Jan 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૦

બ્રાહ્મણનું રૂપ લઇ હનુમાનજી વિભીષણની સામે જઈ ઉભા રહ્યા.વિભીષણે આંગણે બ્રાહ્મણને આવેલો જોઈ પ્રણામ કર્યા,ને પછી પૂછ્યું કે-આપ કોણ છો ? આપ શ્રીરામ તો નથી ને? સવારના પહોરમાં આપનાં દર્શન થયા તેથી મને અત્યંત હર્ષ થયો છે,મારું જરૂર કલ્યાણ થશે.

હનુમાનજીએ પોતાની ઓળખાણ આપી.ત્યારે વિભીષણના આનંદનો પર ના રહ્યો.તેમણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે-હું રાવણનો ભાઈ છું,દાંતની વચ્ચે જીભ રહે તેમ અહીં રહું છું,પણ પ્રભુની મારા પર કૃપા થઇ,
એ વિના તમારા જેવા સંતના મને દર્શન થાય નહિ. 'બિનુ હરિકૃપા મિલહિં નહીં સંતા.' હનુમાનજી કહે છે કે-
પ્રભુ તો અત્યંત દયાળુ છે,તેઓ સેવક પર સદા પ્રેમ કરે છે,જુઓને હું તો નીચ વાનર છું,મારું કુળ શું કે જાત શું? 
તોયે પ્રભુની મારા પર કેવી દયા છે!! બોલતાં બોલતાં હનુમાનજીની આંખમાંથી આંસુ આવી ગયાં. 
'સુનહુ વિભીષણ પ્રભુ કૈ રીતિ,કરહિ સદા સેવક પર પ્રીતિ.'

પછી તો હનુમાનજી એ સીતાજીના દર્શન ક્યાં થશે?તે પૂછ્યું,જવાબમાં વિભીષણે અશોક-વાટિકા દેખાડી.
શ્રીરામે કહ્યું હતું કે –જ્યાં આસપાસના વાતાવરણમાંથી,નિર્જીવ પદાર્થોમાંથી પણ, રામ-નામનું રટણ 
સંભળાય તો ત્યાં સીતાજી છે,એમ માનજો. હનુમાનજી તરત અશોક-વાટિકા જઈ પહોંચ્યા.
સીતાજીને, રાવણે,જે અશોક-વાટિકામાં રાખ્યા હતાં,ત્યાં,સીતાજી સતત રામ-નામનું રટણ કરતાં હતાં,
અને આજુબાજુના ઝાડ-પાનમાં પણ રામ-નામનું રટણ,હનુમાનજીને સંભળાણું.

જપની આવી તાકાત છે.એક વાર જનાબાઈએ નામદેવની આગળ ફરિયાદ કરી કે-
મારાં છાપેલાં છાણાં કોઈ ચોરી જાય છે,ચોરને પકડવો જોઈએ.
ત્યારે નામદેવે કહ્યું કે- છાણાં તો બધાનાં સરખાં હોય,તો ચોર કેવી રીતે પકડાય?
ત્યારે જનાબાઈએ કહ્યું કે-મારાં છાણાં તમે કાને ધરશો તો તેમાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલનો ધ્વનિ સંભળાશે.
જનાબાઈ છાણાં થાપતી વખતે વિઠ્ઠલ-વિઠ્ઠલ નો જપ કરતાં,તેઓ જપમાં એવાં તલ્લીન થતાં કે-તેમનાં 
છાણાં પણ એ જપ કરતાં!! નામદેવને એ વાતની ખાતરી કરવા જનાબાઈનું થાપેલું એક છાણું ઉઠાવી કાને મુક્યું તો તેમાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલ નો જપ સંભળાણો.તેમણે જનાબાઈને કહ્યું કે-
મારું નામ નામદેવ છે,પણ હું નહિ પણ તું નામદેવ છે. આવી છે હરિના નામ-જપની તાકાત.

હનુમાનજીએ એક ઝાડની નીચે,રાક્ષસીઓથી ઘેરાયેલાં સીતાજીને જોયા.
સીતાજી મોં નીચું રાખી ને બેઠાં હતાં,તેમના મુખમાંથી રામ-નામનો ઉચ્ચાર સ્પષ્ટ સંભળાતો હતો.
સીતાજીની આવી દીન- સ્થિતિ જોઈ ને હનુમાનજીએ અપાર વેદના અનુભવી.
'નિજ પદ નયન દિએ મન,રામ પદકમલ લીન. પરમ દુઃખી ભા પવનસુત,દેખી જાનકી દીન.'
હનુમાનજી શોકાતુર થયા છે,ને વિચારે છે કે શું કરું?માતાજીનું દુઃખ કેવી રીતે દૂર કરું?

એટલામાં રાવણ,પોતાની રાણી,મંદોદરી વગેરેને લઇ ને-પુરા ભપકાથી ત્યાં આવ્યો.
રાવણને જોઈ હનુમાનજીના હાથ સળવળ્યા,બોલ્યા-પરાક્રમ તો આને હણવામાં છે.
પણ તરત વિચાર્યું કે ખોટું સાહસ કરી બેસું તો માલિકનું કામ બગડી જાય.એ બીકે તે મન પર કાબુ રાખી.
ઝાડની ઉંચી ડાળ પર ચડી ગયા.ને સંતાઈને જોવા લાગ્યા.

વાત એવી બનેલી કે-આગલી રાતે રાવણને સ્વપ્ન આવેલું કે-રામે એક વાનરને લંકા,સીતાજીની ભાળ 
કાઢવા મોકલ્યો છે.ને સ્વપ્નમાં એ દૃશ્ય જોઈને તેને થોડી ગભરામણ થયેલી,એટલે,અત્યારે તે પોતાના 
મનનો ડર કાઢવા,દારુ પીને પોતાની રાણીને લઈને અહીં સીતાજીને ડરાવવા આવ્યો હતો.
સીતાજીની સામે અક્કડ બની રાવણે સામ,દામ-ભય--ભેદની સર્વ નીતિ અપનાવી ને સીતાજીને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યો.નફ્ફટ થઈને તે કહે છે કે-હે,જાનકી,હું મારું આખું રાજ તને આપી દઉં,
હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે-મારી બધી રાણીઓ ને તારી દાસી બનાવીશ.બધી રાણીઓ તારી સેવા કરશે.
તારી ઈચ્છા વિરુદ્ધ હું તને સ્પર્શ નહિ કરું,તને જોઉં છું-ને મારી આંખો ત્યાં જડાઈ જાય છે,મારી સ્ત્રીઓમાં 
પણ પછી મને આશક્તિ થતી નથી,મારી સામે એકવાર તો જો. “એક બાર બિલોક મમ ઓરા”

સીતાજી પોતાની અને રાવણ ની વચ્ચે એક તણખલું મૂકે છે. “તરુણ ધરિ ઓટ કહતી બૈદેહી”
તણખલું મુકીને તે એવું સૂચવે છે કે-હું તને તણખલા બરાબર ગણું છું,અરે દુષ્ટ રામ-બાણ એટલે શું? 
તેની તને ખબર નથી.તું બહાદુર હતો તો પછી મને ચોરી-છુપીથી શું કરવા હરી લાવ્યો?
સામે મોઢે રામની સામે લડવા આવવું હતું ને?ક્યાં તું અને ક્યાં રામ?ક્યાં શિયાળ અને ક્યાં સિંહ?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE