Apr 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૦-અધ્યાય-૧૭

અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ
સોળમા અધ્યાયના અંતમાં શ્રીકૃષ્ણે એવો નિશ્ચિત સિદ્ધાંત કહ્યો-કે-
“સત્કર્મ કે દુષ્કર્મ કરવાના સંબંધમાં શાસ્ત્ર જ પ્રમાણ છે”
અર્જુનને આ વાત સાંભળીને સંશય થયો-એટલે તે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે.-કે-
આપનું કથન મને સંશય યુક્ત ભાસે છે.પ્રાણીમાત્રને શાસ્ત્રજ્ઞાન સિવાય મોક્ષપ્રાપ્તિ 
થતી જ નથી –તેવું જે એકપક્ષીય  આપ બોલ્યા છો-તેનો હેતુ શું છે ?

જેને શાસ્ત્રનો અભ્યાસ કરવાની સગવડ ના હોય.સંજોગો ના હોય,ગુરૂ નજીક ના હોય કે આયુષ્ય ટૂંકું હોય,
તેવો મનુષ્ય જો-માત્ર શ્રદ્ધાથી યુક્ત થઇને આપને (પરમાત્મા ને) ભજે –
તો તેની ભક્તિ કેવા પ્રકારની સમજવી ? સાત્વિક,રાજસિક કે તામસિક ? (૧)

જો ગંગાજળને દારુના ગ્લાસમાં ભરવામાં આવે તો તે ગંગાજળ અશુદ્ધ બને છે,તેવી રીતે-
શ્રદ્ધાનું સ્વરૂપ મૂળથી જ જો કે શુદ્ધ છે, (ગંગાજળની જેમ)
તેમ છતાં પણ જયારે તે શ્રદ્ધા જે જીવના - હિસ્સે (ભાગે) આવે છે,
ત્યારે- તે-સર્વ-જીવો તો સ્વભાવતઃ જ માયાની શક્તિથી 
ત્રણ ગુણ (સત્વ,રજસ,તમસ)ના બનેલા હોવાથી-શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની થઇ જાય છે.

મુખ્ય ગુણ (સત્વ-રજસ-તમસ માંથી ગમે તે એક)ને અનુસરીને જ –
જીવની વૃત્તિઓ રચાય છે,અને જીવ વાસના ધારણ કરે છે.અને તેના પ્રમાણે જ બધી ક્રિયાઓ કરે છે.

આ વાસનામય જીવનું મરણ થઇ તે નવો દેહ ધારણ કરે તો પણ તે –જીવની વાસનાને મન
તેનું તે જ હોવાથી,તેનામાંથી તે ગુણ મટતા (જતા) નથી અને એટલા માટે જ-
જે પ્રાણીને હિસ્સે જે શ્રદ્ધા આવે તે પણ તે ગુણોને આધારે ત્રણ પ્રકારની (સત્વ-રજસ-તમસ) હોય છે.

આ રીતે પોતપોતાના પૂર્વ સંસ્કાર અનુસાર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
અને જે મનુષ્યની જેવી શ્રદ્ધા –તેવી જ તેની યોગ્યતા હોય છે.(૨-૩)

જેમનાં શરીર સાત્વિક શ્રદ્ધાનાં બનેલાં છે-તે દેવોનું પૂજન કરે છે,અને દેવલોકને પ્રાપ્ત થાય છે.
જેમનાં શરીર રજોગુણ શ્રદ્ધાથી બનેલાં છે-તે યક્ષ-રાક્ષસોનું પૂજન કરે છે.અને
જેમનાં શરીર તમોગુણ શ્રદ્ધાથી બનેલા છે-તે ભુત-પ્રેતાદિનું પૂજન કરે છે.

આ ત્રણમાંથી સાત્વિક શ્રદ્ધા જ વધુ આવકારદાયક છે.સાત્વિક શ્રદ્ધાવાળા,
શાસ્ત્રોનું પઠન ના કરે પણ કોઈ સંત મહાત્માના જીવનનું અનુકરણ કરી તેના જેવું વર્તન કરે-
તો પણ તેને સાત્વિક શ્રદ્ધાનું ફળ પ્રાપ્ત થાય છે.

જેવી રીતે કોઈ એક મનુષ્ય મહા પરિશ્રમ કરી અને દીવો સળગાવે, અને બીજો મનુષ્ય
તે દીવામાંથી દીવો સળગાવે-તો તે પણ પહેલા દીવાની જેમ જ પ્રકાશ આપશે.
તેવી રીતે પોતાના કરતાં જે દક્ષતાથી શાસ્ત્રોનું અનુષ્ઠાન કરતો હોય-તેના આચરણના અનુકરણથી
પણ –ભલે તે મૂર્ખ હોય તો પણ સંસાર સાગરને તરી જાય છે.(૪)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE