Jun 23, 2020

ભાગવત રહસ્ય -૩૧૩

યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,તો સૂઈ ગયેલો લાલો જાગી જશે એટલે લાલાનું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડા ની તળે બાંધ્યું છે.યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળકને લીધા વગર આવી હોય તો ઠપકો આપી બાળકને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળકને લઈને આવે –એટલે યશોદાજી બાળક ના કપાળમાં તિલક કરે છે ને હીરા-મોતીની કંઠી પહેરાવે છે,બાળકને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.

ગોપીઓ હૃદયથી આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણલાલકી જય હો.
ઘરમાં આવેલાં વ્રજવાસીઓનું સન્માન કરતાં તન્મય થયા છે,લાલાને ભૂલી ગયા છે.
બીજી બાજુ બાલકૃષ્ણ જાગ્યા છે,આંખો ખોલી ને જુએ છે –કે- “મા ક્યાં છે ? મારી મા ઉત્સવ મારો કરે છે અને મને જ ભૂલી ગઈ છે,મને અહીં ગાડા નીચે રાખ્યો છે,ઘરની બહાર કાઢ્યો છે,”
ઉત્સવના દિવસે ભગવાનને ભૂલી જવા –એ બરાબર નથી.

મનુષ્ય સારું કર્મ કરે અને ભગવાનને ભૂલે તો –સૂક્ષ્મરૂપે અભિમાન વધે છે.“હું કરતો નથી,ભગવાન કરે છે” તેમ માનવાથી અને “સારું કર્મ ભગવાને કરાવ્યું અને ખરાબ થાય તો તે મેં કર્યું” એવું માનવું –તેને જ ભક્તિ કહે છે.મનુષ્ય શું કરવાનો હતો ? શક્તિ અને બુદ્ધિ નું દાન તો ઈશ્વર કરે છે.
યશોદા મા- લાલાને ભૂલી ગયાં એટલે વિપત્તિ આવી. (શકટા-સુર રાક્ષસ આવ્યો)

જીવનમાં જ્યાં સુધી થોડીક પણ અપેક્ષા છે-ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી, વ્યવહાર કરવો પડે છે.
વ્યવહાર કરવો તે ગુનો નથી પણ વ્યવહાર કરતાં કરતાં તેની સાથે એક થવું તે ગુનો છે.
ધંધો કરવો તે પાપ નથી પણ ધંધો કરતા ભગવાનને ભૂલી જવા તે પાપ છે.વેપારી દુકાનમાં ભગવાનની પૂજા કરે છે,પણ ગ્રાહક વસ્તુ લેવા આવે એટલે તરત તે ભગવાનને ભૂલી જાય છે.ગ્રાહકને તે ઈશ્વરની સન્મુખ જ છેતરે છે.પાંચ રૂપિયાની વસ્તુ પચીસમાં આપે અને છતાં ગ્રાહક ને કહે કે –તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે આપું છું. લેનાર એમ સમજે છે-કે ભાઈબંધ છે એટલે ખોટ ખાઈને માલ આપે છે.તેને “પડતર ભાવ” નો જે શબ્દ વેપારી બોલે છે-તેના અર્થની ખબર નથી.“પડતર ભાવ” એટલે કે-તું પડવાનો-અને-હું તરવાનો.

લક્ષ્ય ને લક્ષ્યમાં રાખી વ્યવહાર કરવાનો છે. અને લક્ષ્ય છે-પરમાત્મા ને મળવાનું.
લક્ષ્ય ને જે ભૂલે છે-તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
જ્ઞાની મહાત્માઓ ઈશ્વરને ભૂલતા નથી અને વ્યવહાર કરે છે.

ગોપીઓ  સન્માન કરતાં યશોદાજી- લાલા  ભૂલી ગયાં તે લાલા  ઠીક ના લાગ્યું, એટલે ધીરે ધીરે 
રોવાનું ચાલુ કર્યું, બાળક રોવે એટલે પગ પણ ઉંચા થાય છે,લાલા  પગ પણ ઉંચા થયા છે.
ઉપર જુએ તો –ગાડા પર શકટા-સુર રાક્ષસ (પૂતનાનો ભાઈ) બેઠો છે,પૂતનાનું વેર લેવા આવ્યો છે.
રાક્ષસ વિચારે છે-કે –આ બાળકે જ પૂતનાનો વધ કર્યો છે,અત્યારે લાગ સારો છે,ગાડા પર બેસીને દબાવીદઉં એટલે તે મરી જશે. કૃષ્ણ પણ મનમાં વિચારે છે-કે મામા કંસે વળી આ નવું રમકડું મોકલ્યું લાગે છે.
એટલે પગ ઉછાળી ગાડા ને પગથી ઠોકર મારી.એટલે ગાડું ઉંધુ પડી ગયું અને શકટા-સુર પણ ઉથલી ગયોઅને ઉકલી ગયો.(મરી ગયો). આ ભાણો એવો છે કે મામાનાં બધાં રમકડાં તોડી નાખે છે.

યશોદાજી અને ગોપીઓ દોડતાં દોડતાં ત્યાં આવ્યાં અને લાલા ને એકદમ ઉઠાવી લીધો છે,બધાં વિચારે છે કે આ ગાડું- ઉંધુ કેવી રીતે થયું ? સારું થયું કે લાલો બચી ગયો. ત્યાં રમતાં બાળકો કહે છે-કે-
મા આ લાલો રડતો હતો અને તેને પગ લાંબા કરીને આ ગાડું ઉંધુ પાડ્યું અને આ રાક્ષસને માર્યો છે.
યશોદાજી માનવા તૈયાર નથી,ત્રણ મહિનાનો લાલો ગાડાને ઉંધુ કેવી રીતે પાડી શકે ?
કનૈયાને મારવા શકટા-સુર આવ્યો પણ પોતે જ હરિ ને શરણ થયો. (શકટ ભંજન-લીલા)
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE