Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શરીરમાં પૂર્વ તરફ જાય છે તે “પ્રાણ” (વાયુ) છે,દક્ષિણ તરફ જાય છે તે “અપાન” (વાયુ) છે,
ચારે બાજુ જાય છે તે “વ્યાન” (વાયુ) છે,ઉંચે જાય છે-તે-“ઉદાન” (વાયુ) છે, અને
ખાધેલા અન્ન ના રસને એકસરખા કરનારો એવો પાંચમો- “સમાન”(વાયુ) છે. (૩૭૭-૩૭૮)

આ પ્રાણ-વગેરે-ઉપર મુજબના વાયુઓમાં તથા કર્મેન્દ્રિયો માં વધારે પ્રમાણ માં લગભગ ક્રિયા જ દેખાય છે,
તેથી વિદ્વાનોએ તેઓ ની ઉત્પત્તિ રજોગુણ ના અંશો થી સ્વીકારી છે. (૩૭૯)

મહર્ષિઓ કહે છે કે-ક્રિયા શક્તિ રજોગુણી હોય છે,તમોગુણ ની શક્તિ જડ-રૂપ હોય છે,અને
સત્વ-ગુણ ની શક્તિ પ્રકાશ-રૂપ હોય છે. (૩૮૦)

પ્રાણમય કોશ

પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો મળી ને પ્રાણમય કોશ બને છે.
એ સ્થૂળ છે અને એને લીધે જ પ્રાણીઓ ચેષ્ઠા (ક્રિયા) કરે છે. (૩૮૧)

વાણી વગેરે થી અને શરીરથી જે જે પુણ્ય-કર્મ કે પાપ-કર્મ કરવામાં આવે છે,તેમાં,
“પ્રાણ-મય કોશ” એ “કર્તા” છે.  (૩૮૨)

જેમ વાયુએ ડોલાવેલું ઝાડ અનેક બાજુએ ડોલે છે,પણ વાયુ જો સ્થિર હોય તો ઝાડ પણ સ્થિર જ રહે છે,
તેમ,(પાંચ) પ્રાણ  અને કર્મેન્દ્રિયો,પ્રેરણા કરે છે ત્યારે જ શરીર,
શાસ્ત્રે કહેલી કે નહિ કહેલી –એવી અનેક જાતની સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. (૩૮૩-૩૮૪)

સમષ્ટિ-લિંગ શરીર (હિરણ્યગર્ભ,સુત્રાત્મા તથા પ્રાણ)

ઉપર જણાવેલા ત્રણ કોશો (વિજ્ઞાનમય,મનોમય,પ્રાણમય) મળી ને સૂક્ષ્મ (લિંગ) શરીર બને છે.
તે અતિ-સૂક્ષ્મ રૂપે રહેલા આત્મા ને જણાવનાર છે,તેથી તેને “લિંગ શરીર” પણ કહે છે.
સ્થૂળ શરીર કરતાં તે સૂક્ષ્મ હોવાથી તેને “સૂક્ષ્મ શરીર” પણ કહે છે.

જેમ, સર્વ વૃક્ષો નો સમુદાય,સામાન્ય-રૂપે “વન” કહેવાય છે,
તેમ, સર્વ “લિંગ શરીરો” નો સમુદાય, સામાન્ય-રૂપે,
“એક જ જ્ઞાન”  નો વિષય થતાં “સમષ્ટિ-લિંગ-શરીર” કહેવાય છે.

“સમષ્ટિ લિંગ-રૂપ ઉપાધિ-વાળું,જે “ચૈતન્ય” છે” તેને “સફલ” કહે છે,અને
એને જ પંડિતો “હિરણ્યગર્ભ,સુત્રાત્મા તથા પ્રાણ” પણ કહે છે.

--પ્રકાશમય “બુદ્ધિ” ના મધ્ય ભાગમાં “હિરણ્ય” (સુવર્ણ) ની પેઠે એ પ્રકાશે છે તેથી “હિરણ્ય-ગર્ભ”
--મણકા ની પંક્તિ (સૂત્ર-દોરા)ની પેઠે સમસ્ત લિંગ શરીરોમાં વ્યાપી ને તે રહેલ છે-તેથી “સૂત્રાત્મા”
--અને સર્વ ને જીવાડે છે તેથી તે “પ્રાણ” કહેવાય છે. (૩૮૫-૩૮૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE