Jan 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1043


(૮૨) શિવનું સ્વરૂપ અને અજ્ઞાનથી પ્રપંચની પ્રતીતિ
રામ કહે છે કે-હે મહારાજ,સર્વનો નાશ થઇ ગયા પછી એ દેવી કોની સાથે નૃત્ય કરતાં હતાં? વળી આપ જે
ફળ,કુંભ આદિની માળાઓનું વર્ણન કરો છો,તે પણ કેમ ઘટી શકે? જો ત્રણે લોકનો નાશ થઇ જતો હોય
તો,પછી નાશને પામી ગયેલા એ લોકો પાછા તે ભૈરવી-દેવીના દેહમાં શી રીતે રહી શકે (દેખાય)?

વસિષ્ઠ કહે છે કે-વસ્તુતઃ જોઈએ તો એ ભૈરવ-રૂપ પુરુષ (રુદ્ર) પણ હતો નહિ અને ભૈરવી-રૂપી સ્ત્રી (કાળરાત્રિ)
પણ હતી નહિ કે તેમનું નૃત્ય પણ નહોતું.એ બંનેનું અસ્તિત્વ પણ હતું નહિ અને આગળ વર્ણવ્યા પ્રમાણેનો આકાર કે
આચાર પણ હતો નહિ,પરંતુ જે અનાદિ ચિદાકાશ સર્વ કારણોના પણ કારણરૂપ છે,અનંત,શાંત
અને અવિનાશી છે,તે જ વિવર્ત-રૂપે આભાસમાત્ર અનેક પ્રકારે સર્વત્ર પ્રસરી રહેલું જણાય છે.
અને એ (ચિદાકાશ) જ પ્રલયકાળમાં ભૈરવ (રુદ્ર )ના આકારે પ્રતીતિમાં આવે છે,
અને જગતની શાંતિ થયા પછી,એ ભૈરવ પરમ ચિદાકાશરૂપ જ થઇ રહે છે.

હે વિવેકી રામચંદ્રજી,ચિદાકાશના વિવર્ત-રૂપ દૃશ્ય-એ ચિદાકાશ વિના કેમ કરીને રહી શકે? તે તમે જ કહો.
મરી વિના તીખાશ કેમ રહી શકે? વિચાર કરશો તો જણાશે કે કુંડળ-વગેરે સુવર્ણ વિના શી રીતે રહી શકે?
જે ચિદાકાશ સર્વના મૂળ સ્વભાવ-રૂપ છે તેના વિના પદાર્થની સ્થિતિ કેમ કરી સંભવે?
શેરડીનો રસ મધુરતા વગર કેમ રહી શકે? કદાચ કોઈ કારણસર તે મધુરતા વગરનો થઈ ગયો હોય,
તો તેને શેરડીનો રસ કહી શકાતો નથી.

દૃશ્ય જગતનું સ્વરૂપ પરમાત્માના વિવર્ત સિવાય બીજું કશું સંભવતું નથી એ પરમતત્વ જ વિવર્તરૂપે જગતનો આકાર,
પોતાના ( નિરાકાર) સ્વરૂપને બતાવવા આકાશ-આદિ રૂપે બનાવી પોતાના આત્માને પ્રસારી દે છે.  
માત્ર નિર્વિકાર,આદિ-મધ્ય-અંતથી રહિત,સર્વશક્તિમાન અને સત્તામાત્ર એવું જે આત્માનું પરમતત્વ છે,
તે જ આ ત્રણે લોક-રૂપ,સૃષ્ટિ-રૂપ,પ્રલય-રૂપ,આકાશ-રૂપ,પૃથ્વી-રૂપ અને દિશા-રૂપ થઇ રહેલ દેખાય છે.

અવિદ્યા (અજ્ઞાન કે માયા) વાળી દ્રષ્ટિને લીધે,ભ્રાંતિ વડે ચિદાકાશ જ ઉત્પત્તિ-પ્રલય-આદિ-રૂપે ભાસે છે.
ઉત્પત્તિ,પ્રલય,મરણ,માયા,મોહ,મંદતા,અવસ્તુપણું,વસ્તુતા,વિવેક,બંધ-મોક્ષ,શુભ-અશુભ,વિષય,અવિદ્યા,
વિદેહપણું,સંદેહપણું,ચંચળપણું,સ્થિરપણું,લાંબો-ટૂંકો-કાળ,તમે હું એ સર્વ પરબ્રહ્મ જ છે.

સત્ય-અસત્ય,મૂર્ખતા-પંડિતતા,કાર્ય-કારણ,દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-વગેરેની કલ્પના,વ્યવહારોનું અસ્તિત્વ,
બાહ્ય-આંતર-વિષયોનો અનુભવ,કર્મેન્દ્રિય-જ્ઞાનેન્દ્રિય-અને પંચમહાભૂતથી બનેલ જે કંઈ પથરાઈ રહેલું નજરે
આવે છે તે સર્વ ચિદાકાશરૂપ જ છે.કે જે સર્વના અધિષ્ઠાન-રૂપ અને પોતાના સ્વરૂપને નહિ છોડતાં,
વિવર્ત-રૂપે જ આ સર્વના આકાર-રૂપે થઇ રહેલું છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE