Jul 14, 2020

ભાગવત રહસ્ય -૩૩૧

ગોકુલમાં એક પ્રભાવતી નામે ગોપી રહેતી હતી. તે જરા અભિમાની હતી,તેના મનમાં ઠસક હતી.તેણે કહ્યું-કે એમાં શું મોટી વાત છે? હું લાલાને પકડીને બતાવીશ.
પ્રભાવતી વિચારે છે-કે-કનૈયો કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે,પેટ ભરીને માખણ આરોગે પછી,તેણે પકડવો છે.તેથી તે પલંગની નીચે સંતાઈને બેઠી છે.બાળકો સાથે લાલો ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે.


લાલો મિત્રોને કહે છે-કે-મને કોઈ માણસની વાસ આવે છે. પ્રભાવતી વિચારે છે- ખરો છે,તેને મારી વાસ આવે છે. લાલાએ મિત્રોને કહ્યું કે-તમે ધીરે ધીરે ચાલજો.આજે-બાળકો ક્ફ્લમ ક્ફ્લમ –બોલે છે.કનૈયાએ માખણ ઉતાર્યું,અને બાળકોને ખવડાવે છે.શ્રીકૃષ્ણનો મિત્ર પ્રેમ કેટલો દિવ્ય છે-કે મિત્રોને માટે તે માખણચોર બન્યા છે.વળી કનૈયો જે ઘરમાં જાય તેની બારી પાસે વાંદરાઓ આવે છે,બાળકો ને માખણ ખવડાવ્યા બાદ કનૈયો તે વાંદરાઓને પણ,માખણ ખવડાવે છે.

જીવનો એવો સ્વભાવ છે કે-કોઈના કરેલા ઉપકારને તે ભૂલી જાય છે અને અપકારને યાદ રાખે છે.પણ કરેલા થોડા પણ ઉપકારને ભગવાન ભૂલતા નથી.શાસ્ત્રમાં દરેક પાપના પ્રાયશ્ચિત બતાવ્યા છે,પણ ઉપકારને જે ભૂલી જાય તેનું કોઈ પ્રાયશ્ચિત નથી.પ્રભુ આજે વાનરોના ઉપકારોનું સ્મરણ કરે છે.”રામાવતારમાં આ મારા ભક્તો -વાનરોએ મારી ખૂબ સેવા કરી છે,ઝાડનાં પાંદડા ખાઈને મારી સેવા કરી છે,તે વખતે હું તપસ્વી હતો,તેમને કંઈ આપી શક્યો નહોતો,આજે તેમને હું ખૂબ માખણ ખવડાવીશ.”

પ્રભાવતી ગોપી આ બધું જોઈ રહી છે.”કનૈયો તો માખણ ખાતો નથી,તે ખાય પછી તેને પકડું.”
બાળકોએ લાલાને આગ્રહ કર્યો કે –લાલા તું કેમ ખાતો નથી? 
કનૈયો કહે છે કે-તમે બધા ખાવ પછી હું ખાઇશ.બાળકો એ પેટ ભરી ને માખણ ખાધું છે.
પ્રભાવતી ધીરે ધીરે બધાની નજીક આવી.મિત્રોએ આ જોયું,અને કહેવા લાગ્યા,પેલી આવી,લાલા ભાગ.
કનૈયો કહે છે-કે છો આવી,તે શું કરવાની છે ?પ્રભાવતીએ લાલાનો હાથ પકડ્યો,થોડી વાર તો લાલાને 
બીક લાગી,અને કહે છે-મને છોડ મને છોડ.હવે કનૈયો ઢોંગ કરે છે-મને છોડી દે,મને મારી મા મારશે,
મને છોડી દે તને તારા ધણી ના સોગંધ,તારા સસરા ના સોગંધ.

પ્રભાવતી કહે છે-કે આજે તું બરોબર હાથમાં આવ્યો છે ,આજે હું તને યશોદામા પાસે લઇ જઈશ.
પ્રભાવતીનો છોકરો કનૈયાના મંડળનો સભ્ય હતો,તે ને થયું કે લાલાને યશોદા મા મારશે.
એટલે તે પ્રભાવતી પાસે આવ્યો છે,અને મા ને કહે છે-કે-મા તને પગે લાગી ને કહું છું કે લાલાએ ચોરી કરી નથી,મે ગઈકાલે તેને આમંત્રણ આપ્યું હતું.મારા આમંત્રણથી તે આવ્યો છે,લાલાએ માખણ મને ખવડાવ્યું છે,તારે જે સજા કરવી હોય તે મને કર, પણ મા,તું લાલાને છોડી દે.

પ્રભાવતીને થયું કે લાલાને છોડી દઉં,પણ વિચારે છે-કે-યશોદાજીને ખાત્રી થતી નથી,કે લાલો ચોરી કરે છે,
આજે ફક્ત યશોદાજીને ખાતરી કરાવવી છે,મા,લાલાને ઠપકો આપશે ત્યાં સુધી સાંભળીશ.
પણ લાલાને મારવા નહિ દઉં,લાલો મારો પણ છે.
એટલે તેના બાળકને ધમકાવે છે-મોટો વકીલાત કરવા આવ્યો છે,જા અહીંથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE