Nov 23, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૫

સીતાજીને મૃગનો લોભ તો થયો હતો જ અને લોભથી વિવેકનો નાશ થાય છે,
લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો,
આજ સુધીના રામનાં પરાક્રમોને તે વિસરી ગયા,તેમની ધીરજ રહી નહિ, અને એકનિષ્ઠાથી સેવા કરનાર લક્ષ્મણને અનાર્યોની પેઠે કઠોર અને અનુચિત વેણ સંભળાવ્યાં.અને લક્ષ્મણને કહે છે કે -તારી દાનત સારી નથી!

લક્ષ્મણજીએ કાને હાથ દીધા-કહે છે કે-ભાભી,તમે તો મારાં માતાજી સમાન છે.
તે અતિ વ્યાકુળ થયા છે,એક તરફ રામજીની આજ્ઞા હતી અને બીજી તરફ સીતાજીનાં કઠોર વચન સહન 
થતાં નહોતાં.છેવટે કોઈ ઉપાય ના રહેતાં,તેમણે કહ્યું કે-માફ કરો,દયા કરો, હું જાઉં છું,પણ મારી આટલી 
અરજ માનજો,હું આ રેખા દોરું છું તે વટાવીને બહાર પગ ના દેશો.
આટલું બોલતાં લક્ષ્મણ ગળગળા થઇ ગયા અને વન-દેવતાને પ્રાર્થના કરી કે-સીતાજીનું રક્ષણ કરજો.
ને ઝડપથી તે ગાઢ-વન તરફ રામજીની પાસે જવા ચાલી નીકળ્યા.

સીતાજી એકલાં રામજીની ચિંતા કરીને પેટ કૂટે છે.
સંતો કહે છે કે-શોક-ગ્રસ્ત સ્ત્રીઓ સામાન્ય રીતે છાતી કૂટે છે,જયારે સીતાજી પેટ કૂટે છે,એ એવું સૂચવે છે કે-
સર્વ રાક્ષસોનો સંહાર થયા વિના હવે મને તૃપ્તિ થનાર નથી,હવે હું ભુખી થઇ છું.
થોડીક જ વાર પછી પર્ણકુટીના બારણે વેદમંત્રોનો ઘોષ સંભળાયો.
સીતાજી જુએ છે તો બારણે,દંડ,કમંડળ અને ભગવાં વસ્ત્રવાળો સન્યાસી ઉભો છે.

એ રાવણ હતો,અતિથી-બ્રાહ્મણ સમજીને સીતાજીએ તેનો સત્કાર કર્યો,અને એને ભિક્ષા આપવા બારણે 
આવ્યાં.ત્યારે રાવણે કહ્યું કે-હું ઘરમાં રહી અપાતી ભિક્ષા લેતો નથી.
લક્ષ્મણજીએ બાંધી આપેલી રેખાનો સીતાજીને ખ્યાલ ના રહ્યો,તેમનું ધ્યાન કેવળ અતિથી બ્રાહ્મણને 
ભિક્ષા આપવા તરફ જ હતું,તેથી લક્ષ્મણ-રેખાની બહાર તેમનો પગ પડ્યો.
તુલસીદાસજી કહે છે કે-વિધાતાની અવળી ગતિથી અને કાળની કઠિનતાથી સીતાજી ભાન ભૂલ્યાં,
અને રેખા ઓળંગીને આગળ આવ્યાં.

લક્ષ્મણ રેખા એ માનવીની મર્યાદા-રેખા છે.માનવી મર્યાદાની બહાર પગ મૂકે તો તે વિવશતાનો ભોગ બને છે.
લક્ષ્મણ-રેખા એ વિવેકની,સદાચારની,નિજ-સુખની,કુટુંબ-યશની,અને સમાજના ગૌરવની મર્યાદા છે.
એ મર્યાદા લોપતાં,એ મર્યાદાનો ભંગ થતાં,માનવી વિવેકને ગુમાવી,દુઃખ અને અપયશનો ભોગ બને છે.
સંતોએ અને સમાજ-વિધાયકો એ સમાજ-જીવનમાં અને વ્યક્તિ-જીવનમાં મર્યાદાઓ નક્કી કરેલી છે.
પણ એ મર્યાદાઓનું ઉલ્લંઘન,માનવી કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે વાસનાઓને વશ થઇને કરે છે,
અને પોતાની જાતને આપદામાં (મુશ્કેલીમાં) મૂકે છે.અહીં સીતાજીએ સાધુ-અતિથીના સત્કારની ભાવનાથી લક્ષ્મણ-રેખાનો ભંગ કર્યો,પણ પરોપકારની ભાવના માટે પણ મર્યાદાનો ભંગ ઇષ્ટ નથી.

મનુષ્ય કાળનું પ્યાદું છે.કાળ ધક્કો મારીને તેંને ચલાવે છે.પણ પરમાત્મા તો કાળના યે કાળ છે.
પરમાત્માનું શરણ લેનાર,કાળનું પ્યાદું મટીને પરમાત્માનું પ્યાદું બને છે.
પ્રભુ સંચાલક અને પ્રભુ માલિક.સંપૂર્ણ-પણે પ્રભુનું આવું શરણું લેનારને કાળથી બીવાનું રહેતું નથી.
એના ચિત્તમાં પછી વાસનાનો ઉદય થતો નથી.એટલે કે ત્યાં કામ,ક્રોધ,લોભ –એ સર્વનું અસ્તિત્વ જ નથી.
કારણ કે ત્યાં “અહં” “હું” નું જ અસ્તિત્વ નથી તો પછી લોભ કોણ કરે?

પણ અહીં કાળની અકળ લીલાથી, સીતાજીએ સુવર્ણ-માયા-મૃગનો લોભ કર્યો,
લોભથી વિવેક ખોયો,રામજીને મૃગની પાછળ દોડાવ્યા,લક્ષ્મણજી પર ક્રોધ કર્યો,અને 
લક્ષ્મણ-રેખાની મર્યાદા વટાવીને મહા આપત્તિમાં પડ્યાં.
સીતાજી જગત-જનનીનું સ્વ-રૂપ છે,પતિ પાછળ સ્વેચ્છાએ વનવાસનું કઠોર જીવન સ્વીકાર્યું છે,
દુઃખ ને સુખ ગણ્યું છે,તેમ છતાં ક્ષુલ્લક મૃગચર્મનો લોભ કરે તે મનમાં ના બેસે તેવી વાત છે.
લક્ષ્મણજીને કટુ-વચનો કહે તે પણ માની ના શકાય તેવી વાત છે.

પણ વાલ્મીકિજીએ લખ્યું છે કે-જયારે લક્ષ્મણને તેમણે કહ્યું કે-હું અગ્નિમાં પ્રવેશ કરીશ પણ રામજીની સિવાય અન્ય પુરુષનો કદી સ્પર્શ કરીશ નહિ.મહાત્માઓ કહે છે કે-આમ કહી સીતાજી એવું સૂચવે છે કે-હું પોતે રાવણને ઘેર નહિ જાઉં,પણ મારા યથાર્થ સ્વ-રૂપને અગ્નિમાં રાખીને,બીજા રૂપે એટલે કે માયા-રૂપે જ તેના હાથમાં જઈશ.એટલે અહીં રાવણ જે સીતાજીને હરી જાય છે તે “માયા-સીતાજી” છે.
અને રાવણના વધ પછી એ “માયા-સીતાજી” અગ્નિમાં પ્રવેશ કરે છે(અગ્નિ-પરીક્ષા),અને અગ્નિ સીતાજીના 
એ “માયા-રૂપ”નું દહન કરીને યથાર્થ સીતાજીના સ્વ-રૂપને રામજી સમક્ષ પ્રગટ કરે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE