Mar 25, 2020

ભાગવત રહસ્ય -૨૨૫

ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજીના લગ્નનો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજીના લગ્ન થશે.માટે તેઓને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”

દશરથજી રામના લગ્નની વાત સાંભળી ખુશ થયા છે.વશિષ્ઠમાં તેમને પૂર્ણ વિશ્વાસ હતો.
રામજીએ કહ્યું-કે આપ આજ્ઞા આપો તે કરીશું. અને રામજી જવા તૈયાર થયા.
અને માતા કૌશલ્યાની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે-બેટા,તમારાં પિતા કહે તેમ કરવાનું.
તેમની આજ્ઞા તે જ મારી આજ્ઞા.તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો.

કૌશલ્યાએ વિચાર્યું-મારો રામ યૌવનમાં પ્રવેશ કરે છે,વિશ્વામિત્ર જેવા સંયમી-તપસ્વી પુરુષની સેવા 
કરશે –સત્સંગ થશે-તો સુખી થશે.વળી નારદજીએ કહેલું કે રામજીના લગ્ન આ વર્ષ માં થવાના છે-એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યા એ આશીર્વાદ આપ્યા છે.

યૌવનમાં જ સત્સંગ ની જરૂર છે, પંદર વર્ષની ઉંમર પછી યૌવનની શરૂઆત થાય છે, પંદરથી ચાલીશ વર્ષના ગાળા ને ગદ્ધા-પચીસી કહે છે,તે સમયમાં મનુષ્ય પશુ જેવો થાય છે,તે વખતે-સત્સંગની બહુ જરૂર છે. ડોસાને ડહાપણ આવે –શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે તો તે વખતે તે કંઈ કરી શકતો નથી.

કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું-મારો રામ બહુ શરમાળ છે-તે તો મા ની પણ મર્યાદા રાખે છે,ભૂખ લાગે તો પણ તે મને કંઈ કહેતો નથી. મારી પાસે પણ માગતો નથી તો તમારી પાસે કેવી રીતે માગશે ?
મારો રામ દુબળો ન થાય,તેને માખણ મિસરી ખવડાવજો.
વિશ્વામિત્ર કહે છે-મા તમે ચિંતા ના કરો,મારા આશ્રમ માં ઘણી ગાયો છે, યાદ રાખીને હું રોજ –
રામ-લક્ષ્મણ ને માખણ ખવડાવીશ.

શ્રીરામને –શ્રીકૃષ્ણ ને માખણ-મિસરી બહુ ભાવે છે.
જીવનને મિસરી ની જેમ મધુર (મીઠું-ગળ્યું) બનાવવાનું છે.
જીવનમાં મીઠાશ આવે છે-સંયમથી-સદગુણોથી.
જીવનમાં મીઠાશ લાવવી હોય તો-જગતના સર્વ જીવોને માન આપવું જોઈએ.
બીજાને માન આપવાથી જીવન મીઠું-મધુર થાય છે.
જેના જીવનમાં મીઠાશ નથી તે પ્રભુને ગમતો નથી.

જેનું હૃદય માખણ જેવું કોમળ છે-જેના જીવનમાં ચારિત્ર્યની મીઠાશ છે-તે પ્રભુને ગમે છે.
પણ જેના જીવનમાં કપટ અને કડવાશ છે-તે વ્યક્તિ ભક્તિ કરે તો પણ તેની ભક્તિ ભગવાનને ગમતી નથી. જ્ઞાનદાન,વિદ્યાદાન,અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.
સર્વને માન આપવાનું-એક પૈસાનો પણ ખર્ચો નહિ.
જે કોઈ કર્કશ વાણી બોલતો નથી-કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે-તેના જીવનમાંમિસરી જેવી મીઠાશ આવે છે.

માતપિતાના આશીર્વાદ લઇ ને રામ-લક્ષ્મણ –વિશ્વામિત્રની સાથે નીકળ્યા છે.
વિશ્વામિત્ર સહુથી આગળ ચાલે છે-તેમની પાછળ લક્ષ્મણ અને લક્ષ્મણની પાછળ ચાલે છે શ્રીરામજી.
વિશ્વામિત્ર-એટલે વિશ્વ ના મિત્ર. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે-વિશ્વામિત્ર.
જગતનો મિત્ર છે-જીવ- મનુષ્ય એટલે કે-જીવ –જયારે જગતનો મિત્ર થાય છે-એટલે –
“શબ્દ-બ્રહ્મ” તેની પાછળ પાછળ આવે છે-(લક્ષ્મણ –શબ્દ બ્રહ્મ છે)
અને તેની પાછળ “પર-બ્રહ્મ” (રામજી) પણ આવે છે.
જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ-પણ કોઈ ના વેરી –ના થવાય તો પણ ઘણું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE