Nov 8, 2020

ભાગવત રહસ્ય -૪૪૦

ગુરુકુળનું અધ્યયનની સમાપ્તિ કરીને શ્રીકૃષ્ણ મથુરામાં આવ્યા છે.
શ્રીકૃષ્ણે મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યો હતો,તે ઉગ્રસેન શ્રીકૃષ્ણને કહે છે કે-હું તો નામ નો રાજા છું,ખરા રાજા તો આપ જ છો,આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ.
અત્યંત વિવેકવાળા ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રીકૃષ્ણનાં ચરણો માં અર્પણ કરી.શ્રીકૃષ્ણ માટે મથુરાના રાજ મહેલમાં રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે.હવે શ્રીકૃષ્ણ ગોપાલ નથી,
હવે તે મથુરાનાથ છે.મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે.ગોકુળમાં પ્રેમ પ્રધાન છે.
મથુરામાં અનેક દાસ-દાસીઓ છે.ઉદ્ધવ શ્રીઅંગની સેવા કરે છે.સર્વ પ્રકારે સુખ છે.

અતિશય સંપત્તિ અને સર્વ પ્રકારનું સુખ હોવાં છતાં શ્રીકૃષ્ણ આનંદમાં નથી,વિવ્હળ છે.
સાયંકાળ થાય ત્યારે રાજમહેલની અગાસીમાં વિરાજે  ત્યાં ગોકુળની ઝાંખી થાય છે,
“મારી મા આંગણામાં બેસીને રોજ મારી પ્રતીક્ષા કરતી હશે,મથુરાના માર્ગ પર મીટ માંડીને બેસતી હશે,
મારી મા મારા માટે રડતી હશે,તે વિચારતી હશે કે –મને લાલાએ કહ્યું હતું કે હું આવીશ,એટલે તે ગમે ત્યારે આવશે,મારી મા બહુ ભોળી છે.મારા નંદબાબા મને યાદ કરતા હશે.
મારી વહાલી ગાયોનું શું થયું હશે ?તે પણ મથુરા તરફ નજર રાખી હંભાહંભા કરતી હશે.
મારી વહાલી ગોપીઓના આંખમાં તો આંસુ સમાતા નહિ હોય.-મારા માટે હજુ માખણ જુદું રાખતી હશે.

ગોકુળની એક એક વાત યાદ કરતાં કરતાં માલિકની આંખમાં આંસુ ભરાઈ આવે છે.
“મારી ગાયો સાંજે ઘેર આવતી હશે,મારી મા આંગણામાં રાહ બેસીને બેઠી હશે અને મને ના જોતાં
રડતી હશે તો તેને કોણ સાંત્વન આપતું હશે ? મારી મા મને ખવડાવ્યા વગર ખાતી નહોતી, તે હજુ
પણ મારા વગર ખાતી નહિ હોય. આ મારું વહાલું ગોકુળ મને વિસરાતું નથી”

શ્રીકૃષ્ણનો રોજનો નિયમ થયો છે કે સાંજે અગાસીમાં બેસીને ગોકુળના વિરહમાં આંસુ આવે છે.
ગોપીઓના,મિત્રોના,મા-બાપના અત્યંત-પ્રેમમાં તરબોળ થાય છે,ને વિહ્વવળ બને છે.

જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સામાન્ય ભક્તિ,પણ જે જીવને પરમાત્મા યાદ કરે તે જીવ સાચો ભક્ત.
ઉદ્ધવ રોજ શ્રીકૃષ્ણને જુએ છે,પણ માલિકની ઉદાસીનું રહસ્ય તેમને સમજાતું નથી.
એકવાર સાંજે પ્રભુ અગાસીમાં વિરાજ્યા હતા અને ગોકુળની યાદોમાં ગમગીન હતા ત્યારે.
ઉદ્ધવે સંકોચ છોડીને શ્રીકૃષ્ણ ને તેમની ગમગીનીનું કારણ પૂછ્યું.

પ્રભુએ સહુ પ્રથમ તો અંદર ચાલી રહેલો પ્રેમનો ઉભરો સમાવ્યો,ઘણો પ્રયત્ન કર્યો કે કશું બોલે નહિ,
પણ પ્રેમનો ઉભરો બહાર આવ્યા વગર રહી શક્યો નહિ.
અત્યંત પ્રેમને આધીન થઇને પ્રભુ એક સામાન્ય માનવીની જેમ રડી પડે છે.
ઉદ્ધવ ને કહે છે કે-

ઉદ્ધવ,હું દુઃખી કેમ છું? તેવું પૂછનાર મથુરામાં તું પહેલો એક મળ્યો.
હું ગોકુળમાં હતો ત્યારે મા મારી પાછળ પાછળ ફરતી અને મને કોઈ વાતથી દુઃખ ના રહે,
મારા અનેક ગુનાઓ ને માફ કરી,મારા રિસામણાંને ના જોતાં,મને મનાવી મનાવી ખવડાવતી હતી.
ઉદ્ધવ તને હું શું કહું ?દેવકી-વસુદેવ મારા શરીરના માત-પિતા ભલે હોય,પણ મારા સાચાં માતા-પિતા તો
ગોકુળમાં છે,તેમણે જે પ્રેમથી મારું લાલન-પાલન કર્યું છે,જે પ્રેમથી મારા સર્વ નખરાંને નિભાવ્યા છે,

જે પ્રેમથી મને હાથ ઉપર ને હાથ ઉપર રાખ્યો છે,તે મારી મા અને મારા બાબા મને યાદ આવે છે.
મને દેખાય છે કે મારી મા આંગણામાં બેસીને રડે છે,મારાથી છૂટા પડ્યા પછી તેને અનાજ ખાધું નથી.
મથુરાના રસ્તા જોઈ જોઈને રોજ નિસાસા નાખતી,રડતી મારી મા મને યાદ આવે છે.
તે ભોળી છે,તે રોજ વિચારતી હશે,કે “મને મારા લાલાએ કહ્યું છે કે તે આવશે,એટલે તે જરૂર આવશે”
ઉદ્ધવ, આંસુઓથી ભરેલી આંખો વાળી મારી મા મને બહુ યાદ આવે છે.તેનો પ્રેમ યાદ આવે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE