Oct 1, 2019

ભાગવત રહસ્ય-૮૦

વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે.
વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)

વિચાર-પ્રધાન લોકો-જ્ઞાન માર્ગ પસંદ કરે છે.
ભાવના –પ્રધાન લોકો-કે જેમનું હૃદય કોમળ છે-તે ભક્તિ માર્ગ પસંદ કરે છે.
ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે-ત્યાં –તીવ્ર-શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ.તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે (તીવ્રેણ ભક્તિયોગેન યજેત પુરૂષમ પરમ)

સામાન્ય માનવો જુદી જુદી વસ્તુઓની (સંતાન,શક્તિ,ધન,આયુષ્ય..વગેરે) કામના માટે જુદા જુદા દેવ-દેવીઓ ની આરાધના કરે છે(કે કરે) તે બતાવ્યું છે.પણ જે માનવ બુદ્ધિમાન છે-તે ભલે નિષ્કામ હોય કે કામી હોય-પણ જો મોક્ષ (અને વૈરાગ્ય) ચાહતો હોય-તો-તેણે તીવ્ર ભક્તિયોગ દ્વારા-કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ (ભાગવત-૨-૩-૨ થી ૧૦)

શુકદેવજી કહે છે-રાજન કોઈ પણ પ્રકારની મુક્તિ મેળવવી હોય તો –આરંભમાં ભોગનો (ભોગના સુખનો) ત્યાગ કરવો જ પડશે.સંસાર નું વિષય સુખ છોડવું જ પડશે. ભોગનો ત્યાગ કર્યા વગર-ભક્તિમાર્ગ કે જ્ઞાન માર્ગમાં આગળ વધી શકાતું નથી.સંસારનું સુખ જેને તુચ્છ લાગે છે-સંસારના ભોગ જેને રોગ સમાન લાગે છે-તે જ ભક્તિ કરી શકે છે. ભોગ-ભક્તિ,જ્ઞાનમાં બાધક છે.
ભોગમાં ક્ષણિક સુખ છે-ત્યારે ભોગના ત્યાગ માં અનંતગણું (સતત) સુખ છે.

ઇન્દ્રિયજન્ય સુખ –સર્વ પ્રાણીઓમાં સરખું જ હોય છે.
મનુષ્યને ઈન્દ્રિયસુખ ભોગવતાં જે આનંદ મળે-તેવો જ આનંદ પશુને પણ મળે છે.
શરીરસંગ થી સ્ત્રી-પુરુષ ને જેવું સુખ મળે છે-તેવુંજ કુતરાને –કુતરીના સંગ થી મળે છે.
કુતરા પાસે સુંદર સ્ત્રી ઉભી હોય તો તેણે જરાય મોહ થતો નથી.(એને લાગે છે કે કરડવા આવી છે કે શું ?)
શ્રીમંત લોકોને જે સુખ-છ મણ રૂ ની તળાઈ પર સુવાથી મળે છે-તેવુંજ સુખ ગધેડાને ઉકરડામાં આળોટવાથી મળે છે.ભુંડ ને વિષ્ઠા ખાવામાં જે સુખ મળે છે-તેવું સુખ મનુષ્ય ને શિખંડ ખાવામાં મળે છે.
માટે મનુષ્યે –બુદ્ધિ-પૂર્વક ભોગ છોડવા જોઈએ. ભોગથી શાંતિ મળતી નથી-ત્યાગથી શાંતિ મળે છે.
શુકદેવજી કહે છે-રાજન,અત્યાર સુધી તેં અનેક ભોગ ભોગવ્યા છે.હવે તારી એક એક ઈન્દ્રિયોને તું ભક્તિ રસ નું દાન કર.જેને મરણ સુધારવું છે-તે –પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે. જે ભક્તિમય જીવન ગાળે છે-તેનું જ મરણ સુધરે છે.પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરી-મનને પરમાત્મામાં તરબોળ બનવે છે-તેને સાચો આનંદ મળે છે.
ઈન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો-વિષયો સાથે નહિ.

ભગવાનનું એક નામ હૃષીકેશ છે. હૃષિક એટલે ઇન્દ્રિય-અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.પાંચ ઇન્દ્રિયો-તેના –પાંચ વિષયો છોડે છે-ત્યારે જ તે અંદર વિરાજેલા નારાયણ (આત્મા-પરમાત્મા) સાથે સુઈ જાય છે.

‘રાજન,જેનું મરણ સમીપમાં આવ્યું હોય-તે-સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે, અને પરમાત્માનું ધ્યાન કરે. ધીરે ધીરે,સંયમને વધારે.પરમાત્માની સેવા કરતાં-પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન (દેહ ભાન)જાય તો ગોપીભાવ સિદ્ધ થાય છે. અને પરમાત્માની નિત્યલીલામાં પ્રવેશ મળે છે. જન્મ તેનો સફળ થયો-કે જેને-મા -ના પેટમાં જવાનો-ફરીથી પ્રસંગ જ ના આવે. ગર્ભવાસ –એ-નર્કવાસ છે.(કર્મ અને વાસનાને લીધે-ફરી ફરી જન્મ છે.)’

એક વખત –શુકદેવજી-જનકરાજા પાસે વિદ્યા શીખવા ગયેલા. વિદ્યાભ્યાસ પુરો થયો-એટલે –શુકદેવજીએ કહ્યું-મારે ગુરુ દક્ષિણા આપવી છે. ત્યારે જનકરાજાએ કહ્યું –મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી. પણ શુકદેવજી એ બહુ આગ્રહ કર્યો એથી-જનકરાજા એ કહ્યું-તું બહુ આગ્રહ કરે છે તો-જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ.શુકદેવજી –નિરુપયોગી વસ્તુ ની શોધ માં નીકળ્યા. પ્રથમ માટી –ઊંચકી-તો માટી કહે –મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઊંચક્યો-તો પથ્થર કહે મારા પણ ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી જ જણાય. અંતે થાકી ને ઉકરડામાં ગયા. ત્યાં

વિષ્ઠા પડેલી-તે ઉપાડી.તો તે કહે છે-મારો પણ ઉપયોગ છે-તમે મને જાણતા નથી. હું તો એક વખત ચાંદીની થાળીમાં બેઠી હતી.પણ મેં ભૂલ કરી અને મનુષ્યના પેટમાં ગઈ એટલે મારી આ દશા થઇ.
બહુ વિચાર કરતાં –શુકદેવજી ને લાગ્યું કે –આ દેહાભિમાન(હું દેહ છું-દેહ ભાન) જ નિરુપયોગી છે.
આથી તેમણે તે દેહાભિમાન ગુરુદક્ષિણામાં અર્પણ કર્યું. જનકરાજાએ કહ્યું-હવે તું કૃતાર્થ થયો.

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE