Apr 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૧

દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળથી યુક્ત,એવા જે મનુષ્યો,શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,શરીરની સર્વ ઇન્દ્રિયોને 
કષ્ટ આપી અને શરીરમાં આત્મા રૂપે રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા વાળા) (૫-૬)

જ્ઞાનેશ્વર કહે છે-કે-
-જેમને શાસ્ત્ર એટલે શું ? તેની કલ્પના પણ નથી,
-જે કોઈ શાસ્ત્રજ્ઞ (શાસ્ત્રના જાણનાર) ને તે પોતાની પાસે ફરકવા પણ દેતો નથી,
-જે સત્કર્મો કરનારને  જોતાં તેમનો-અને જ્ઞાનીઓના જ્ઞાન સાંભળીને તેમનો -- ઉપહાસ (મશ્કરી) કરે છે,
-જે સત્ય જ્ઞાનના શબ્દોને –તો-કાને પડવા દેતો નથી,
પણ ઉલટાનું પોતાના ડહાપણ (બુદ્ધિ) અને સંપત્તિના તોરમાં (અભિમાનમાં) ફરે છે,

તેવા મનુષ્યો પાખંડીઓના (દંભીઓના) તપનું આચરણ  (અનુષ્ઠાન) કરે છે,અને
પોતાની પાસે આવેલા (નજીક આવેલા) મનુષ્યો પર શસ્ત્રથી પ્રહાર કરી(તેમને મારીને)
તેમના લોહી અને માંસથી યજ્ઞ-પાત્રો છલાછલ ભરીને અગ્નિકુંડમાં મેલડી માતાને આહુતિ આપે છે.
તેમને પ્રણામ કરી બાળકોના બલિ આપે છે!!!!
ક્ષુદ્ર દેવતાઓ પાસેથી વરદાનની પ્રાપ્તિ કરી લેવાને માટે દુરાગ્રહના આવેશમાં –
પોતાના શરીરને પીડા આપે તેવા વ્રતો કરે છે,

આવી રીતે –આવા મનુષ્યો બીજા જીવો અને પોતાના જીવને પણ કષ્ટ આપી અને
સર્વ જીવોમાં રહેલા આત્મારુપી પરમાત્માને પણ કષ્ટ આપે છે.
અને તમોરુપી (તમસ રૂપી) બીજ જમીનમાં વાવીને,તમસ (આસુરી) નો જ પાક લે છે.

આવા તમોગુણી શ્રદ્ધાવાળા મનુષ્યોનો (પાપીઓનો) નામનો ઉચ્ચાર સુદ્ધાં કરવો નહિ.(તેનાથી દૂર રહેવું)

સારાંશ એ છે-કે-સર્વ પ્રકારે સાત્વિક શ્રદ્ધાનું જતન કરવું.
જેના યોગથી સાત્વિક શ્રદ્ધા વૃદ્ધિ પામે –તેવા મનુષ્યનો જ સંગ કરવો.અને
જે અન્નના સેવન થી સાત્વિક બુદ્ધિ ઉત્પન્ન થાય તેવો જ આહાર કરવો.
કારણ કે જેવું અન્ન ભક્ષણ કરવામાં આવે તેવી ધાતુ (શરીરમાં) ઉત્પન્ન થાય છે,અને
તે ધાતુ પ્રમાણે અંતર્ભાવ (સાત્વિકભાવ-વગેરે) ઉત્પન્ન થઇ ચિત્તવૃત્તિ (સાત્વિકબુદ્ધિ-વગેરે) બંધાય છે.
એટલા માટે જ સાત્વિક અન્નનું સેવન કરવું કે જેનાથી સાત્વિક ભાવ (સાત્વિક બુદ્ધિ) ઉત્પન્ન થાય છે.

શ્રીકૃષ્ણ કહે છે-કે-આહાર (ભોજન) ના ત્રણ પ્રકારો છે. અને તેવી જ રીતે –યજ્ઞ,તપ અને દાન –એના પણ
ત્રણ પ્રકારો (સત્વ,રજસ,તમસ) છે.(૭)

દૈવયોગે –જો જીવ સત્વગુણનો બનેલો હોય –તો તેવા સાત્વિક જીવોને-
રસથી ભરેલા,સ્નિગ્ધ,પૌષ્ટિક આહારો કે જે મનને આનંદ આપે છે, તેવા સાત્વિક આહારો પ્રિય હોય છે.
આવા આહારોથી આરોગ્ય સારું રહે છે,આયુષ્યની વૃદ્ધિ થાય છે,શરીરને જોઈતું બળ (શક્તિ) મળે છે,
શરીર ઉત્સાહી રહે છે,અને શરીર તથા મન ને સુખ અને પ્રીતિ (આનંદ) મળે છે.શરીર રોગ વગરનું બને છે.
શરીર એ ધર્મને (સત્યને) પ્રાપ્ત કરવાનું “સાધન” છે,સાત્વિક ભોજન “સત્વ”નું રક્ષણ કરે છે. (૮)

અતિશય તીખા,ખારા,ગરમ,દાહક(દઝાડે તેવા),રુક્ષ  (કોરા),કડવા –ખોરાક
જેની–આંખને અને જીભને સારા લાગે છે-તે રાજસિક લોકો હોય છે.
આવા રાજસિક આહાર –પરિણામે-રોગને ઉત્પન્ન કરે છે –અને પરિણામે દુઃખ અને શોક આપે છે. (૯)

વાસી (સવારનું રાંધેલું સાંજે કે બીજે દિવસે ખાય તે),અડધું કાચું,અતિગંધ (લસણ-વગેરે),દુર્ગંધ વાળું,
કોઈનું એંઠું ,અપવિત્ર,બળી ગયેલું,ઉતરી ગયેલું, તામસિક ભોજન તામસિક લોકો ને પ્રિય હોય છે. (૧૦)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE