Oct 2, 2019

ભાગવત રહસ્ય-૮૧

કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)

જયારે શુકદેવજીને દેહનું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાયમાં) મંગલાચરણ કર્યું છે.
ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું-બીજું શુકદેવજીનું અને અંતમાં સૂતજીનું.
શુકદેવજીનું મંગલાચરણ બાર શ્લોકોનું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે.
શુકદેવજી સ્તુતિ કરે છે-જે મહાન ભક્તવત્સલ છે,(હઠપૂર્વક ,ભક્તિહીન સાધનો કરવાવાળા જેની છાયાને પણ સ્પર્શી શકતા નથી) જેની સમાન કોઈનું ઐશ્વર્ય નથી. તથા જેઓ, ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મસ્વરૂપ –પોતાના –ધામમાં વિહાર કરી રહ્યા છે-તેવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર વંદન કરું છું, (ભાગવત-૨-૪-૧૪)

આ શ્લોકના –રાધસા- શબ્દનો અર્થ-મહાત્માઓ –રાધિકાજી –એવો પણ કરે છે.(આખા ભાગવતમાં –રાધાજી ના નામનો ક્યાંય પ્રગટ રૂપે ઉલ્લેખ નથી-શુકદેવજી રાધાજીના શિષ્ય છે. અને રાધાજી ગુરુ છે. ગુરુનું નામ પ્રગટરૂપે લેવાની –શાસ્ત્ર ની મર્યાદા છે) શુકદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા-અને રાત દિવસ લીલા નિકુંજમાં ‘હે રાધે,હે રાધે’ નામનો જપ સતત રટ્યા કરતા હતા.રાધાજી દયાની મૂર્તિ છે,તે જલ્દી કૃપા કરે છે.(કનૈયો ભોળો છે-પણ ચતુર છે.કસોટી કરીને અપનાવે છે) રાધાજી પ્રસન્ન થયાં. અને પોપટને ઉપદેશ આપ્યો.-વત્સ કૃષ્ણમ વદ,કૃષ્ણમ વદ,રાધેતિ મા વદ –કૃષ્ણનું નામ સ્મરણ કર.
રાધાજીએ શુકદેવજીને બ્રહ્મ-સંબંધ કરાવી આપ્યો હતો.એટલે પ્રેમમાં થોડો પક્ષપાત આવી જાય છે. 
શુકદેવજી કૃષ્ણને બે વાર-નમસ્કાર કરે છે.(કૃષ્ણ અને રાધાકૃષ્ણને)

પરીક્ષિતરાજાએ પ્રશ્ન કર્યો છે-ભગવાન પોતાની –માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો.શુકદેવજી કહે છે-તમે જેવો પ્રશ્ન પૂછ્યો-તેવો નારદજી એ બ્રહ્માજી  પૂછેલો. બ્રહ્માજી  સૃષ્ટિ  આરંભ  કથા કહી છે.સૃષ્ટિના આરંભમાં ભગવાનને -એકમાંથી અનેક થવાની –ઈચ્છા- થઇ. અને ઈચ્છા માત્રથી-પ્રભુએ ૨૪ તત્વોને ઉત્પન્ન કર્યાં.પણ આ ૨૪ તત્વો કઈ કાર્ય કરી શક્યાં નહિ –ત્યારે પ્રભુએ –એ એક એક તત્વમાં –ચૈતન્ય-રૂપે પ્રવેશ કર્યો. ત્યારે તે તત્વોમાંદિવ્ય-ચેતન શક્તિ –પ્રગટ થઇ.
(આને સર્ગ સિદ્ધાંત પણ કહે છે-સર્ગની શરૂઆત) 

સામાન્ય ભાષામાં કહેવું હોય તો-આરંભમાં તમામ જીવો –પરમાત્માના પેટ માં હતા. ભગવાન એક એક જીવ ને શોધીને –તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે. તે પછી પરમાત્મા કહે છે-બેટા –હવે હું સંતાઈ જાઉં છું.(સંતાકુકડી ની રમત રમે છે) હવે તું મને શોધવા આવજે.
સંસારની રચના કરી પરમાત્મા છુપાઈ જાય છે. તેમને શોધવાનો પ્રયત્ન કરવાનો છે.
“અપને આપ સભી કુછ કર કે,અપના આપ છુપાયા,કિસને યે સબ ખેલ રચાયા ?”

નારાયણ ભગવાને-બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે.
બીજા સ્કંધના નવમા અધ્યાયના ૩૨ થી ૩૫ ષ્લોક –એ ચતુશ્લોકી ભાગવત છે.


“જગત ન હતું ત્યારે હું જ હતો. જયારે જગત રહેશે નહિ-ત્યારે હું જ રહીશ.”
સ્વપ્નમાં એક અનેક દેખાય છે,પણ જાગૃત અવસ્થામાં અનેકમાં એક જ છે-એવો જ્ઞાનીપુરુષોનો અનુભવ છે.
દાગીનાના આકાર ભિન્ન ભિન્ન-હોવ છતાં –સર્વમાં એક સોનું જ રહેલું છે.પણ કિંમત પણ સોનાની મળે છે- આકારની નહિ.ઈશ્વર વિના બીજું જે કંઇ દેખાય છે-તે સત્ય નથી,પણ ઈશ્વરની માયા છે.

માયા શબ્દમાં –મા- એટલે- નથી –અને –યા -એટલે- છે.
માયા એટલે -જે નથી છતાં દેખાય છે.અને જે હોવા છતાં દેખાતી નથી.
(તત્વ દૃષ્ટિથી- જગત નથી-છતાં –જગત તો દેખાય જ છે. પરમાત્મા –છે-પણ દેખાતા નથી.)
જે ના હોવા છતાં પણ દેખાય છે(જગત)-અને ઈશ્વર સર્વમાં હોવા છતાં દેખાતા નથી-એ જ માયાનું કાર્ય છે.
તેને જ મહાપુરુષો-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ-માયા- કહે છે.

સર્વ નું મૂળ ઉપાદાનકારણ-(સર્વની ઉત્પત્તિનું કારણ)-પ્રભુ-સત્ય છે. 
પણ- પ્રભુમાં –જે –ભાસે છે-તે-સંસાર-સત્ય-નથી.પરંતુ તે માયાથી ભાસે છે.
આ માયા ની બે શક્તિઓ છે.
આવરણ શક્તિ-જે પરમાત્માનું આવરણ કરે છે-પરમાત્માને ઢાંકી રાખે છે.(બુદ્ધિ-જ્ઞાનને ઢાંકે છે)
વિક્ષેપ શક્તિ- જે પરમાત્મામાં જગતનો ભાસ કરાવે છે.(બુદ્ધિ-જ્ઞાનમાં વિક્ષેપ કરાવે છે)

સમજવામાં- જરા અઘરો લાગતો આ-માયાનો સિદ્ધાંત –દ્રષ્ટાંતથી શાસ્ત્રોમાં સમજાવ્યો છે.
માયા –એ –અંધકાર જેવી છે. અંધકાર કે –જે--- વસ્તુ છે –તેને ઢાંકી રાખે છે. (માયાની આવરણ શક્તિ)
ધારો કે કોઈ દોરી છે-પણ અંધારાને લીધે તે દોરી આપણને –દેખાતી નથી-
પણ-જો અંધારામાં આપણે દોરીને અડકી જઈએ તો –સાપ હશે-તેવો ભાસ થાય છે.
આ સાપ છે-એવો ભાસ –તે –અંધકાર(માયા) ને લીધે છે.

સાચી રીતે તો તે દોરી એ સર્પ નથી-પણ –સાપનો ભાસ થાય છે.(માયા ની વિક્ષેપ શક્તિ)
પણ જો દીવો કરવામાં આવે –અજવાળું કરવામાં આવે-તો જ્ઞાન થાય છે કે-'ઓહ,આ તો દોરી છે'
(અંધારા ની કોઈ વ્યાખ્યા નથી-અજવાળું(પ્રકાશ) નથી –અજવાળાનો અભાવ-તે અંધારું)
માયા –એ- સ્વપ્ન જેવી છે. ભાગવતમાં –માયાને સમજાવવા-સ્વપ્ન- નું દ્રષ્ટાંત –વારંવાર આપ્યું છે.
એક જણ ને સ્વપ્ન આવ્યું-કે તે જંગલમાં ગયો-ત્યાંથી તેને લાખ રૂપિયા જડ્યા.એટલે તે રાજી થયો. થોડીવાર પછી –બીજું સ્વપ્ન આવ્યું કે તેની પાછળ વાઘ પડ્યો છે.તેથી તે રડવા લાગ્યો.
લાખ રૂપિયા મળ્યા તે –અને વાઘ પાછળ પડ્યો છે-તે બંને ખોટું છે. તેમ છતાં સુખ અને દુઃખ થાય છે.
સ્વપ્ન સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે-તેમ –માયા સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે.

સ્વપ્ન કાળ એટલે અજ્ઞાનતા. (સ્વપ્નમાં બુદ્ધિ-જ્ઞાન વિરામમાં હોય છે!!)
એ જ રીતે-આ જગત દેખાય છે-પણ જગતને બનાવનાર દેખાતો નથી-તે અજ્ઞાનતા.
સ્વપ્ન માં એક જણને ત્રણ વર્ષની જેલની સજા થઇ.બે વર્ષની સજા પૂરી થઇ અને તેની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્ન પૂરું થયું.વિચાર કરો-હવે બાકીની એક વર્ષ ની સજા કોણ ભોગવશે ? એ એક વર્ષની સજા ભોગવવાની રહેતી નથી.જો તે જાગ્યો ના હોત તો-તે સજા ભોગવી પડત----જે નિંદ્રામાં (અજ્ઞાન માં) છે-તેને સજા થાય છે.(ભોગવવી પડે છે) પણ જો જાગી જાય (જ્ઞાન થાય) તો સજા થતી નથી.(ભોગવવી પડતી નથી)

સંસારમાં જાગ્યો તે જ છે-કે-જેને સંસારનું સુખ તુચ્છ લાગે છે.(જ્ઞાન)
જેને સંસારના સુખો મીઠાં લાગે છે-તે સુતેલો છે.(અજ્ઞાન)
જે સુતો છે-(અજ્ઞાનમાં છે) –તેને સંસાર મળશે- અને-જે જાગ્યો છે (જ્ઞાનમાં છે) તેને પરમાત્મા મળે છે.
(જો સોવત હય –વો –ખોવત હય-જો –જાગત હય-વો-પાવત હય.)


        
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE