Jun 2, 2020

ભાગવત રહસ્ય -૨૯૩

ગોપી,નૌલખો હાર અને લાલાની –સાદી વાર્તા પાછળનો સિદ્ધાંત દિવ્ય છે.
હાર,વસ્ત્રો,ચાંદીની થાળી વગરે લૌકિક સુખના પ્રતિક છે, જે લૌકિક સુખ ને છોડે,તેને લાલો મળે.જે લૌકિક સુખમાં આનંદ માને તેને પરમાનંદ મળતો નથી.
પરમાત્મા પરમાનંદનું સ્વ-રૂપ છે.જે આનંદ કાયમ માટે ટકે તેને પરમાનંદ કહે છે.
વિષયાનંદ એક-બે ક્ષણથી વધારે ટકતો નથી.

બાળક રડતું હોય,ત્યારે મા તેને રમવા રમકડાં આપે છે અને પોતે ઘરકામ કરવા લાગે છે.
પણ બાળક રમકડાં સાથે રમે નહિ અને રડવાનું ચાલુ રાખે તો-મા બાળકને ગોદમાં લેશે.
બાળક જો રમકડાંથી રીઝી જાય તો મા,બાળકને ગોદમાં લે નહિ.
પરમાત્માએ પણ આપણને લૌકિક સુખોનાં રમકડાં રમવા આપ્યાં છે, અને જો લૌકિક સુખોમાં આપણને 
આનંદ મળે તો પરમાત્મા આપણને ગોદમાં લે નહિ.(કે આપણી ગોદમાં આવી બેસે નહિ.)

ગોપીઓ યશોદાના ઘરમાં અંદર પ્રવેશ કરી,લાલાને ખોળે બેસાડી નાચે છે,લાલાનો જયજયકાર કરે છે.
અને પુરુષો બહાર રહી ગયા છે.જે ગોપીની જેમ નમ્ર બને તેને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળે છે.
સ્ત્રી એ નમ્રતાનું પ્રતીક છે,પુરુષ એ અહંકારનું પ્રતીક છે.
અહંકારીને –ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળતો નથી. જ્યાં “હું” છે-ત્યાં પરમાત્મા આવતા નથી.
મધુર વાણી,વિનય,ઉદારતા અને સરલ સ્વભાવથી સર્વને આનંદ આપી,નંદબાબા સર્વને નિસ્વાર્થભાવે પ્રેમ કરે છે.એટલે તેમને ત્યાં પરમાત્માની પધરામણી થઇ છે.

કંઈક અપેક્ષા રાખીને કરેલો પ્રેમ –પરિણામમાં રડાવે છે.બીજાને સુખી કરવાની ઈચ્છા છે તેના ઘેર દુઃખ આવતું નથી. પણ ”હું જ સુખી થાઉં” એવું જે ઈચ્છે-તે કદી સુખી થતો નથી.
મનુષ્યનો જન્મ બીજાને સુખી કરવા માટે છે.મનુષ્ય કદાચ પરોપકારમાં શરીર ઘસાવે છે પણ તેને થાય છે-કે-લોકોએ મારી કદર કરી નહિ. કદર કોઈ મનુષ્ય કરી શકે નહિ.મનુષ્ય સ્વાર્થી છે.
પણ પ્રભુના દરબારમાં કદર થાય –તે જ સાચી.

સર્વના આશીર્વાદ મળે તો સર્વેશ્વર આપણે ઘેર આવે. સર્વનો આશીર્વાદ મેળવવો કઠણ છે.
સર્વના આશીર્વાદ ન મળે તો કંઈ નહિ પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈનો નિસાસો ન લાગે.
કોઈ પણ જીવનો નિસાસો ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે.
નંદ બાબાએ કોઈનો નિસાસો લીધો નથી પણ,તે સર્વને આનંદ આપે છે.
વાણી,વિચાર અને વર્તનથી સર્વ ને આનંદ આપે તે નંદ.
સર્વ ને આનંદ આપનાર નંદને ત્યાં પરમાનંદ (પરમાત્મા) પ્રગટ થાય છે.

ઉત્તમમાં ઉત્તમ દાન માનદાન છે.સર્વ જીવો શિવ સ્વરૂપ છે-તેમ સમજી-સર્વને માન આપવું જોઈએ.
સંતો સદા સાવધાન હોય છે,કે પોતાના વર્તનથી –વ્યવહારથી કોઈને ઉદ્વેગ,અશાંતિ,દુઃખ ન થાય.
જે સર્વ સાથે પ્રેમ કરે છે-તેને ત્યાં સર્વેશ્વર આવે છે.
ગોકુલ માં સર્વત્ર મહોત્સવ નું વાતાવરણ થઇ ગયું છે. “નંદ ઘેર આનંદ ભયો-જય કનૈયા લાલકી”
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE