Mar 12, 2020

ભાગવત રહસ્ય-૨૧૨

મનુ મહારાજને ત્યાં,ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેના વંશ માં માંધાતા થયો.
માંધાતા રાજાની પચાસ કન્યાઓનું લગ્ન સૌભરીઋષિ સાથે થયેલું.
સૌભરી તપશ્ચર્યા કરતા હતા.તે સિદ્ધ થયા –એટલે લોકોની બહુ ભીડ થવા માંડી.
બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે,સૌભરી વિચારે છે-કે –હું ક્યાં જાઉં ? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે.

એકવાર એમને અભિમાન આવ્યું કે-પરમાત્માની માયા મને શું અસર કરવાની ??
અને ત્યાં જ ભગવાને માયા કરી.સૌભરી એ માછલા-માછલીનો પ્રસંગ જોયો, આંખમાં કામ આવ્યો.
ઋષિને સુખ ભોગવવાની ઇચ્છા થઇ.તેથી પંચ્યાસી વર્ષની વયે મહારાજને લગ્ન કરવાનો વિચાર થયો.
તેઓ માંધાતા રાજા પાસે ગયા,અને રાજાને કહ્યું-તારી પુત્રી સાથે મારે લગ્ન કરવા છે.
રાજાએ વિચાર્યું-ઋષિ વૃદ્ધ છે,આવા ઋષિને કન્યા આપીશ તો જિંદગીભર દુઃખી થશે.
અને કન્યા ન આપું તો –મહારાજ શાપ આપશે.
રાજાએ ઋષિને કહ્યું-આપ રાજમહેલ માં પધારો,જે કન્યા આપને પસંદ કરશે તે તમને આપીશ.

સૌભરી ઋષિ સિદ્ધ હતા,તે પોતાનું સ્વરૂપ બદલી અને અતિસુંદર સ્વરૂપ ધારણ કરી રાજમહેલમાં ગયા.
ઋષિ ને પરણવા માટે પચાસ કન્યાઓમાં ઝગડો થાવ લાગ્યો.
એટલે માંધાતા રાજાએ પચાસે પચાસ કન્યાઓના લગ્ન સૌભરી જોડે કર્યાં.
સૌભરી ભોગ ભોગવે છે.પરંતુ પાછળથી વિવેક-બુદ્ધિ જાગૃત થઇ અને ઋષિને પસ્તાવો થયો.

સૌભરી કહે છે-કે-હું તપસ્વી હતો-પણ વિલાસી બન્યો.માછલા-માછલીનો પ્રસંગ જોવાથી મારી બુદ્ધિ બગડી.
જેને આ જન્મમાં સાધ્ય (પરમાત્મા)ની પ્રાપ્તિ કરવી છે-તે કામ-સુખ ભોગવનારના સંગનો ત્યાગ કરે.
કામ-સંગ ભોગવનારનો સંગ તે-જ કુસંગ.(આમાં સ્ત્રી પુરુષની નિંદા નથી પણ કામ ની નિંદા છે)
સૌભરી ઋષિએ જગતને બોધ આપ્યો છે-કે-કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે. માનવો વચ્ચે રહી તેમના જેવા જ માનવી થવું સહેલું છે.

તે પછી સગર નામનો ચક્રવર્તી રાજા થયો,તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો.
યજ્ઞ નો ઘોડો છોડવામાં આવ્યો,તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા છે.
કપિલમુનિ ના આશ્રમમાં તેઓએ ઘોડો જોયો.તેઓએ માન્યું કે –કપિલ ઘોડાની ચોરી કરી લાવ્યા છે.
આ ચોર છે-તેમને મારો,એમ કહેતાં તેઓ જ્યાં દોડ્યા-ત્યાંજ –કપિલ મુનિએ આંખો ઉઘાડતાં-
તેમના તેજ રૂપી અગ્નિમાં,સગરપુત્રો બળીને ભસ્મ થઇ ગયા.

સગરનો પુત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યો છે.તેણે કપિલ-ભગવાનની સ્તુતિ કરી.
કપિલમુનિએ કહ્યું- તમારા દાદાના યજ્ઞનો ઘોડો ઇન્દ્રે મારા આશ્રમમાં રાખ્યો છે-તેને લઇ જાવ.
અંશુમાને પૂછ્યું-મારા કાકાઓનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો.
કપિલમુનિ એ કહ્યું-કે ગંગાજી પધારે,તો ગંગાજળથી તેમનો ઉદ્ધાર થાય.
      PREVIOUS PAGE          
       NEXT PAGE               
    INDEX PAGE