Sep 13, 2020

ભાગવત રહસ્ય -૩૯૦

ઈશ્વરના સ્વરૂપમાં જગત રહ્યું છે,અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલા છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.

ઇન્દ્રિયો જયારે જ્ઞાન-ભક્તિ તરફ વળે ત્યારે વાસનાઓ વિષય-રૂપી-વરસાદ વેગથી વરસાવે છે.
આ વેગ સહન કરવા,શ્રીકૃષ્ણના નામનો, શ્રીકૃષ્ણની સેવાનો આશ્રય કરવો જોઈએ.
ભગવાનનો આશ્રય કરવાથી વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે.
આ શક્તિથી ભક્તિ (અને જ્ઞાન) વધે તો પછી જ જીવને રાસલીલામાં પ્રવેશ મળે.

ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરેલો.ટચલી આંગળી એ સત્વગુણનું પ્રતિક છે.
(શંકરાચાર્યે ભદ્રમુદ્રાનું વર્ણન કર્યું છે) સત્વગુણ વધે તો વાસનાનો વરસાદ સહન કરવાની શક્તિ આવે.
સંસાર-રૂપી-ગોવર્ધન એ ઠાકોરજીના આંગળીના આધારે છે.ભગવાનનો આધાર છે,
ભગવાનની કૃપા છે ત્યાં સુધી લીલા-લહેર છે.કૃપા ના હોય તો લાખની રાખ થતાં વાર લાગતી નથી.

દુઃખમાં-વિપત્તિમાં ટેકો તો માત્ર ભગવાનનો લેવો અને ભગવાનના ચરણનું શરણ લેવું.
ગીતામાં પણ કહ્યું છે કે-“સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ” “મારે શરણે આવ”
શરણે જવાથી ભગવાન જરુરથી મદદ કરે છે.
વ્રજવાસીઓ પણ જયારે અન્ય દેવતાઓનું શરણ મૂકી,દૃઢ રીતે શ્રીકૃષ્ણના શરણમાં ગયા ત્યારે 
સઘળાં સુખ-દુઃખનો ભાર ભગવાને પોતાને માથે ઉપાડી લીધો.

ગીતામાં ભગવાન કહે છે કે-“યોગ ક્ષેમ વહામ્યહમ”
“જે અનન્ય પ્રેમથી મારું ભજન કરે છે,અને સર્વ સમર્પણ કરી મારી ભક્તિ કરે છે,તેવા શરણે આવેલા જીવોને સંસારિક-ભૌતિક દુઃખોમાંથી છોડાવવા,તેઓ ની જવાબદારી હું મારે માથે લઉં છું”
શર્ત માત્ર એટલી છે કે –સંપૂર્ણ પણે પ્રભુ ની શરણાગતિ સ્વીકારવાની.

ગોવર્ધનલીલામાં બીજું એક અદભૂત તત્વ રહેલું છે.
તેમાં પૂજ્ય-સેવ્ય (જેની પૂજા થાય છે તે-ઈશ્વર) અને પૂજક-સેવક (જે પૂજા કરે છે તે-ભક્ત) એક બને છે.
કનૈયો ગોવર્ધનનાથને વંદન કરે છે,એટલે કે પોતાની જાતને જ વંદન કરે છે.
આ સોહમ (સો અહમ) ભાવ છે. જીવ ને ઈશ્વર એક બને છે.
ભગવદ-ઈચ્છા માં જીવ જયારે પોતાની ઈચ્છા ભેળવી દે છે ત્યારે જીવ અને ઈશ્વર એક થાય છે.

મનુષ્ય ધારે છે -તે થતું નથી પણ ધાર્યું ધણીનું (ઈશ્વરનું) થાય છે.માટે ઘરમાં લાભ થાય તો પણ ભગવાનની ઈચ્છા અને નુકસાન થાય પણ ભગવદ ઈચ્છા-એમ માનીને-હૈયું બાળવું જોઈએ નહિ.
ગોવર્ધનલીલામાં ગોપીઓ ને ખાતરી થઇ છે કે-કનૈયો એ ઈશ્વર છે, 
અને તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગી,તે રાસલીલા.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE