Nov 16, 2019

ભાગવત રહસ્ય-૧૧૧

જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.
જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.

અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.
પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે. પુણ્ય પુરુષ કહે છે –તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં –પુણ્ય-કેમ કર્યું નહિ ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો-પણ ભક્તિ કેમ કરી નહિ? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે-ત્યારે અતિશય તરફડે છે.

યમદૂતોની ગતિ પગથી આંખ સુધીની હોય છે.
બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર)માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.
શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-
દશમ દ્વારથી જીવ અંદર આવે છે,અને જો તે દ્વારમાંથી જીવ બહાર નીકળે –તો મુક્તિ-મળે છે.
અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબાર માં જાય છે.

આંખમાંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોકમાં જાય છે.
મુખમાંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિમાં ફરીથી જાય છે.
મુખથી નીચે અને ડુંટીથી ઉપર –ના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિમાં જાય છે.
ડુંટીથી નીચેના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પ્રેત યોનિમાં જીવ જાય છે.

મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે.અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.યમદૂતો –જીવાત્માને –સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ) સાથે યમપુરીમાં લઇ જાય છે.અતિપાપી માટે યમપુરીનો માર્ગ અતિ ભયંકર છે. રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે.ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી.
આ પંથે માત્ર ધર્મ (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ –જીવને ધીરજ આપે છે-કે –હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.)ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્માને યમદરબારમાં સંભળાવે છે.

ચિત્રગુપ્ત=ચિત્તની ગુપ્ત વાતો જાણનાર. ચિત્તની ગુપ્ત વાતો જાણે –તેને ચિત્રગુપ્ત કહે છે.
સાક્ષીમાં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસના કરેલા પાપની સાક્ષી –સૂર્યદેવ આપે છે. રાતના પાપની વાસુદેવ.(આત્મા-પરમાત્મા).કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. પણ તારો બાપ જે અંદર બેઠો છે-તે તો જુએ છે ને ? 

પૃથ્વી,ચંદ્ર,સૂર્ય ....વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્માના સેવકો છે. તે સાક્ષી આપે છે-અમે તેને પાપ કરતા નજરે જોયું છે.પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે.
પછી જીવાત્માએ –તે –કબુલ- કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે.
પાપ વધુ હોય તો-નરકની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો-તે ચંદ્રલોકમાં જાય છે. પુણ્ય હોય તો –તે સ્વર્ગમાં જાય છે.સ્વર્ગમાં પુણ્ય ભોગવી ને –પુણ્યનો ક્ષય કરીને-પુણ્ય ખૂટી જાય-એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે.ચોર્યાસી લાખનું –ચક્કર-કહે છે. જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે-ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય –જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે........

     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE