Oct 1, 2013

Sat-Sloki-Gujarati-12

શત-શ્લોકી-12-(આદિ) શંકરાચાર્ય રચિત

જાતજાતના રંગોવાળા તાંતણાઓમાં વણાઈ ને બનેલું રંગ-બેરંગી “વસ્ત્ર” એ તાંતણામાં જ ઓતપ્રોત છે.
જો એ વસ્ત્ર વિષે વિચાર કરવામાં આવે તો-વસ્ત્ર કોઈ વસ્તુ નથી પણ તાંતણા જ વસ્ત્ર-રૂપે થયેલા છે.

તેમ,પર્વતો,વૃક્ષો,શહેરો,ગામો,મનુષ્યો,પશુઓ-વગેરે રૂપ-વાળું આ જગત,”વિરાટ સ્વ-રૂપ” માં ઓતપ્રોત છે.
તે વિરાટ આકાશમાં ઓતપ્રોત છે,અને તે આકાશ “બ્રહ્મ” માં ઓતપ્રોત છે.
(આમ ખૂબ જ સૂક્ષ્મતા થી વિચાર કરવામાં આવે તો,સર્વના મૂળ કારણ-રૂપ એક “બ્રહ્મ” જ બાકી
રહે છે,બીજું કાંઇ જ નહિ.)  (૪૯)

“એક જ પરમાત્મા પ્રત્યેક રૂપ માં અનેક રૂપો વાળા થયા છે” આમ શ્રુતિ ના કહેવા પ્રમાણે,
એક જ “બ્રહ્મ” પ્રત્યેક (જુદા જુદા) રૂપ માં પ્રતિબિંબિત થવાને લીધે,અનેક જીવ રૂપ ને પામેલ છે.

જેમ, સ્થિર પાણીમાં જોનારો એક જ મનુષ્ય પ્રતિબિંબ રૂપે બીજો થાય છે(બીજો મનુષ્યદેખાય છે), અથવા,
જો અનેક જળ-પાત્રોમાં જોનારો મનુષ્ય અનેક રૂપ વાળો દેખાય છે,(અનેક મનુષ્યો દેખાય છે)
તેમ,એક જ દ્રષ્ટા (બ્રહ્મ=પરમાત્મા) અનેક બુદ્ધિ-રૂપ ઉપાધિ માં પ્રતિબિંબિત થઇ,
અનેક જીવ-પણા ને પામે છે.
આ જ સિદ્ધાંત ને શ્રુતિ કહે છે-કે-એક જ પરમાત્મા માયા ને લીધે,જીવ-રૂપે અનેક સ્વરૂપ વાળા થાય છે.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે-(ઉપર મુજબ) વ્યાપક “બ્રહ્મ”-“ જીવ-પણા” ને પામે છે. (૫૦)

આ રીતે જીવ (જીવાત્મા) ના મૂળ-સ્વ-રૂપ ને બુદ્ધિ થી સમજતા પુરુષો,
“પરમ બળવાન પરમાત્મા,માયા થી યુક્ત થવાને લીધે,જન્મ-મરણ રૂપ સંસાર માં પડતા જીવ ને”
“જીવ-રૂપે”  ના જોતાં-
“બુદ્ધિ રૂપી સમુદ્ર ની અંદર પ્રતિબિંબિત થયેલા પરમાત્મા-રૂપી સૂર્યના કિરણ સ્થાન ને જ જુએ છે”

જેમ,દર્પણ મેલું હોય કે સ્વચ્છ હોય,તો  તેમાં પ્રતિબિંબિત થયેલું મુખ મેલું કે સ્વચ્છ દેખાય,પણ
ખરી રીતે તો મુખ તો જેવું છે તેવું ને તેવું જ રહે છે,
તેમ,બુદ્ધિ-રૂપ ઉપાધિ (દર્પણ=માયા) જેટલી અને જેવી (મેલી કે સ્વચ્છ=સત્વ-રજસ-તમો ગુણવાળી) હોય,
તે જ પ્રમાણે તેમાં “સત્ય-સ્વરૂપ-બ્રહ્મ” –જીવ-રૂપે પ્રતિબિંબિત થાય છે.
ખરી રીતે તો બ્રહ્મ સદાને માટે “તેના પોતાના સ્વ-રૂપ” માં જ રહે છે.
તેના મૂળભૂત શુદ્ધ સ્વરૂપ માં કોઈ પણ જાત નો ફેરફાર થતો નથી. (૫૧)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE