Nov 7, 2020

ભાગવત રહસ્ય -૪૩૯

કેટલાક જ્ઞાનીઓ માને છે કે-અમને ભક્તિની જરૂર નથી.તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે.
જયારે કેટલાક ભક્તો માને છે કે-અમને જ્ઞાન-વૈરાગ્યની જરૂર નથી.આ બંને વિચારો યોગ્ય નથી.ભક્તિ તો જ્ઞાન-વૈરાગ્ય વગર રડે છે.જ્ઞાન-વૈરાગ્ય આવે તો ભક્તિ દૃઢ બને છે.
ભક્તિમાં જ્ઞાનનો સાથ ના હોય તો અખંડ ભક્તિ થતી નથી.
અહીં, ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમના જ્ઞાનને ભક્તિ નો સાથ નથી.
જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો અભિમાન આવે છે,ભક્તિ હોય તો તે નમ્ર બને છે.
બ્રહ્મજ્ઞાન થાય પણ “સ્વ-રૂપ” માં પ્રીતિ ના થાય,ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ થતો નથી.
કેટલાક જ્ઞાની થઇ પૈસા પાછળ પડે છે,કેટલાક કીર્તિ પાછળ પડે છે,મોટા મોટા આશ્રમો બનાવે છે,
મોટા મોટા મંદિરો બનાવે છે.બધું જ જો મિથ્યા છે,તો શું એમનો આશ્રમ કાયમ રહેવાનો છે ?

સાચો જ્ઞાની એ છે કે-જે પરમાત્મા સાથે પ્રેમ કરે.જ્ઞાની થાય પછી,પૈસા,પ્રતિષ્ઠા,મઠ.આશ્રમ સાથે,
પ્રેમ કરે તેવા જ્ઞાનીનું જ્ઞાન નકામું છે.જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ બને છે.
તેવી જ રીતે ભક્તિને જો જ્ઞાનનો સાથ ના હોય તો,ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થતો નથી.
ઈશ્વર એવી વસ્તુ નથી કે જે એક ઠેકાણે રહે.એક જ ઠેકાણે ઈશ્વરને નિહાળે તે અધમ ભક્ત છે.
પરંતુ જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં ઈશ્વર દેખાય તે જ ભક્ત મહાન છે.
એકલી ભક્તિ હશે તો માત્ર,ઘરના ગોખલામાં રહેલી ઠાકોરજીની મૂર્તિમાં જ ઈશ્વર દેખાશે,પરંતુ,
તેમાં જો જ્ઞાનનો સાથ મળે તો ઈશ્વર સર્વત્ર દેખાય છે.

ઉદ્ધવજીનું તત્વ-જ્ઞાન અને ગોપીઓની પ્રેમ-લક્ષણાભક્તિ –એ બંને બહુ મહત્વના છે.
પરંતુ જો તે બંનેનો સમન્વય થાય તો તે અતિ ઉત્તમ છે.
જ્ઞાન અને ભક્તિમાં વૈરાગ્યની પણ એટલી જ જરૂર પડે છે.
આ ત્રણે ભેગાં થાય તો પરમાત્માનો અનુભવ થાય છે.
પણ અહીં તો ગોપીઓની ભક્તિ જ્ઞાનોત્તર(જ્ઞાનથી ઉપર) છે,
ઉદ્ધવજી જાણતા નથી કે “જ્ઞાનોત્તર ભક્તિ” પણ હોઈ શકે.

શ્રીકૃષ્ણે વિચાર્યું કે-અમુક ગોપીઓને જ્ઞાનનો અનુભવ થાય તો તેમને દુઃખ વગેરે વિકારો ત્રાસ આપે નહિ,
અને ઉદ્ધવના જ્ઞાનને ગોપીઓની ભક્તિનો પુટ (ઢોળ) મળે તો તેનું જ્ઞાન સફળ થાય.
ગોપીઓનો સત્સંગ થાય તો ઉદ્ધવનું જ્ઞાનાભિમાન ઉતરી જાય,તેનું કલ્યાણ થાય.

ગોકુળની કેટલીક (અમુક) ગોપીઓ એવી હતી કે શ્રીકૃષ્ણના વિયોગમાં સતત રડે છે.
પ્રભુએ ઉદ્ધવ દ્વારા એ ગોપીઓને સંદેશો મોકલ્યો કે-
તમે મને બહાર શોધો છો તેથી તમને મારો વિયોગ લાગે છે,પણ હું તો તમારી અંદર બેઠો છું,તમે મારું ધ્યાન કરો,સ્મરણ કરો,લૌકિક દૃષ્ટિથી ભલે હું તમારાથી દૂર છું,પણ તત્વ-દૃષ્ટિથી હું તમારાથી દૂર નથી.
તેવી કેટલીક ગોપીઓને ઉદ્ધવના જ્ઞાનનો સાથ મળે તો તેમના વિયોગનું દુઃખ ઓછું થાય,અને
તેમને અનુભવ થાય કે શ્રીકૃષ્ણ તેમની પાસે જ છે.

ઉદ્ધવાગમનની કથા કહેવામાં કથાકારની કસોટી છે.
જ્ઞાની કથાકારને ભક્તિનો કેટલો સાથ અને ભક્તિનો કેટલો અનુભવ છે ? તે પુરવાર થાય છે.
કહે છે કે-ઉદ્ધવાગમનનો પાઠ કરતાં એકનાથ મહારાજ ને ત્રણ દિવસ સમાધિ લાગી હતી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE