Nov 24, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૬

મહાત્માઓ કહે છે કે-જ્યાં બેસીને તમે રામનું ધ્યાન કરશો ત્યાં રામજી પ્રગટ થશે.
જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામજી ના વિરાજતા હોય.
સર્વ-વ્યાપક પરમાત્મા બધે જ છે.એટલે જ બધાં સ્થળ રામનું ધ્યાન કરવા માટે યોગ્ય છે.
ધ્યાન કરનારો ધીરે ધીરે જગતને ભૂલે છે.અને પછી પોતાને પણ ભૂલી જાય છે,ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર).ધ્યાન,અને ધ્યેય (પરમાત્મા)એક થઇ જાય છે.દ્રષ્ટા (જોનાર) દૃશ્ય અને દર્શન ત્રણે એક થઇ જાય છે.અને હવે જે સાધક છે એ જ સાધ્ય બની જાય છે અને તેથી તે જ સાધના છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઇ જાય છે.

ત્રિજટા નામે એક રાક્ષસી છે,તે સીતાજીની સેવા કરે છે.તે છે તો રાક્ષસી પણ એના સંસ્કાર સારા છે,
અને એટલે જ સીતાજીની સેવાનો.સીતાજીના સાનિધ્યનો લાભ તેને મળ્યો છે.
સીતાજી ત્રિજટાને કહે છે કે-આજે તો ધ્યાનમાં હું પોતે સીતાજી છું એ વાત જ ભૂલી ગઈ.

સ્ત્રીત્વ અને પુરુષત્વ એ દેહના ભાવ છે.દેહ-સંબંધ છૂટે છે ત્યારે જ બ્રહ્મ-સંબંધ થાય છે.
તીવ્ર-ભક્તિ જયારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જ દેહ-ભાવની ગાંઠ છૂટે છે.
સાધારણ ભક્તિથી ગાંઠ છૂટતી નથી,ભક્તિ તીવ્ર અને સતત જોઈએ.
ભક્તિમાં જપ અને ધ્યાન એ મુખ્ય છે.કોઈ જડ વસ્તુનું ધ્યાન એ ધ્યાન નથી,
જડ વસ્તુના ધ્યાનથી મન પણ જડ બની જાય છે.ચેતનના ધ્યાનથી મન ચેતન બને છે.

સીતાજીએ રામજીની સેવા કરી છે,તો યે ધ્યાન તો કરે જ છે.અને ધ્યાનમાં એવાં લીન રહે છે કે-
કોણ શું કરે છે કે કોણ શું બોલે છે-તે એમને દેખાતું કે સંભળાતું નથી.
પ્રતિકુળતાઓ વચ્ચે પણ તેમણે ધ્યાનની અનુકુળતા કરી લીધી છે.કોઈ વખત,સીતાજીને બીક લાગે છે કે-
ઈયળ જેમ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી થઇ જાય છે તેમ રામજી નું ધ્યાન કરતાં કરતાં 
હું પણ રામજી થઇ જઈશ તો? સીતાજી પોતાના મનની આ વાત ત્રિજટા ને કહે છે.

ત્યારે ત્રિજટા કહે છે કે-માતાજી,તો તો બહુ જ સારું,તમારા હાથે જ રાવણનો વધ થશે.
ત્યારે સીતાજી કહે છે કે-મને રામ થવામાં આનંદ નથી, મને તો રામની સેવા કરવામાં જ આનંદ છે.
હું રામ બની જાઉં તો મારા રામની સેવા કોણ કરશે? મારે રામ થવું નથી.મારે તો તેમની સીતા બનીને જ રહેવું છે. મારે તો મારા રામની સેવા જ કરવી છે.

ત્યારે ત્રિજટા કહે છે કે-માતાજી તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી,કારણકે રામનું ધ્યાન કરતાં કરતાં 
જો તમે રામ બની જશો તોયે તેથી રામ-સીતા ની જોડી તુટવાની નથી,
કેમકે – શ્રીરામ,તમારું ધ્યાન કરતાં કરતાં સીતા બની જશે.

સીતાજી મહાદુઃખમાં છે છતાં મહાઆનંદમાં છે, ધ્યાન સંયોગમાં થતું નહોતું પણ વિયોગમાં થાય છે.
શ્રીકૃષ્ણે ગોપીઓને પણ વિયોગમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી હતી,અને તેથી ગોપીઓ વિયોગમાં
ભગવાનને પોતાની અંદર,બહાર અને સર્વત્ર નિહાળે છે.
ગોપીઓ કહે છે કે-ભગવાન અમને છોડીને ગયા જ નથી.તેઓ તો અહીં જ છે!!

જ્યાં સુધી જીવ ઈશ્વરથી જુદો છે ત્યાં સુધી તેના નસીબમાં રડવાનું લખાયેલું છે.
પણ,જો ધ્યાન કરતાં –તે પ્રભુ સાથે એક-રૂપ થાય તો પછી તેને મૃત્યુનો ડર રહેતો નથી,
તે આનંદ-રૂપ (પરમાત્મા-રૂપ) બની જાય છે.

ભક્તિ-માર્ગ કહે છે કે-પ્રેમલક્ષણા-ભક્તિથી,અદ્વૈત સિદ્ધ થાય છે.
પ્રેમથી સિદ્ધ થતા આ અદ્વૈતમાં ભિન્ન-ભાવ સાથે થોડો અભિન્ન-ભાવ રહે છે.
સીતા-રામ એક-અભિન્ન છે,છતાં સીતા-રામ ભિન્ન છે.
તેથી સીતાજી કહે છે કે-મારે રામ નથી થવું,પણ મારા રામની સેવા કરવા સીતા થઈને જ રહેવું છે.
વૈષ્ણવ સંતો અદ્વૈતની સાથે થોડું દ્વૈત રાખી,સેવા-સ્મરણમાં કૃતકૃત્યતા અનુભવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE