વામનજી કહે છે-સંધ્યા-ગાયત્રી કરવા માટે જમીન માગું છું,તારી જગ્યામાં બેસી સત્કર્મ કરીશ તો તને પુણ્ય મળશે. હું બ્રહ્મચારી છું.મારે માત્ર ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વી જ જોઈએ –તેનું તું દાન કર.બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.
જેને ત્યાં દાન માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર જરા રંગમાં આવે છે.વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.
બિલકુલ પરિચય ન હોય –અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈને ય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં(જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે.ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.