Mar 26, 2020

ભાગવત રહસ્ય -૨૨૬

વિશ્વામિત્રની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે.જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.વિશ્વામિત્રે કહ્યું કે-આ ભયંકર રાક્ષસી બાળકો ની હિંસા કરે છે-માટે તેને તમે મારો.
કૃષ્ણલીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે-રામલીલ નો તાડકા રાક્ષસીના વધ થી થયો છે.તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે-તાડકાનો ઉદ્ધાર કર્યો.

વિશ્વામિત્રે રામ-લક્ષ્મણ ને “બલા-અતિબલા” વિદ્યા આપી છે-જેથી ભૂખ-તરસ ન લાગે.
આશ્રમમાં આવ્યા છે-રામજી વિશ્વામિત્રને કહે છે-ગુરુજી હવે તમે યજ્ઞ કરો,હું યજ્ઞનુ રક્ષણ કરીશ.
જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે. એ સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર યજ્ઞ કરે છે.
વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે-યજ્ઞ મંડપના દ્વાર પર રામ-લક્ષ્મણ ઉભા છે-પહેરો ભરે છે.
હાથમાં ધનુષ્ય-બાણ લઇ યજ્ઞનુ રક્ષણ કરે છે. રામજી આજે પણ ત્યાં ઉભા છે.

દ્વારકામાં દ્વારકાનાથજી ”ઉભા” છે, ડાકોરમાં રણછોડરાય “ઉભા” છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ “ઉભા” છે,પંઢરપુર માં વિઠ્ઠલનાથ “ઉભા” છે.
ભગવાન કહે છે-કે-જીવ જયારે મારાં દર્શન કરવા આવે-ત્યારે ઉભો થઇ હું દર્શન આપું છું.
જે જીવ મને મળવા પ્રેમથી આવે તેને મળવા હું આતુર છું, મારા ભક્તોની પ્રતીક્ષા કરતો હું ઉભો છું.
કે-મારાથી વિખુટો પડેલો જીવ મને મળવા ક્યારે આવે.

ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે-પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી.
રામ તો જીવને અપનાવવા તૈયાર છે-પણ આ અભાગિયો જીવ તેને મળવા ક્યાં આતુર થાય છે ?
જગતના કોઈ સ્ત્રી-પુરુષો ને મળવાની ઈચ્છા રાખવાથી,કે તેમને મળવાથી કદાચ થોડીવાર સુખ મળે-
પણ મળ્યા પછી વિયોગનુ દુઃખ છે.
પણ પરમાત્માને મળ્યા પછી –વિયોગનુ દુઃખ સહન કરવાનું રહેતું નથી.
જગતનો સંયોગ અનિત્ય છે-જયારે ઈશ્વરનો સંયોગ નિત્ય છે. ઈશ્વરને મળવાની આતુરતા મહત્વની છે.

સોળ વર્ષ ના રામ –બહુ સુંદર લાગે છે-વિશાળ છાતી અને હાથ –ઘૂંટણને સ્પર્શ કરે છે.
આજાનબાહુ-એ- યોગીનું-મહાભાગ્યશાળીનું લક્ષણ છે. શ્રી રામ આજાનબાહુ છે.
કોઈએ પૂછ્યું-કે પ્રભુ આપે હાથ આટલા લાંબા કેમ રાખ્યા છે ? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો-કે-
મારા ભક્તો મને મળવા આવે તેમાં કોઈ રૂષ્ઠ-પુષ્ઠ હોય તોય તેને પણ બાથ માં સમાવી લેવાય તેટલાં માટે-મેં હાથ લાંબા રાખ્યા છે.મારા વૈષ્ણવ ભક્તો મને મળવા આવે –તેમને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે.રામ રીંછને ભેટે છે,રામ વાનરોને ભેટે છે,રામજી સર્વ પર એવા પ્રેમાળ છે જગતના સર્વ જીવોને પ્રેમ કરે છે. 

રામજી ધનુષ્ય બાણ હંમેશા –સાથે રાખે છે. ધનુષ્ય-બાણને સજ્જ રાખે છે.
ધનુષ્ય બાણ વગરના રામનાં દર્શન કોઈ ઠેકાણે નથી.રાજ્યાસન પર બેઠેલા હોય ત્યારે કે મહેલમાં
સીતાજીની પાસે બેઠા હોય-ત્યારે પણ ધનુષ્ય-બાણ હંમેશા જોડે જ હોય છે.
ઉપનિષદમાં કહ્યું છે-કે-“પ્રણવો હિ ધનુ” ધનુષ્યને પ્રણવ (ॐકાર)ની ઉપમા આપી છે.
ॐકાર એટલે જ્ઞાન-“જ્ઞાન” એ જ ધનુષ્ય છે. બાણ “વિવેક” નુ સ્વરૂપ છે.
જ્ઞાન-ધનુષ્યને,વિવેક-બાણથી હંમેશા સજ્જ રહેવાથી –કામ-રાક્ષસ વિઘ્ન કરવા આવી શકતો નથી.
રાક્ષસો જીવ માત્રની પાછળ પડેલા છે-કામ,લોભ,મોહ-વગેરે રાક્ષસો છે-તે જીવ માત્રને મારે છે.
પ્રતિક્ષણે સાવધાન રહે તેને રાક્ષસો મારી શકે નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE