Aug 15, 2020

ભાગવત રહસ્ય -૩૬૧

જમુનાજીને કિનારે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે અને ઉપનંદકાકા સુંદર વાંસળી વગાડે છે.લાલાએ તે વખતે ઉપનંદકાકાને કહ્યું-કે-કાકા મને તમારી વાંસળી આપો,મારે તમારા જેવી વાંસળી વગાડવી છે.ત્યારે ઉપનંદકાકા કહે છે-કે-બેટા મારા જેવી વાંસળી વગાડતાં તને આવડે નહિ,હું ચાલીસ વર્ષથી વાંસળી વગાડું છું.ચાલીસ વર્ષથી મહેનત કરું છું –ત્યારે આવી વાંસળી વગાડી શકું છું.મારી પાસે આ એક જ વાંસળી છે,પણ હું તને જંગલમાંથી વાંસ કાપીને નવી વાંસળી બનાવી આપીશ.

જંગલમાં ફરતાં ફરતાં લાલાએ વાંસ બતાવ્યો.ઉપનંદકાકા વાંસને કાપવા વાંસ પાસે ગયા,પણ ત્યાં જઈને જોયું તો ત્યાં તો દેવોએ પહેલેથી જ તૈયાર વાંસળી મૂકી રાખી હતી.ઉપનંદકાકાને આશ્ચર્ય થયું અને તેમણે લાલાને કહ્યું કે-લાલા તારા માટે અહીં કોઈએ વાંસળી,પહેલેથી જ મૂકી રાખી લાગે છે. લે આ વાંસળી અને 
હું વાંસળી વગાડું તે જોઈને હવે શીખજે.લાલાએ તરત જ વાંસળી હોઠ પર મૂકીને વાંસળી છેડી.(વગાડી).
વાંસળીમાંથી જે મધુર ધ્વનિ નીકળ્યો,તે સાંભળી ગાયો હુમ્ભ...હુમ્ભ..કરતી દોડતી આવે છે.
ઉપનંદકાકાને ફરીથી આશ્ચર્ય થયું છે કે-આવી વાંસળી વગાડતાં તો મને પણ આવડતી નથી.
ભગવાન શ્રીકૃષ્ણ આજે મુરલીધર થયા છે.શ્રીકૃષ્ણ સુંદર વાંસળી વગાડે છે અને બંસીના સુંદર ધ્વનિ (નાદ)થી જીવમાત્રનું આકર્ષણ કરી તેમની પાસે બોલાવે છે,પણ મોહક વિષયોમાં ફસાયેલા જીવને એ ધ્વનિ (નાદ) સંભળાતો નથી !!!!!! 

હવે વત્સાસુર અને બકાસુર નામના રાક્ષસોના વધની કથા આવે છે.
ભક્તિ ના કિનારે (જમુનાજીના કિનારે) –ભક્તિમાં બે વિઘ્નો આવે છે.
(૧) વત્સાસુર=અજ્ઞાન-અંધશ્રદ્ધા (૨) બકાસુર=દંભ 
ઘણા અજ્ઞાની-અને માત્ર અંધશ્રદ્ધાવાળા મનુષ્યો ટીલાં-ટપકાં કરી ને અને માળાઓ પહેરી ને –ભક્તિ શું છે તેની સમજ પણ ના હોય તો પણ જગતને, “પોતે મહાન ભક્ત છે” એમ બતાવતા ફરે છે-છેતરે છે-તે દંભ છે. એમના કરતાં જે નાસ્તિક છે તે વધુ સારો-કારણકે તે કોઈ ને છેતરતો નથી.
પણ આવા કહેવાતા “બગ (બગલા) ભગતો” જગતને ભક્તિનો દંભ કરી છેતરે છે –તે એક પાપ--
અને ઈશ્વરની ભક્તિ કરતા નથી --તે બીજું પાપ-એમ બે પાપ કરે છે.

બગલો એ દંભનું પ્રતિક છે.તળાવમાં એક પગે શાંતિથી હાલ્યા-ચાલ્યા વગર ઉભો રહે છે પણ જેવી માછલી આવે એટલે તેને લાંબી ચાંચથી પકડી લે છે. તેમ –જગતમાં આવા બગલાના જેવા દંભી બગ-ભગતો,ભક્તિ કરતા નથી,પણ ધન-કીર્તિના લોભથી ભરેલા આવા બગ-ભગતો,જગતને બતાવે છે કે-પોતે મોટા ભગત છે.અને જગતને છેતરે છે.ભક્તિના કિનારે (યમુનાના કિનારે) જ આવો દંભ આવે તો તે-ભક્તિ નથી.
જેનો સ્વાંગ ઉપરથી સારો છે પણ જેની કરણી મેલી છે-તે “બકાસુર” છે.
આવા દંભી અને જગતને છેતરનારને ભગવાન મારે છે.
ભગવાન શ્રીકૃષ્ણે વત્સાસુર (અજ્ઞાન-અંધશ્રદ્ધા) અને બકાસુર (દંભ) –નો વધ કર્યો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE