Sep 29, 2019

ભાગવત રહસ્ય-૭૮

ધ્યાનના આરંભમાં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિયોગની એક સહેલી રીત છે).પ્રતિદિન સવારના પહોરમાં –આંખો બંધ કરી-(શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)બાલકૃષ્ણનું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-બાલકૃષ્ણે-રેશમના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથમાં મોરલી છે,આંખોમાં મેંશ આંજી છે,ચરણોમાં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે.

ધીરે ધીરે કપાળની મધ્યમાં ધ્યાન કરો. પ્રકાશની જ્યોત દેખાશે. તે જ્યોતના દર્શનમાં મનને સ્થિર કરો.ઈશ્વર ની ઝાંખી થશે.આ પ્રમાણે માનસિક ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે.
જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા વિરાટ પુરુષની ધારણા –ધ્યાન કરે છે.(આ જ્ઞાનયોગની એક રીત છે)- પણ સાધારણ સાધકને માટે –શરૂઆતમાં વિરાટપુરુષની ધારણા કરવી થોડી કઠણ છે.તેથી જ કેટલાક નારાયણનું-બાલકૃષ્ણલાલનું કે જે સ્વરૂપ અનુકૂળ આવે તેનું ધ્યાન કરે છે.(શરૂઆતમાં આવું કરી શકાય છે)

આખું જગત એ વિરાટપુરુષનું સ્વરૂપ છે-તેવી ભાવના દૃઢ થાય-તો આ –આખા જગતની કોઈ વસ્તુ પ્રત્યે કુભાવ થશે નહિ.આ જગત પ્રભુના આધારે છે. જગતના પ્રત્યેક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. તેથી પ્રભુમય છે.સાધારણ મનુષ્ય જગતને ઈશ્વરથી જુદું પાડીને જુએ છે, જયારે જ્ઞાની- જગતને પરમાત્મામાં રહેલું જુએ છે.સૂક્ષ્મ મનને સુધારવું હોય તો-જગતને પરમાત્મા સાથે –પરમાત્મામાં રહેલું જુઓ.
સાધારણ મનુષ્ય -જગતને –સ્વાર્થ દૃષ્ટિ-ભોગદૃષ્ટિથી જુએ છે, જ્ઞાનીપુરુષો જગતને ભગવદદૃષ્ટિથી જુએ છે.
મનને શુદ્ધ રાખવું હોય તો-જગતને ભગવદ ભાવથી –સદભાવથી જુઓ. જગતના પ્રત્યેક પદાર્થમાં પ્રભુ છે.

તે પછી-શુકદેવજી એ વૈરાગ્યનો ઉપદેશ કર્યો છે. વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી-ધ્યાન થતું નથી.સંસારનું સ્મરણ (આસક્તિ) એ જ દુઃખ છે-સંસારનું વિસ્મરણ એ-જ સુખ છે.
જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ. ભક્તિમાર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ.
ભક્તિમાર્ગમાં વૈરાગ્ય ના હોય તો ચાલશે –પણ –સર્વ સાથે પ્રેમ કરવો પડશે. (પણ વૈરાગ્ય કરતાં –આમ કરવું વધુ અઘરું છે.) સર્વ સાથે પ્રેમ કરો(ભક્તિમાર્ગ) અથવા માત્ર એકલા ઈશ્વરને પ્રેમ કરો (જ્ઞાનમાર્ગ)
જ્ઞાનમાર્ગમાં ત્યાગ પ્રધાન છે. ભક્તિમાર્ગમાં સમર્પણ પ્રધાન છે.સાધારણ માણસ માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય –સર્વનો ત્યાગ કરી શકતો નથી.

આખું જગત બ્રહ્મરૂપ છે-તેમ માની જ્ઞાની પુરુષો-લલાટમાં બ્રહ્મ ના દર્શન કરે છે.જ્યારે ભક્તો પોતાના હૃદય કમળમાં ચતુર્ભુજ દ્વારકાનાથ (કે બાલકૃષ્ણલાલ)નો દર્શન કરે છે.પ્રભુના એક એક અંગનું ચિંતન-એનું નામ ધ્યાન. અને પ્રભુના સર્વાંગ (સર્વ અંગ) નું ચિંતન –એ ધારણા.(સાદી ભાષામાં)દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દીન બને છે. પહેલાં માલિકના ચરણનું-પછી મુખારવિંદનું અને પછી સર્વાંગનું ધ્યાન કરવું જોઈએ.

સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા માટે પરમાત્માના ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.
જેવું પૈસાનું ધ્યાન કરો છો-તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે. ધ્યાનમાં શરુ શરુમાં આનંદ આવતો નથી-મન ભટકે છે.પણ જેમ જેમ સંસાર ભુલાય –તેમ તેમ આનંદ આવવા માંડે છે.
અને જયારે –ધ્યાનમાં દેહની વિસ્મૃતિ થાય છે-ત્યારે –આત્મા-પરમાત્માનું મિલન થાય છે.

આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે-પણ ધીરજથી –ધારણા-ધ્યાન કરવાથી –મન સ્થિર થશે-પ્રભુનું તેજોમય સ્વરૂપ દેખાશે.ધ્યાનયોગની કથા –પછી કપિલગીત માં આવશે. અહીં સંક્ષેપ કર્યો છે.
ધ્યાનમાં મન સ્થિર ના થાય તો તે મનને મરણ ની બીક બતાવજો-તો તે સ્થિર થશે.

ક્ષણભંગુર જીવન કી કલિકા,કલ,પ્રાતઃ સમય ખિલી ન ખિલી,
મલયાચલકી સુચિ શીતલ મંદસુગંધ સમીર મિલી ન મિલી,
કલિકાલ કુઠાર લીયે ફિરતા, તન નમ્ર હૈ,ચોટ ઝિલી ન ઝિલી,
રટ લે હરિ નામ અરી રસના ,અંત સમય મેં હિલી ન હિલી.
જીભ(રસના) ને કહે છે-કે-હરિનામ જપી લે –અંત સમય માં તું -હલે –કે -ના પણ હલે.

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE