Nov 17, 2020

ભાગવત રહસ્ય -૪૪૯

ઉદ્ધવ વિચારે છે કે-આ ગોપીઓને તો સર્વમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે,હું વ્યાપક બ્રહ્મનું રટણ-ચિંતન કરતો હતો,પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ થયો નથી,ગોપીઓને વ્યાપક-બ્રહ્મનો અનુભવ છે.ભલે તે તત્વજ્ઞાન જાણતી ના હોય.ઉદ્ધવને લાગ્યું કે તેનું વેદાંતનું જ્ઞાન માત્ર ગોખેલું જ છે.શુષ્ક જ છે.

ગોપીઓ કહે છે કે –ઉદ્ધવ તું આવ્યો તે સારું થયું,તું રાધાજીના દર્શન કરવા ચાલ.
સખીઓના મંડળમાં શ્રીરાધાજી વિરાજેલા છે,મુખ પર અતિ સાત્વિક દિવ્ય તેજ છે.સ્વ-રૂપ અતિ દિવ્ય છે.
નવ વર્ષની અવસ્થા,સાદો શૃંગાર,પ્રેમની મૂર્તિ,અને જગતને આનંદ આપનાર શ્રીકૃષ્ણને,જે આનંદ આપે છે,તેવા, રાધાજીને ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરે છે.

એક ગોપીએ રાધાજીને કહ્યું-શ્રીરાધે,શ્યામસુંદરનો આ સખા આવ્યો છે,તે લાલાનો સંદેશો લાવ્યો છે.
રાધાજી કહે છે કે-ઉદ્ધવ તું કયા કૃષ્ણનો સંદેશો લાવ્યો છે તે સમજ પડતી નથી,
મારા કૃષ્ણ તો મારી પાસે જ છે,મને તેનો વિયોગ થયો નથી.
રાધાજી શ્રીકૃષ્ણ-ચિંતનમાં ફરીથી તન્મય થયાં છે.તેમના અંતરંગમાં સદાયનો શ્રીકૃષ્ણ-સંયોગ છે.
ઉદ્ધવ ફરીથી વંદન કરીને કહે છે કે-હું મથુરાથી આવ્યો છું,શ્રીકૃષ્ણ આવવાના છે.

ત્યારે રાધાજી કહે છે –કે- ઉદ્ધવ,તું મારા સ્વામીનો સંદેશ લઈને આવ્યો છે,પણ તારા આ સંદેશથી મને
શાંતિ મળતી નથી,વિરહણી જ વિરહનાં દુઃખ જાણી શકે.એવું કોઈ શાસ્ત્ર કે એવો કોઈ ઉપદેશ નથી જે મને શાંતિ આપી શકે.જગતનો એવો કોઈ મંત્ર નથી કે જેથી તેને એક ક્ષણ પણ હું ભૂલી શકું.
હું તો સતત શ્રીકૃષ્ણને ભજું છું,કૃષ્ણને નિહાળું છું,કૃષ્ણનું ધ્યાન કરું છું.

આમ બોલતાં,બોલતાં રાધાજી વિરહમમાં વ્યાકુળ થયાં છે,”હે કૃષ્ણ તમે ક્યારે આવશો?ક્યારે આવશો?”
રાધાજીની આ દશા જોઈ એક એક પક્ષી,એક એક વૃક્ષ,એક એક સખીઓ રડવા માંડ્યા છે.
ઉદ્ધવ પણ રાધાજીનો દિવ્ય પ્રેમ જોઈને રડી પડ્યો છે.”આમને હું શું સંદેશો આપું,શું ઉપદેશ આપું?”

રાધાજીના મુખમાંથી કમળની સુવાસ નીકળે છે,તેથી તે સમયે એક ભ્રમર રાધાજીના મુખ પાસે આવ્યો,
સખી તે ભ્રમરાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.તે જ સમયે ઉદ્ધવ ફરીથી વંદન કરે છે.
રાધાજી તે વખતે ભ્રમરને ઉદ્દેશી ને (જાણે ઉદ્ધવને જ કહેતાં હોય) તેમ ભ્રમરને કહે છે કે-
ભ્રમર,તું કપટી છે,તું કૃષ્ણ નો મિત્ર છે,કપટીનો બંધુ છે,તું અહીં શું કરવા આવ્યો છે?મને અડકીશ નહિ.

ઉદ્ધવ બોલી ઉઠયા છે-ના,ના, તેમને (શ્રીકૃષ્ણ ને) તમે કપટી ના કહો,તે તો દયાના સાગર છે,
તે તમને ભૂલ્યા નથી,તમને તે વારંવાર યાદ કરે છે.
અધ્યાય-૪૭ ના શ્લોક ૧૨ થી ૨૧ ને ભ્રમર ગીત પણ કહે છે,તે ગીતમાં ભ્રમરને ઉદ્દેશીને,પણ,
ગર્ભિત રીતે ઉદ્ધવજીને ઉદ્દેશી ને રાધાજી,શ્રીકૃષ્ણને મધુર ઠપકાઓ આપે છે.

રાધાજી કહે છે કે-ઉદ્ધવ,શ્રીકૃષ્ણ,કોણ છે અને કેવા છે તે તું જાણતો નથી,શ્રીકૃષ્ણના સ્વ-રૂપનું  
જેને જ્ઞાન અને અનુભવ થાય તે એક ક્ષણ પણ શ્રીકૃષ્ણને છોડે નહિ.
એ લાલાએ તને મોટી મોટી જ્ઞાનની,નિર્ગુણ-સગુણની વાતો સંભળાવી છેતર્યો છે.
તને હજુ અસલી રૂપ બતાવ્યું નથી, જો તેમના અસલી રૂપનાં તને દર્શન થયાં જ હોત તો,
શ્રીકૃષ્ણને છોડી ને તું અહીં આવ્યો જ ના હોત.
કૃષ્ણ કેવા છે અને કોણ છે,તેને તું શું જાણે? તેને તો અમે જ જાણીએ.                                                                                                             
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE