Aug 24, 2019

ભાગવત રહસ્ય-૪૨

શ્રીકૃષ્ણના સ્વ-રૂપનું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે.
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.

ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાનના અવતારોની કથા સાંભળો.
પરમાત્માના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથાઓનું શ્રવણ 
કરવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે.ધર્મ નું સ્થાપન અને જીવોનો ઉદ્ધાર કરવા-પરમાત્મા અવતાર(જીવ-દેહ) ધારણ કરે છે. (જેને દેવ કહે છે) લાલાજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ.-મંદિરમાં નહિ.માનવ-શરીર એ ઘર છે. પરંતુ આપણે –આપણા ઘરમાં કે હૃદયમાં –પરમાત્મા માટે જગા જ ક્યાં રહેવા દીધી છે ? તેથી તો લાલા ને કારાગારમાં જન્મ લેવો પડ્યો.

પહેલો અવતાર સનત કુમારોનો છે.તે બ્રહ્મચર્યનું પ્રતિક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વગર મન સ્થિર થતું નથી. બ્રહ્મચર્યથી મન-બુદ્ધિ-અહંકાર પવિત્ર થાય છે. અંતઃ કરણ શુદ્ધ થાય છે. પહેલું પગથીયું-છે-બ્રહ્મચર્ય.

બીજો અવતાર છે-વરાહનો-વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય-તે શ્રેષ્ઠ દિવસ. સત્કર્મમાં લોભ-વિઘ્ન કરવા આવે છે-લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે.પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો-એ વરાહ અવતારનું રહસ્ય છે.

ત્રીજો અવતાર નારદજી નો-એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માને ત્યારે નારદ-એટલે ભક્તિ મળે.નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે.

ચોથો અવતાર-નરનારાયણનો.-ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે. પણ ભક્તિ જ્ઞાન- વૈરાગ્ય વગર હોય તો તે દ્રઢ થશે નહિ. ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય જોડે આવવી જોઈએ. –એટલે જ –પાંચમો અવતાર –કપિલદેવ નો- છે.કપિલદેવ જ્ઞાન –વૈરાગ્યનું પ્રતિક છે.
છઠ્ઠો અવતાર દત્તાત્રેય નો-ઉપરના પાંચ ગુણો –બ્રહ્મચર્ય-સંતોષ-ભક્તિ -જ્ઞાન-અને વૈરાગ્ય તમારામાં આવશે તો તમે અત્રી(ગુણાતીત) થશો-ને ભગવાન તમારા ત્યાં આવશે.

ઉપરના –છ-અવતારો બ્રાહ્મણ માટેના-સાતમો-અવતાર યજ્ઞનો---આઠમો-ઋષભદેવનો---નવમો-પૃથુ રાજાનો---દશમો-મત્સ્ય-નારાયણનો-આ અવતારો-ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિય ધર્મનો આદર્શ બતાવવા માટેના છે.અગિયારમો-અવતાર-કુર્મ નો---બારમો-ધન્વન્તરીનો---તેરમો-મોહિની નારાયણનો—
આ અવતારો વૈશ્ય માટેના છે. આ અવતારોમાં વૈશ્યના જેવી લીલા –પ્રભુએ કરી છે.

ચૌદમો –અવતાર-નૃસિંહ સ્વામીનો-એ પુષ્ટિનો અવતાર છે. ભક્ત-પ્રહલાદ પર કૃપા કરવા અવતાર ધારણ કર્યો છે.પ્રહલાદ જેવી દૃષ્ટિથી જુઓ-તો થાંભલામાં –ભગવાનના દર્શન થશે. ઈશ્વરની સર્વ-વ્યાપકતાનો અનુભવ થશે.પંદરમો-અવતાર વામન ભગવાનનો-પરમાત્મા મોટા છે-તો પણ બલિરાજા સામે –વામન (નાના) બન્યા છે. બલિરાજા-કે જેમના માથા પર –ભક્તિનું-નીતિનું છત્ર છે અને ધર્મનું બખ્તર પહેર્યું છે-તેને ભગવાન પણ મારી શકે નહિ-ભગવાનને નાના બનવું પડ્યું છે.

સોળમો અવતાર-પરશુરામનો છે- આ આવેશ અવતાર છે.સત્તરમો અવતાર-વ્યાસ નારાયણનો જ્ઞાનાવતાર છે. .(નોંધ-વ્યાસજીએ -રામ અને કૃષ્ણના અવતાર પહેલાં ભાગવત-રામાયણ-મહાભારતની રચના કરીછે??!!)
અઢારમો અવતાર-રામજીનો –તે મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે.
રામજી ની જેમ મર્યાદાનું પાલન કરો-એટલે તમારામાંનો-કામ મારશે અને –પછી કનૈયો આવશે.

ઓગણીસમો અવતાર-શ્રીકૃષ્ણનો છે. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે.
રામ -કૃષ્ણ એક જ છે. એક બપોરે બાર વાગે જન્મે છે-બીજા રાતે બાર વાગે જન્મે છે.
મનુષ્ય બપોરે ભૂખથી ભાન ભૂલે છે-રાતે કામ સુખની યાદથી ભાન ભૂલે છે. દિવસે રામજીને અને રાતે કૃષ્ણ ને યાદ કરો.તો તે બંને સમયે ભગવાનની કૃપા થશે.

એકનાથજીએ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે.
રામજી રાજમહેલમાં પધારે છે-કનૈયો કારાગૃહમાં. એકના નામના સરળ અક્ષર-બીજાના જોડાક્ષર.
ભણતરમાં સરળ અક્ષર પહેલા ભણાવે છે-જોડાક્ષર પછી. રામજીની મર્યાદા પાળો -તે પછી કૃષ્ણાવતાર થશે.
આ બે સાક્ષાત –પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના બધાં અવતારો અંશાવતાર છે.

અલ્પ-કાળ માટે તથા અલ્પ-જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર. અને 
અનંત-કાળ માટે,અનંત-જીવોના ઉદ્ધાર માટે અવતાર થાય તે પૂર્ણાવતાર. તેમ સંતો માને છે.
ભાગવતમાં કથા કરવાની છે –કનૈયા-ની- પણ ક્રમે ક્રમે-બીજા અવતારોની કથા કહ્યા પછી –અધિકાર –પ્રાપ્ત થાય-એટલે પછી કનૈયો આવે.તે પછી-હરિ-કલ્કિ-બુદ્ધ –વગેર મળી ૨૪ અવતારો થયા છે.

પરમાત્માના ૨૪ અવતાર-પરમાત્મા શબ્દમાંથી જ નીકળે છે.
પ=પાંચ,૨=બે,મા=સાડાચાર, અડધો ત=આઠ,છેલ્લો મા-સાડા ચાર. બધાં નો સરવાળો=૨૪ .

બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર જ છે. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે.
કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભગવત -સ્વરૂપના દર્શન કરે છે.
સ્થૂળ-સૂક્ષ્મ- શરીરનું –અવિદ્યા (અજ્ઞાન)થી- આત્મા- માં આરોપણ કરવામાં આવે છે. પણ –
જે –અવસ્થા- માં –આત્મ સ્વરૂપ –ના- જ્ઞાન- થી-આ આરોપણ(શરીર એ આત્મા નથી-તે) દૂર-થઇ જાય-
તે સમયે-બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.(ઇતિ તદ્દ બ્રહ્મ દર્શનમ) –આ સિદ્ધાંત સમજાવ્યો છે.
   
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE