसनमिदशः I नहि दुर्योधनस्तानि पश्यते भरतर्षंम ॥१॥ 

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ રાજા,તમે તમારા દોષથી જ આવું સંકટ પ્રાપ્ત કરેલું છે.અધર્મ કરવાથી જે દોષો પ્રાપ્ત થાય છે તે તમે જાણતા હતા,દુર્યોધન જાણતો ન હતો.તમારા દોષથી જ જુગાર રમાયો અને તમારા દોષથી જ પાંડવો સામે યુદ્ધનો પ્રારંભ થયો છે,તમે પોતે દોષ કર્યો છે તો હવે તેનું ફળ પણ તમે જ ભોગવો.કારણકે પોતે કરેલાં કર્મો પોતાને જ આ લોકમાં તથા મરણ પછી પરલોકમાં ભોગવવાં પડે છે.માટે તમને આ યોગ્ય જ ફળ મળેલું છે.ને મોટું સંકટ આવી પડ્યું છે.તો પણ હવે સ્થિર થાઓ અને મારી પાસેથી યુદ્ધ શી રીતે ચાલ્યું તેનું વૃતાંત સાંભળો.