Apr 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૪

શ્રીકૃષ્ણ કહે છે-કે-સર્વે પ્રાણીઓના (જીવોના) હૃદયમાં (અંતઃકરણમાં) નિવાસ કરનારો હું (ઈશ્વર) છું.મારાથી જ (ઈશ્વરથી જ) –સર્વ પ્રાણીઓને (જીવોને)
જ્ઞાન અને સ્મૃતિ (યાદ રહેવું તે) ઉત્પન્ન થાય છે. વળી મારાથી જ (ઈશ્વરથી જ)
અજ્ઞાન અને વિસ્મરણ (ભૂલી જવું તે) પણ ઉત્પન્ન થાય છે.

બધા વેદો (ચાર વેદો)થી જે જાણવાનું –સત્ય (બ્રહ્મ) છે તે હું જ (ઈશ્વરજ) છું.
વેદોનો કર્તા (વેદોનો રચનાર) હું (ઈશ્વર) છું અને વેદોનો જ્ઞાતા (જાણનાર) હું (ઈશ્વર) છું. (૧૫)

જેમ સૂર્યના પ્રકાશથી જ સૂર્યનાં દર્શન થાય છે.
તેમ પરમાત્માનું “જ્ઞાન” થવા માટે પરમાત્મા જ કારણભૂત છે.

અને જેમ દિવસે વાદળાં ઘેરાવાથી સૂર્યનો પ્રકાશ ઓછો થાય છે-તે પણ –પ્રકાશ વડે જ જાણવામાં આવી 
શકે છે-તેમ-પ્રાણીઓ (જીવો) પરમાત્માને ના ઓળખી ને વિષયોનું (સ્વાદ-વગેરેનું) સેવન કરવામાં
મસ્ત બને છે-અને અજ્ઞાનનું આવરણ થાય છે-તે પણ પરમાત્માની સત્તાથી જ થાય છે.

જ્ઞાની હોય કે અજ્ઞાની-સર્વ જીવોનું મૂળ કારણ –પરમાત્મા જ છે.
જે પ્રમાણે,અંધારામાં રજ્જુ (દોરડી) એ સર્પ (સાપ) ભાસે (લાગે) છે,તે ભાસનું મૂળ કારણ રજ્જુ જ છે,
તે પ્રમાણે,મનુષ્યમાં જ્ઞાન કે અજ્ઞાન વધે-તેનું મૂળ કારણ –પરમાત્મા જ છે.

પરમાત્માનું ખરું સ્વરૂપ ન જાણી શકાયાથી-વેદો-પરમાત્માને જાણવા માટેની ખટપટ કરવા લાગ્યા.
તેથી તેની શાખાઓ થઇ.અને તે દરેકમાં પરમાત્માનું જ વર્ણન છે.

જે પ્રમાણે-કપૂર ને સળગાવવામાં આવે અને તેના બળી ગયા પછી-
તેની પાછળ-તેની મેશ રહેતી નથી-અને અગ્નિ પણ રહેતો નથી-
તે પ્રમાણે-‘અજ્ઞાન’નો સંપૂર્ણપણે નાશ કરનાર ‘જ્ઞાન’-નો પણ જે વેળાએ સંપૂર્ણ પણે નાશ પામે છે-
તેવા વખતે-તે –“જ્ઞાન” નથી એમ પણ નથી કહી શકાતું અને તે “જ્ઞાન” છે એમ પણ નથી કહી શકાતું.

એટલે એમ પણ કહી શકાય કે-જ્ઞાન અને અજ્ઞાન-બંનેનો લય (નાશ) થતાં-
જે શુદ્ધ સ્વરૂપ –બાકી રહે છે-તેમાં-“શબ્દ” પ્રવેશી શકતો જ નથી.

માટે –તે (બ્રહ્મ) –છે-કે –તે (બ્રહ્મ) નથી-એ શબ્દ દ્વારા કહી શકાતું નથી,તેનું વર્ણન થઇ શકતું નથી.
અને તેને કોઈ સાધનથી શોધી શકાતું પણ નથી.(માત્ર અનુભવી જ શકાય છે)
આવી કોઈ એક વિશેષ “સ્થિતિ” છે-(નિરાકાર-નિર્ગુણ) –તે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે.

આમ-અહીં-શ્રીકૃષ્ણ-
સ્થૂળ અને સૂક્ષ્મ-જગતના સર્વ પદાર્થોમાં (જીવોમાં- (પ્રાણીઓમાં) –
પોતાની (પરમાત્મા ની) વ્યાપ્તિ નું નિરૂપણ કરતાં કરતાં –છેવટે-તે -
પોતાના નિરુપાધિક (ઉપાધિ-માયા-પ્રકૃતિ વગરના) સ્વરૂપને બતાવી દે છે.

હવે પછી ક્ષર-અક્ષર અને પુરુષોત્તમ-પુરુષ નું વર્ણન છે. આ અત્યંત ગુહ્ય શાસ્ત્ર છે.
અને તેને બરોબર રીતે સમજવું જરૂરી છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  

            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE