Sep 12, 2020

ભાગવત રહસ્ય -૩૮૯

યશોદા મા નો પ્રશ્નનો જવાબ આપતાં કનૈયો કહે છે કે-મા હું તારો છું.હું તારો જ પુત્ર છું.યશોદા કહે છે કે-લોકોને શંકા થાય છે કે,નંદ-યશોદા ગોરા અને તું કાળો કેમ ?
કનૈયો કહે છે કે-મા,મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો,પણ તેં ભૂલ કરી તેથી હું કાળો થયો.મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું,બધાં સૂતેલાં હતાં અને તું પણ સુતેલી હતી, હું આખી રાત અંધારામાં આળોટ્યા કર્યો,તેથી અંધારું મને વળગી ગયું,અને હું કાળો થયો.

યશોદાજી કનૈયાની વાત સાચી માને છે.”હું બાર વાગ્યા સુધી જાગતી હતી,પણ પછી શું થયું તે મને ખબર નથી” યશોદાજી બહુ ભોળાં છે.માને છે કે-મેં ભૂલ કરી એટલે કનૈયો કાળો થયો.
જ્ઞાનેશ્વરજી મહારાજ મહાજ્ઞાની છે.પંદરમે વર્ષે તો તેમણે ગીતા પર ભાષ્ય (જ્ઞાનેશ્વરી ગીતા) લખેલું.
તેઓ કહે છે કે-પ્રભુનું શરીર તેજોમય છે.પણ 
આ જીવ તેમનાં દુરથી દર્શન કરે છે,એટલે ભગવાન શ્રીકૃષ્ણ શ્યામ રંગના લાગે છે.
જે જ્ઞાની ભક્તો ભગવાન સાથે એક થાય છે,તેમને ખાતરી થાય છે કે –ભગવાનનું શરીર તેજોમય છે.

એકનાથ મહારાજ જ્ઞાની પણ છે અને ભક્ત પણ છે.તેમણે જુદું કારણ બતાવ્યું છે.
તેઓ કહે છે કે-પ્રભુ તો શ્યામસુંદર જ છે.પ્રભુમાં શ્યામતા છે,તેનું કારણ મને જુદું લાગે છે.
મનુષ્યના કાળજામાં કામ હોય છે,અને કામનો રંગ કાળો છે.
જે મનુષ્ય વારંવાર કિર્તન કરે,ધ્યાન,ધારણા,સ્મરણ અને પ્રભુનું ચિંતન કરે તેના કાળજાની કાળાશ કનૈયો ખેંચી લે છે (અને ભક્તોનું કાળજું ઉજ્જવળ બનાવે છે) તેથી કનૈયો કાળો થયો છે.

ગોપીઓ વળી જુદું કારણ બતાવે છે.લાલાને ગોપીઓ એ આંખમાં રાખ્યો છે,અને તે ગોપીઓ જયારે આંખમાં મેંશ આંજે છે,તે મેંશ લાગી જવાથી - કનૈયો કાળો થયો છે.
રાધાને શ્રીકૃષ્ણ જુદું જ કારણ આપે છે.”હું તો ગોરો હતો,પણ તારી શોભા વધારવા હું કાળો થયો છું.
તારું સૌન્દર્ય મારાથી વધે, એટલે તારી શોભા વધે અને લોકો તારાં વખાણ કરે એટલે હું કાળો થયો.
આપણે બંને ગોરાં હોત તો તારી કિંમત કોણ કરત?”

મહાભારતના ઉદ્યોગપર્વ માં કહ્યું છે કે-શ્રીકૃષ્ણ જયારે હસ્તિનાપુર વિષ્ટિ કરવા ગયા ત્યારે,દુષ્ટ દુર્યોધને ભગવાનનું અપમાન કર્યું છે અને કહે છે કે-વિષ્ટિ કરવા આવ્યા છો,પણ તમારો બાપ કોણ છે તે તો નક્કી નથી.નંદ-યશોદા જો તમારા મા-બાપ હોય તો તે ગોરા અને તમે કાળા કેમ ?
ત્યારે કૃષ્ણે જવાબ આપતાં કહ્યું છે કે-હું કૌરવોના કાળ તરીકે જનમ્યો છું, એટલે કાળો થઈને આવ્યો છું.
કૃષ્ણની ગોરા-અને કાળા હોવાની ચર્ચામાં મહાત્માઓ પાગલ થયા છે.
ગમે તે કારણ હોય ,પણ શ્રીકૃષ્ણ કાળા નથી પણ મેઘના જેવા મેઘ-શ્યામ છે.

જ્ઞાન અને ભક્તિને વધારનારી તે-ગોવર્ધનલીલા.જયારે ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થાય,
જડ અને ચેતનમાં સર્વ જગ્યાએ ઈશ્વરનો અનુભવ થાય ત્યારે જ્ઞાન-ભક્તિ વધે છે.
ગોવર્ધનલીલામાં આમ જયારે જ્ઞાન-ભક્તિ વધે તે પછી આવે છે રાસ-લીલા.
ગોવર્ધનલીલામાં પ્રભુએ સર્વ જીવોને પ્રસાદ આપ્યો છે,પશુ-પક્ષીઓને પણ પ્રસાદ આપ્યો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE