May 14, 2020

ભાગવત રહસ્ય -૨૭૪

યૌવનમાં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.
વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે.ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી.વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.

વનવાસ મનુષ્યના હૃદયને કોમળ બનાવે છે,વનવાસમાં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું બીજું કોઈ નથી.અરણ્યકાંડ આપણને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમને વધારી વાસનાનો વિનાશ કરો.
ઉત્તમ સંયમ-- એ તપ છે.પહેલો સંયમ જીભ પર રાખવાનો હોય છે.
વનવાસ દરમિયાન રામજીએ અનાજ –લીધું નથી.ફળાહારી રહ્યા છે. કંદમૂળનું સેવન કર્યું છે.
અન્નમાં રજોગુણ છે.રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે.
સીતાજી સાથે રહેવા છતાં-રામજી-પૂર્ણ નિર્વિકાર છે.


ધીરે ધીરે વાસનાનો વિનાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે અરણ્યકાંડમાં.
દાનથી વાસનાનો નાશ થતો નથી,પ્રભુમાં પ્રેમ થતો નથી.વાસનાનો વિનાશ પ્રભુના નામથી થાય છે.
વાસના પર વિજય મેળવવો હોય –તો- જીવનને ખૂબ સાત્વિક બનાવવું પડે.
જીવનમાં તપશ્ચર્યા કરવામાં આવે તો જ રાવણ એટલે કે કામ મરે છે.

અરણ્યકાંડમાં શૂર્પણખા=મોહ ,અને શબરી=શુદ્ધ ભક્તિ-મળે છે.
શૂર્પણખા-એટલે કે મોહની સામે ભગવાન જોતા નથી,પણ શુદ્ધ ભક્તિ એટલે કે શબરીની સામું જુએ છે.
મોહને કાપી નાંખી શુદ્ધ ભક્તિ અપનાવવાની છે.

મનુષ્ય નિર્વેર,નિર્વાસન –બને તો જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય.એટલે અરણ્ય કાંડ પછી આવે છે-કિષ્કિંધાકાંડ.આ કાંડમાં જીવ (સુગ્રીવ) અને ઈશ્વર (રામજી)ની મૈત્રી બતાવી છે.
અરણ્યકાંડમાં કામનો ત્યાગ કર્યો એટલે જીવ અને ઈશ્વરનું મિલન થયું.
પણ બંનેની મૈત્રી- ત્યારે થાય કે જયારે વચ્ચે હનુમાનજી (બ્રહ્મચર્ય) વકીલાત કરે.

સુગ્રીવનો અર્થ થાય છે-જેનો સારો કંઠ છે-તે. કંઠની શોભા આભુષણથી નથી પણ-
ભગવાનના નામજપથી છે.રામનામથી છે.
હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે, ભક્તિ અને બ્રહ્મચર્ય વગર ઈશ્વરની મૈત્રી થતી નથી.
લખ્યું છે-કે-બ્રહ્મચર્યના બળ વગર ભજનમાં આનંદ આવતો નથી.

જીવ અને ઈશ્વરની મૈત્રી થઇ –એટલે જીવન સુંદર થયું,એટલે આવ્યો-સુંદર કાંડ.
જ્યાં સુધી જીવ ઈશ્વરની મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી.
મૈત્રી કરવા લાયક એક પરમાત્મા છે.જે પરમાત્મા માટે જીવે છે,પરોપકાર માટે જીવે છે,તેનું જીવન સુંદર છે.
જે ઈન્દ્રિયસુખ ભોગવવા માટે જીવે છે-તેનું જીવન –એ જીવન નથી,મરણ છે.

કિષ્કિંધાકાંડ પછી આવે છે-સુંદરકાંડ.સુંદરકાંડ નામ પ્રમાણે અતિ સુંદર છે.તેમાં રામભક્ત હનુમાનની કથા આવે છે.રામસેવા એ જ હનુમાનજીનું જીવન છે.રામનું નામ એ જ હનુમાનજીનું ભોજન છે.
સેવા ને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE