Jun 29, 2020

ભાગવત રહસ્ય -૩૧૯

એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ 
“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.
તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે
“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી”
કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.

લાલા ને કાને આ શબ્દ પડ્યો. “આ તો જબરી છે,મને વેચવા નીકળી છે”
તે જ વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે અને ગોપીને કહે છે-કે-
અરી ગોપી,હું ગોકુલનો રાજા છું,તું મને માખણ (દાણ રૂપે-ટેક્ષ રૂપે) આપ્યા વગર ક્યાં જાય છે ?
વૃંદાવનમાં દાણ ગલી છે,જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ દાણ (ટેક્ષ) માગતા.અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં અતિશય પ્રેમ છે અને તે કનૈયાને ચીડવે છે.

ગોપી કહે છે-કે-તું શાનો ગોકુલનો રાજા ? ગોકુલનો રાજા તો દાઉભૈયા છે.હું તેમને માખણ આપીશ,તને નહિ.
ખબર પડતી નથી ? જા અહીંથી.નંદબાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઇ આવ્યા છે ?
નંદ બાબા ગોરાને તું કાળો,ક્યાંથી આવ્યો ?
લાલાજી કહે છે-કે-તું આવું બોલે છે ? હું તને જોઈ લઈશ.અને લાલાએ ગોપીની સાડી પકડી છે.
ગોપી કહેવા લાગી-લાલા,મને છોડ,મારા દહીં,દૂધ ઢોળાઈ જશે,મારાં સાસુ મને વઢશે.
છેવટે ગોપીએ લાલાને ધક્કો મારી સાડી છોડાવી દીધી અને માખણ આપ્યું નહિ.તે ચાલવા લાગી.
પાછળ જુએ છે તો કનૈયો રીસાયેલો લાગે છે,પાછળ પાછળ આવે છે.

ગોપી નું હૃદય પીગળ્યું છે અને કહે છે-લાલા,તને હું માખણ આપું છું,મારી ભૂલ થઇ.
કનૈયો કહે છે-કે- મારે હવે કશું જોઈતું નથી. ગોપી આગળ ચાલે છે.
અને હવે લાલાએ ગમ્મત (લીલા) કરી છે,એક પથ્થર લઇ ગોળી પર માર્યો છે,ગોળી ફૂટી ગઈ અને ગોળીનું બધું દહીં ઢોળાઈ ગયું. આવી લીલા બીજા કોઈ દેવ કરી શકે નહિ.
કનૈયો દોડતો ઘેર આવ્યો છે, મા પૂછે છે કે –બેટા શું થયું ?

કનૈયો કહે છે-કે-એક ગોપી વાઘણ જેવી છે તે મારી પાછળ પડી છે.મને મારવા આવે છે.
યશોદાજી પૂછે છે-કે-તે કોઈ તોફાન કરેલું ? કનૈયો કહે છે-ના. અને મા ની ગોદમાં ભરાઈ બેઠો છે.
પેલી ગોપી ઘરે આવી અને યશોદાજીને ફરિયાદ કરી કે-મા તમે લાલાને બહુ લાડ લડાવો છો.
કનૈયો બહુ તોફાન કરે છે,પથ્થર મારીને મારી ગોળી ફોડી નાખી,મારાં દહીં-દૂધ ઢોળાઈ ગયા.

શ્રીકૃષ્ણ કહે છે-કે- મા આ ગોપી બહુ કંજૂસ છે,બે ત્રણ દિવસનું વાસી દહીં લઈને તે વેચવા જતી હતી,
કોઈ ગરીબ વાસી દહીં ખાય અને માંદો પડે એટલે મે તેની ગોળી ફોડી છે.
યશોદા ગોપીને પૂછે છે-તને વિવેક નથી,શું આ વાત સાચી છે ?
ગોપી કહે છે-કે- મા,ત્રણ દિવસ નહિ પણ બે દિવસ જરૂર થયા હતા. 
ગોપી હસવા લાગી.આ કનૈયો બોલવામાં પણ બહુ ચતુર છે.
શ્રીકૃષ્ણ લીલા મંગલમય છે,તેમાં છલોછલ પ્રેમ ભરેલો છે,ગોળી ફોડે તો પણ કનૈયો વહાલો લાગે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE