Jul 23, 2019

ભાગવત રહસ્ય-૧૫

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.

વૈષ્ણવ સંસારમાં આવે તો –તે ઉદાસ થાય.વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે, ચિંતા ના કરે તે જ વૈષ્ણવ.
“વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે.તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી ?” 
નારદજીએ કહું-મારી મને ચિંતા નથી, મારો દેશ દુઃખી છે.મારા દેશની મને ચિંતા થાય છે.

કેટલાક સંતો લોક્ત્યાગી અને કેટલાક લોકસંગ્રહી હોય છે. નારદજીને સમાજમાં ભક્તિનો પ્રચાર કરવો છે.
તે સમાજસુધારક સંત છે.

'જે દેશમાં મારો જન્મ થયો છે,તેનું ઋણ મારા માથે છે. સત્ય-દયા-તપ-દાન ---રહ્યાં નથી.મનુષ્ય બોલે છે કાંઇ અને કરે છે કાંઇ.!!! વધુ શું કહું ? જીવો માત્ર પેટભરા બની ગયા છે.અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું. સમાજમાં કોઈને શાંતિ નથી. જગતમાં મૂર્ખ ,વિદ્વાન,શ્રીમાન,ગરીબ-કોઈને શાંતિ નથી.'

આજે દેશ દુઃખી થયો છે. દેશ કેમ દુઃખી થયો છે ? તેના અનેક કારણો નારદજીએ બતાવ્યા છે.
'દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં –સુધી સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી,
તેને જીવનમાં શાંતિ નથી. જગતમાં હવે ધર્મ રહ્યો નથી. જગતમાં હવે પાપ વધ્યું છે. સત્ય રહ્યું નથી.સત્ય વાણીમાં નહિ—પોથીમાં જ રહ્યું છે. જગતમાં અસત્ય બહુ વધ્યું છે, અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી.'

ઉપનિષદમાં લખ્યું છે-કે-અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ –પણ અસત્ય બોલનારના પુણ્યનો ક્ષય પણ થાય છે.ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખુબ નિષ્ઠા રાખવી. અસત્ય બોલનાર-સુખી થયો નથી અને થવાનો પણ નથી. આજથી નિશ્ચય કરો કે-મારું ખોટું દેખાય-મને નુકશાન થાય પણ મારે સત્ય છોડવું નથી. સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે.

નારદજી કહે છે કે-લોકો જુઠ્ઠું બહુ બોલે છે. લોકો એમ માને છે કે –વ્યવહારમાં અસત્ય બોલવું જ પડે છે. વ્યવહારમાં જુઠ્ઠું બોલવું પડે તેવી માન્યતા અજ્ઞાન છે.લોકો માને છે કે- પાપ કરશું અને પછી મંદિરમાં રાજભોગ કરશું-તો પાપ બળી જશે. પણ એમ કંઈ –પાપ બળતા નથી.ભગવાન આજે દયાળુ છે પણ સજા કરે ત્યારે દયાને દૂર બેસાડે છે.

કાશીમાં હરિશ્ચંદ્રનો ઘાટ છે,-ઘાટમાં કાંઇ નથી-પણ લોકો આ ઘાટને વંદન કરે છે. 
રાજાએ બધું વેચી નાખ્યું –અને સત્ય ને રાખ્યું છે. ધન્ય છે રાજા હરિશ્ચંદ્રને....

તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.કેટલાક એવું સમજે છે કે –વ્યવહારમાં છળ-કપટ કરે,જુઠું બોલે તેને પૈસા મળે છે. તે પણ ખોટું છે.પૈસા પ્રારબ્ધ પ્રમાણે મળે છે. સંતતિ-સંપત્તિ અને સંસારસુખ પ્રારબ્ધને આધીન છે. જેના પ્રારબ્ધમાં પૈસો નથી તે હજારવાર જુઠ્ઠું બોલે-તો પણ તેને પૈસો મળતો નથી, ઉપરથી તેના પુણ્યનો નાશ થાય છે. અને અશાંત બને છે.પૈસા માટે પ્રયત્ન કરો તે ખોટું નથી પણ-પૈસા માટે –પાપ કરવું તે ખરાબ છે. 

વ્યવહારમાં છળ-કપટ બહુ વધી ગયાં.એટલે વ્યવહાર શુદ્ધ નથી રહ્યો- વ્યવહાર શુદ્ધ નથી એટલે મનને શાંતિ નથી.કલિયુગમાં સ્વચ્છતા દેખાય છે,પણ જગતમાં ક્યાંય –પવિત્રતા –દેખાતી નથી. તમારી ઈચ્છા મુજબ શરીરને શુદ્ધ કરો એ સ્વચ્છતા છે-પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે આચરણ કરો તે પવિત્રતા છે.
મનુષ્યો શરીર-કપડાં ને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતા નથી. મનને ખુબ પવિત્ર રાખો. કારણ કે-
મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે.

જગતમાં નીતિ દેખાતી નથી. ખુબ ભેગું કરવું-અને કુમાર્ગે વાપરવું-અને આ સિવાય પણ બીજું કોઈ સુખ છે –તેનો કોઈ વિચાર સુધ્ધાં પણ કરતો નથી. મનુષ્ય લૌકિક આનંદમાં એવો ફસાયેલો છે-કે-સાચા આનંદનો વિચાર પણ તેને આવતો નથી. કુટુંબના-શરીરના-ઇન્દ્રિયોના –એવા અસંખ્ય સુખોમાં મનુષ્ય એવો ફસાયો છે કે-તે શાંતિથી વિચારી પણ શકતો નથી કે –ખરો આનંદ ક્યાં છે ? અને તે કેમ મળે ?

માનવજીવનમાં પૈસા ગૌણ છે,સંસારસુખ ગૌણ છે,-પરમાત્મા મુખ્ય છે. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી કરશો નહિ,ત્યાં સુધી પાપ અટકશે નહિ. જે લક્ષ્યમાં રાખે તેના થી પાપ થાય નહિ. પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદ બુદ્ધિવાળો તે—જે કામ કરવાની જરૂર છે-તે- કરતો નથી.

જગતમાં અન્નવિક્રય થવા લાગ્યો છે. અન્નવિક્રય અનેક રીતે થાય છે.
મારા ઘરનું ખાનારો મારા માટે સારું બોલે-મને કાંઇક માન આપે –તેવી ઈચ્છા પણ અન્નવિક્રય છે.
જમાડનાર –જમનારનો ઉપકાર માને---જમાડનાર –જમનારને વંદન કરે-એ ભારતીય સંસ્કૃતિ છે.
ભારતમાં ઘી-દુધની નદીઓ વહેતી હતી, ત્યાં અન્નનો દુકાળ પડે નહિ. પણ અન્નનો વિક્રય થવા માંડ્યો,એટલેધરતીમાતા અન્ન ગળી ગયાં. ધરતી મા ધર્મ માટે અન્ન ઉત્પન્ન કરે છે. ધર્મનો વિનાશ થવા લાગ્યો,એટલે-ધરતીમાતા અન્ન- રસને ગળી ગયાં.

જ્ઞાનનો પણ વિક્રય (વ્યાપાર) થવા માંડ્યો છે. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાન નું દાન કરે. અન્નદાન કરતાં પણ જ્ઞાન દાન શ્રેષ્ઠ છે,મનુષ્ય ની ભાવના બગડી-ત્યારથી –જીવન બગડવા લાગ્યું છે.
જીવન ભોગ પ્રધાન થયું છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE