Feb 3, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-409

(૨૮) બલિરાજાની સમાધિ-દશા અને શુક્ર-ગુરુએ દૈત્યોને કરેલું સાંત્વન
વસિષ્ઠ કહે છે કે-એ રીતે બલિરાજા સમાધિસ્થ બેઠો હતો ત્યારે રાજ્યના લોકો ત્યાં આવ્યા અને એ લોકોએ નિત્યની રીતિ પ્રમાણે પ્રણામ કર્યા.એ લોકોમાં જે મિત્રો હતા તેઓ,બલિરાજાની તે સ્થિતિ જોઇને ખેદ પામ્યા,
જેઓ ત્રાહિત હતા તેઓ વિસ્મય પામ્યા,જેઓ તત્વવેત્તાઓ હતા તેઓ આનંદ પામ્યા,અને જેઓ મૂર્ખ-સેવકો હતા તેઓ ભય પામ્યા.
અનુચર (મિત્ર) લોકોને બલિરાજાના પ્રાણનો સંશય થવાથી ખેદ થયો,
બલિરાજાનું મુખ પ્રસન્ન જોઇને તેમને (ત્રાહિત લોકોને) વિસ્મય થયું,અને તેના શરીરમાં રોમાંચ આદિ ચિહ્નો જોવામાં આવવાથી,(તત્વવેત્તાઓને) આનંદ થયો.
પણ ઘણીવાર સુધી બલિરાજાના ના ઉઠવાથી "હવે આપણુંરક્ષણ કોણ કરશે?" એવી ચિંતા ને લીધે તેમને (મૂર્ખ-સેવકોને) ભય પણ થયો.

દાનવ-મંત્રીઓ એ "હવે અહી શું કરવું?" એમ સારી પેઠે વિચાર કર્યો,
અને સર્વ વિદ્વાનોમાં ઉત્તમ તથા દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય નું ચિંતવન કર્યું.
એટલે અત્યંત તેજવાળું શુક્રાચાર્ય નું કલ્પિત શરીર ત્યાં આવી પહોંચેલું જોવામાં આવ્યું.
દૈત્યોના સમુહે તેમનું પૂજન કર્યું અને આસન આપ્યું.ત્યારે શુક્રાચાર્યે સમાધિસ્થ થયેલા બલિરાજાને જોયો
અને તેને જોઇને "તેનો સંસાર-રૂપી ભ્રમ નાશ પામી ગયો છે" એમ તેમણે અનુભવ્યું,
તેથી,તે પ્રફુલ્લિત થયા.અને હસીને સભાને નીચે પ્રમાણે વચન કહ્યું-

"હે,દૈત્યો,મહાત્મા બલિરાજા,પોતાના "આત્મ-વિચાર"થી જ
સર્વના અધિષ્ઠાન-રૂપ નિર્મળ બ્રહ્મ (ચૈતન્ય) ને પ્રાપ્ત થઈને સિદ્ધ થયેલો છે,
અને તેથી તેને નિરતીશય સુખ મળ્યું છે.માટે, તે ભલે હમણાં આ પ્રમાણે જ રહીને,
પોતાના સ્વ-રૂપમાં ચિરકાળ પર્યંત પરમાનંદ-રૂપ પરમ-પદમાં વિશ્રાંતિ લે.

તે સંસારના પરિશ્રમમાંથી થાકીને હમણાં વિશ્રાંતિ પામ્યો છે,
તેના ચિત્તમાંથી સંસારની ભ્રાંતિ ટળી ગઈ છે,તો હમણાં તમારે તેને બોલાવવો નહિ.
આ બલિરાજાનું અજ્ઞાન-રૂપી સંકટ શાંત થતાં,પોતાના પ્રકાશને જ પ્રાપ્ત થયેલો છે.અને તે પોતાની મેળે જ
જાગ્રત થશે.હે,સર્વ દાનવોના નાયકો તમે તમારા સ્વામીનાં કાર્યોને નિશ્ચિંત થઈને કર્યા કરો.
આ બલિરાજા એક હજાર વર્ષે સમાધિમાંથી જાગ્રત થશે." આમ કહી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય થયા.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,દૈત્યોએ આ પ્રમાણે શુક્રાચાર્યનાં વચનો સાંભળ્યાં,
એટલે તેમને હર્ષ-દ્વેષ-ખેદ થી થયેલી ચિંતા ને છોડી દીધી,
અને રાજ્ય-રીતિ પ્રમાણે સભાનું કામ આટોપી લઈને પોતપોતાના કાર્યો કરવામાં લાગી ગયા.

(૨૯) બલિરાજાની જીવનમુક્ત દશા અને રામને જ્ઞાનમાર્ગમાં રહેવાની ભલામણ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, સમાધિમાં પૂરાં હજાર વર્ષ વ્યતીત થઇ ગયાં,પછી દેવતાઓનાં દુંદુભિઓના શબ્દો
કાને પડવાથી,મહાત્મા બલિરાજા જાગ્રત થયો.અને વિચાર કરવા લાગ્યો-કે-
"અહો,બ્રહ્માકાર-પણે  રહેવા-રૂપ વાસ્તવિક પદવી બહુ શીતળ અને રમણીય છે.હું એ પદવીમાં પરમ વિશ્રાંતિ પામ્યો હતો.તેથી દેવતાઓનાં હજાર વર્ષ પણ મને ક્ષણ જેવાં લાગ્યાં,હવે હું એ પદવીનો જ આશ્રય કરીને વિશ્રામ કરું.આ સંસારમાં વિષયોની વિભૂતિઓ ભોગવવાથી મારું શું વળે તેમ છે?
મારા મનમાં સમાધિના પરિપાકથી થયેલી આનંદની લહેરોથી જેવો સંતોષ થયો છે,તેવો આનંદ ક્યાંય નથી."


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE