Sep 5, 2019

ભાગવત રહસ્ય-૫૪

પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને મૃત્યુની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી 
વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.

“જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ”
જન્મ દુઃખ મય છે-વૃદ્ધાવસ્થા દુઃખ મય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે –જાગો-જાગો.

આ -દુઃખોને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ ?મારા કર્મ કેવા છે ? મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્રમાં લખ્યું છે કે-મરણની જગ્યા-મરણનું કારણ-મરણનો સમય-નક્કી થયા પછી –જીવનો જન્મ થાય છે. પણ અતિશય પુણ્ય વધે તો આમાં કવચિત ફેરફાર પણ થાય છે. મૃત્યુ માથે છે-તે –યાદ રાખો.સવારમાં ઉઠ્યા પછી-જન્મ મરણના દુઃખો નો વિચાર કરો.

ઘણાં સવારમાં ઉઠયા પછી-ભોજનનો વિચાર કરે છે-કે-આજે દાળ કરું કે કઢી કરું ? કેટલાક બહુ ડાહ્યા હોય છે-બશેર શાક લેવું હોય તો –આખી બજાર ફરે છે.માથું ખંજવાળશે,-કારેલાં લઉં કે ઘીલોડા ? 
જેનો વિચાર કરવાનો છે-તેનો વિચાર કરતા નથી- પણ શાકભાજીનો અડધો કલાક વિચાર જરૂર કરશે.

ઘણાં ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે-એવું સમજે છે કે હું મરવાનો નથી.(કે પછી એવું પણ વિચારે છે-કે એકવાર મરવાનું તો છે-જ-પછી આ બધી ભાંજગડ શા માટે ?) પણ મરણનો વિચાર માથે રાખશો-તો કમસે કમ પાપ તો થશે નહિ. અને પાપ છૂટી જશે-અને પાપ જે દિવસે છૂટી જાય ત્યારે તમે માનજો-કે તમે સંત છો.

પાપ-પુણ્ય ના અનેક સાક્ષીઓ છે.સૂર્ય-ચંદ્ર-ધરતી-વાયુ-આ બધાં સાક્ષીઓ છે. ભગવાનના બધાં સેવકો છે.અને તમે જ્યાં જાવ ત્યાં સાથે જ આવે છે. પણ મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે-તારા અંતરમાં પણ પરમાત્મા વિરાજે છે.તે જુએ છે.

શંકરાચાર્ય દુઃખથી બોલ્યા છે-કે-મનુષ્ય મરવાનું છે-તે જાણે છે,એક દિવસ આ બધું છોડી ને જવાનું છે –તે જાણે છે-તેમ છતાં –પાપ કેમ કરે છે ?તેનું મને આશ્ચર્ય થાય છે.
(મહાભારતમાં પણ યક્ષના પ્રશ્ન-દુનિયાનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ના જવાબમાં યુધિષ્ઠિર- કાંઇક આવો જ જવાબ આપે છે-કે-સ્મશાનમાં સ્વજનને બાળીને –ઘેર આવી પાછો માનવ –પોતે તો-મરવાનો જ નથી-તેમ સમજી-એ-જ સંસારમાં જોતરાઈ જાય છે) 

પરીક્ષિત જેવા-સંત જેવા- થયા-કે શુકદેવજી પધાર્યા છે. શુકદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે,શુકદેવજી –કંઈ આમંત્રણ આપે તો ય આવે તેવા નથી. રાજાનો જીવન પલટો થયો-એટલે-કે રાજા મટી રાજર્ષિ બન્યા એટલે આ બ્રહ્મર્ષિ આવ્યા છે.રાજા મહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી –તે ના આવ્યા. આમેય જો રાજા-રાજા હતા ત્યારે –શુકદેવજી કથા કરવા ગયા હોત તો-રાજા કહેત-કે તમે આવ્યા તે સારું થયું-પણ મને કથા સાંભળવાની ફુરસદ નથી-એકાદ કલાક કથા કરો ને વિદાય થાઓ.

આ વિલાસી લોકોને કથા સાંભળવાની ઈચ્છા થતી નથી. આ માયા બંને રીતે મારે છે.
ધંધો સારી રીતે ચાલે-તો પણ શાંતિ નથી. સો-સો ની નોટો દેખાય-એટલે ભુખ પણ લાગતી નથી.
ધંધો-ના ચાલે તો પણ શાંતિ નહિ. ભાવ વધે તો પણ શાંતિ નહિ-ભાવ ઘટે તો પણ શાંતિ નહિ.
જીવ નો સ્વભાવ જ એવો છે કે-જે મળ્યું છે તે ગમતું નથી. જે મળ્યું નથી તે ગમે છે. જીવને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ થતો નથી.

પ્રથમ સ્કંધ અધિકાર લીલાનો છે. વક્તા અને શ્રોતાનો-અધિકારી કોણ ? પ્રથમ સ્કંધમાં ત્રણ પ્રકરણ છે.
ઉત્તમાધિકાર-મધ્યમાધિકાર-કનિષ્ઠાધિકાર.
પરીક્ષિત અને શુકદેવજી –ઉત્તમ –શ્રોતા-વક્તા.
નારદ અને વ્યાસ—મધ્યમ –શ્રોતા-વક્તા.
સૂત અને શૌનક-કનિષ્ઠ –શ્રોતા –વક્તા

શુકદેવજીની કક્ષાનો વિચાર કરતાં-સૂતજી કનિષ્ઠ વક્તા છે-પણ આપણા કરતાં તો તે મહાન છે.(સૂતજી ના ભાષણમાં –બે ત્રણ જગાએ તેમનું અભિમાન દેખાય છે-માટે તેમને ઉતરતા શ્રેણીના વક્તા ગણ્યા છે)
વ્યાસ જીમાં જ્ઞાન-ભક્તિ છે-પણ શુકદેવજીના પ્રમાણમાં-વૈરાગ્ય ઓછો છે-શુકદેવજી પરિપૂર્ણ છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE