Feb 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-
“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથનાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,
તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.“સત્ય અને શીલ”-એ વિજયરથની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,
કે જે-“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.

”ભક્તિ” (ઈશ્વરનું ભજન) એ વિજયરથ ને હાંકનાર “સારથી” છે.
“વૈરાગ્ય” એ “ઢાલ” છે,”સંતોષ” એ “તલવાર” છે,”દાન” એ “પરશુ” છે.”બુદ્ધિ” એ “પ્રચંડ શક્તિ” છે,
“વિજ્ઞાન” એ “ધનુષ્ય” છે,”નિર્મળ અને અચળ મન” એ “ભાથો” છે.
“શમ,દમ,યમ,નિયમ” એ “બાણો” છે,અને “સદ-ગુરૂ-કૃપા” એ અભેદ્ય “કવચ’ છે.
આવો ધર્મ-રૂપી વિજય રથ જેની પાસે હોય તેની સામે લડવાની હામ ભીડે તેવો જગતમાં કોઈ શત્રુ નથી,
તેને કોઈ શત્રુ તેને હરાવી શકતો નથી તો પછી રાવણનો તો શો વિસાત !!

શ્રીરામની આ વાત સાંભળી,વિભીષણના મુખ પર સંતોષનું હાસ્ય આવ્યું ને તેણે રામજીના પગ પકડી લીધા.તેને ખ્યાલ આવી ગયો કે,આ ધર્મ-અને અધર્મ વચ્ચે નું યુદ્ધ છે,અધર્મ ગમે તેટલું જોર કરે પણ તે ધર્મ સામે ટકી રહેનાર નથી.જેને ધર્મના પક્ષે “બળ” ના દેખાતું હોય તો તેમાં “ધર્મ”નો કોઈ દોષ નથી,દોષ જોનાર નો છે.
શ્રીરામે વિભીષણને જે ઉપદેશ કર્યો તેને મહાત્માઓ “ધર્મ-ગીતા” પણ કહે છે.
અને શ્રીરામના આ “વિજયરથ” ને-“ધર્મરથ” કે-“રામરથ”-પણ કહે છે.

આજના યુદ્ધમાં બંને બાજુના યોદ્ધાઓ અત્યંત ખુમારીથી ભરપૂર બન્યા હતા.
વાનરોના મનમાં ખુમારી હતી કે-અમારો પક્ષ ધર્મનો છે,અને અમે જીતવાના જ છીએ.
જયારે રાક્ષસોને તેમના બાહુબળની ખુમારી હતી,જો કે જીત વિશે તેમને શંકા હતી.બંને પક્ષો એક બીજા પર પોતાનાથી બને તેટલું બળ અજમાવી અને એક બીજાનો નાશ કરવામાં પડ્યા હતા.

રાવણ લક્ષ્મણ તરફ ધસી ગયો,અને પોતાના પુત્ર ઇન્દ્રજીતને મારનાર,લક્ષ્મણને જોઈને,અત્યંત ક્રોધમાં આવી તેણે વેર લેવા જોરદાર ધસારો કરીને બાણોનો વરસાદ વરસાવી,લક્ષ્મણજીને એકવાર તો મુર્છાવશ કરી નાખ્યા.પણ થોડા વખતમાં જ સ્વસ્થ થઇને લક્ષ્મણજી રાવણની સામે યુદ્ધે ચડ્યા.તેમનો સાથ આપવા હવે શ્રીરામ આવી પહોંચ્યા.અને રામ-અને રાવણ હવે સામસામા આવી ગયા.

ઇન્દ્ર વગેરે દેવો પણ રામ-રાવણનું યુદ્ધ જોવા આવ્યા હતા.પાર્વતીને શિવજી કહે છે કે-હું પણ તે વખતે ત્યાં હાજર હતો.ઇન્દ્રને થયું કે શ્રીરામ પગપાળા લડે તે સારું નહિ,એટલે તેણે પોતાનો રથ મોકલ્યો.અને એ રથ પર સવાર થઇ રામ રાવણની સામે લડવા આવ્યા હતા.શ્રીરામને સામે આવેલા ઉભા જોઈને રાવણે કહ્યું કે-આજે તું જીવ બચાવવા કેવો દોડે છે? એ બધા જ જોશે.

શ્રીરામે કહ્યું કે-જગતમાં ત્રણ પ્રકારના પુરુષો હોય છે.
એક કેવળ બકવાદ કરે છે,એ કહે છે બહુ -પણ કશું કરતો નથી,
બીજો કહે છે અને કરે પણ છે,જયારે ત્રીજો કેવળ કરે છે,મોઢેથી કશું બોલતો નથી.
તું આમાં પહેલા પ્રકારનો પુરુષ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE