Sep 7, 2019

ભાગવત રહસ્ય-૫૬

વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર શકશે નહિ.જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”

બહુ વિચારને અંતે તેમને લાગ્યું કે-આવો લાયક તો મારો પુત્ર શુકદેવ જ છે.
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે, અપ્સરા રંભા પણ શુકદેવજીને ચળાવી શકી નથી.
“નારીઓમાં તો રંભા જ” એમ જે કહેવાય છે-તેવી રંભા –શુકદેવજીને ચળાવવા આવી છે.
શુકદેવજીને કહે છે કે-તમારુ જીવન વૃથા છે.શુકદેવજી ઉત્તર આપે છે.-વિષય ભોગો- નહિ ભોગવનારનું જીવન -વૃથા નથી-પણ સાંભળો –દેવી-કે કોનું જીવન વૃથા છે.

“નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે,જેના આકર્ષક અંગો પર કેયુર હાર-આદિ અલંકારો શોભી રહ્યાં છે.એવા સર્વાન્તર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે-ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરી-આ આવાગમનના ચક્ર ને મિટાવ્યું નહિ-એવા મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે-એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું.જેના વક્ષ સ્થળ ઉપર-લક્ષ્મીજી શોભાયમાન છે-જેની ધ્વજામાં ગરુડજી વિરાજેલા છે,જે સુદર્શન ચક્રધારી છે. એવા પરમાત્મા –મુકુન્દ ભગવાનનું જેણે ક્ષણ વાર પણ સ્મરણ કર્યું નથી-એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું”

રંભાએ જયારે સ્ત્રી-શરીરના બહુ વખાણ કર્યા ત્યારે-શુકદેવજીએ રંભાને કહ્યું-“સ્ત્રીનું શરીર આટલું સુગંધમય-સુંદર હોઈ શકે છે –તે આજે જ જાણ્યું. મને ખબર નહોતી. પણ હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય- તો તારા જેવી મા શોધી કાઢીશ.”

શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે-જે પુત્રે –જન્મતાં જ પિતાને કહ્યું-કે-તમે મારા પિતા નથી-અને હું તમારો પુત્ર નથી.આવા શુકદેવજી -ઘેર આવે કેવી રીતે ?
શુકદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન પ્રતિ પ્રયાણ કર્યું. તે સદા બ્રહ્મ-ચિંતનમાં મગ્ન રહે છે.તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે ?-વ્યાસજી વિચારે છે-કે-તેઓ ઘેર આવે તો –ભાગવતશાસ્ત્ર તેમને ભણાવું-અને પછી તે-ભાગવતનો પ્રચાર કરી શકે.

વ્યાસજી વિચારે છે કે-શ્રીકૃષ્ણનું સ્વરૂપ અદભૂત છે.તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે-તે કનૈયો-શુકદેવજી જેવા યોગીને શું નહિ આકર્ષે? શુકદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેમાંથી તેમનું ચિત્ત હટાવવા-અને સગુણ બ્રહ્મ તરફ વાળવા-કૃષ્ણ-લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ.
આ શ્લોકોની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી થઇ હતી.

વ્યાસજીના શિષ્યો જંગલમાં-દર્ભ સમિધ લેવા જાય ત્યારે –તેમને જંગલના હિંસક પશુઓની બીક લાગતી હતી. આથી વ્યાસજીએ તે શિષ્યોને કહ્યું-કે જયારે બીક લાગે ત્યારે-તમે ભાગવતના શ્લોકો બોલજો. શ્રીકૃષ્ણ તમારી સાથે છે-એવો વિચાર કરજો.એના પછી-જયારે ઋષિકુમારો વનમાં જાય ત્યારે –બર્હાંપીડમ-વગેરે શ્લોકો બોલે-ત્યારે હિંસક પશુઓ પોતાના વેર ભૂલી જઈને શાંત બનતા હતા.

વ્યાસજી વિચારે છે-કે-જે મંત્રોથી –પશુઓનું આકર્ષણ થયું-તે મંત્રોથી શુકદેવજીનું આકર્ષણ શું નહિ થાય ?
વ્યાસજીએ યુક્તિ કરી-શિષ્યોને કહ્યું-શુકદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમ –આ બે શ્લોકોનું તમે ગાન કરો.-તેમને આ શ્લોકો સંભળાવો.
શિષ્યો-આજ્ઞા મુજબ –તે વનમાં ગયા. શુકદેવજી સ્નાન-સંધ્યા કરી-સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. જો સમાધિમાં બેસી જાય-અને સમાધિ લાગી જાય-તો શ્લોક તેઓ સાંભળી શકે નહિ. –એટલે શિષ્યો તરત જ બોલે છે.-

“શ્રીકૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યાં છે.તેમણે મસ્તક પર મોર-મુગુટ ધારણ કર્યો છે. અને કાન પર કરેણના પીળા પુષ્પો. શરીર પર પીળું પીતાંબર અને ગળામાં પાંચ-પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી-વૈજ્યંતિમાળા પહેરી છે.રંગ મંચ પર અભિનય કરતા નટ કરતાં પણ શ્રેષ્ઠ એવો સુંદર વેષ છે!! વાંસળીના છિદ્રોને પોતાના અધરામૃતથી ભરી રહ્યાં છે.એમની પાછળ પાછળ-ગોપ બાળકો તેમની કીર્તિનું ગાન કરી રહ્યાં છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ –આ વૃંદાવન ધામ-એમનાં ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે” (ભાગવત-૧૦-૨૧-૫-વેણુગીત) (આ શ્લોક માં શ્રીકૃષ્ણ ની સ્વરૂપ-સુંદરતા બતાવી છે)

શુકદેવજીનું હૃદય ગંગા જળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે.
શુકદેવજીનાં કાને -ઉપરનો શ્લોક સંભળાય છે-શ્રીકૃષ્ણનું મનોહર સ્વરૂપ હૃદયમાં દેખાય છે.
શ્લોક બોલે છે-ઋષિકુમાર અને તેનું સ્વરૂપ દેખાય છે-શુકદેવજીનાં હૃદયમાં. શુકદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે છે.લાલાજીની વાંસળીના સુર કાનમાં સંભળાય છે. લાલાજીની વાંસળી જેને સંભળાણી –તે કાયમનો લાલાજીનો થઇ જાય છે.કનૈયો-શસ્ત્રથી કોઈને ઘાયલ કરતો નથી. (મોરલીથી ઘાયલ કરે છે)

શુકદેવજીએ તરત જ નિશ્ચય કર્યો-હવે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહિ કરું પણ સાકાર શ્રીકૃષ્ણનું ચિંતન કરીશ.
પણ તરત પાછો-વિચાર થયો-હું દેહમાં છું-પણ દેહથી વિદેહ છું, મારા જેવા સન્યાસી માટે-શ્રીકૃષ્ણનું ધ્યાન યોગ્ય નથી.મારા માટે તો નિરાકાર બ્રહ્મનું ધ્યાન જ ઉત્તમ છે. સગુણ બ્રહ્મની સેવામાં –સર્વ વસ્તુની અપેક્ષા રહે છે.લાલાજી માખણ મીસરી માગશે તો તે હું ક્યાંથી લાવીશ ? મારી પાસે તો કાંઇ નથી.મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે.શુકદેવજીના મનમાં દ્વિધા ઉત્પન્ન થઇ છે. નિરાકારનું કે સગુણ બ્રહ્મ –કોનું ધ્યાન કરું     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE