Oct 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1287

વસિષ્ઠ કહે છે કે-હે મહારાજા દશરથ,હવે હું જે કહું છું તે પ્રમાણે આપ કરો.કથાને અંતે બ્રાહ્મણ વગેરેનું
પૂજન કરવું જોઈએ માટે તમે આજે સર્વ બ્રાહ્મણોની કામનાને પૂર્ણ કરો.તેમ કરવાથી,આ વેદના અર્થનું
(આ મહા રામાયણનું) શ્રવણ કરવાના અનુષ્ઠાનના શાશ્વત ફળને તમે પ્રાપ્ત થશો.
વસિષ્ઠનાં વચન સાંભળી,દશરથે વેદવાદી એવા ઉત્તમ દશ હજાર બ્રાહ્મણોને દૂત દ્વારા બોલાવી,
તેમનું યથાવિધિ પૂજન કરી,ભોજન જમાડી તે સર્વની ઈચ્છા પ્રમાણે દાન-દક્ષિણા આપ્યાં.
વળી તેમણે,પિતૃઓનું,દેવતાઓનું,રાજાઓનું,નગરવાસીઓનું,અમાત્યોનું,તથા દીન,અંધ,
કૃપણ-આદિ મનુષ્યોનું પણ તે જ પ્રમાણે પૂજન-આદિ કર્યું.ને પછી મોટો ઉત્સવ કર્યો.

Oct 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1286

(૨૧૪) ઉપદેશનાં વખાણ
વાલ્મીકિ કહે છે કે-વસિષ્ઠજી ઉપર પ્રમાણે કહેતા હતા તેવામાં,આકાશમાં દેવતાઓનો દુંદુભિનાદ થવા લાગ્યો
અને પૃથ્વી પર પુષ્પ-વૃષ્ટિ થવા લાગી.પછી પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે સભાના સર્વ સભ્યોએ
તે દિવ્ય પુષ્પો લીધાં અને વસિષ્ઠના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.

દશરથ રાજા કહે છે કે-અહો! અમે લાંબા કાળ સુધી આ સંસાર-રૂપી જંગલમાં ભમવાથી બહુ થાકી ગયા હતા,
પરંતુ આપના ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ,ને વિશ્રાંતિ પામ્યા છીએ.
અનેક દૃષ્ટાંતો વડે,આપે અમારી દૃશ્યની ભ્રાંતિ દુર કરી છે.

Oct 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1285

જે સત્ય એવું ચિદાકાશ છે,તે જ સૃષ્ટિ-પ્રલય-રૂપ છે,તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાય,ત્યાં સુધી
તે દુઃખ આપે છે પણ જયારે તેનું વાસ્તવિક સ્વરૂપ ઓળખવામાં આવે છે ત્યારે પરમ શાંતિનો લાભ થાય છે.
એ ચિદાકાશ જ દેવઘટરૂપ છે,પટરૂપ છે,શૈલરૂપ છે,સ્ફોટરૂપ છે,તટરૂપ છે ને વટરૂપ પણ છે,
તૃણ,અગ્નિ,સ્થાવર અને જંગમ એ સર્વરૂપ તે પોતે જ છે.ચિદાકાશરૂપ ના હોય એવું કશું પણ અહીં નથી.
એ એક જ વસ્તુ નિત્ય છે,ને બહાર પણ તે જ છે.આદિ-મધ્ય-અંત-રૂપ પણ તે છે અને ત્રિકાળ-રૂપ પણ તે જ છે.
એ ચિદાકાશમાં સર્વ વસ્તુ 'બ્રહ્મ-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે છે અને 'દૃશ્ય-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે સદૈવ નથી જ.