Apr 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૯

“જ્ઞાન”ના યોગથી જે “ગુણાતીત” (ગુણોથી પર) બન્યો છે,તે-“નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મને 
–કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી  વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી,સમુદ્રપણાને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-
તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણોના(સત્વ,રજસ,તમસ) પાશમાં ના સપડાતાં-
“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્માનું ઐક્ય થઇ જાય છે)

આવો જીવાત્મા,શરીરમાંથી ઉત્પન્ન થયેલા –ત્રણે ગુણો (સત્વ,રજસ તમસ) ને ઓળંગીને-
જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિના દુઃખોથી મુક્ત થઇ અને મોક્ષને પ્રાપ્ત થાય છે.(૨૦)

અર્જુન હવે પ્રશ્ન પૂછે છે-કે-
હે કૃષ્ણ,આ ત્રણે ગુણોને ત્યાગીને આગળ વધેલા જીવને કેવી રીતે ઓળખવો ?
તેનો આચાર કેવો હોય છે ?તે કેવી રીતે આ ત્રણ ગુણોને ઓળંગી જાય છે?

ગુણાતીત (ગુણોથી પર) શબ્દ નો અર્થ સમજાવ્યા પછી-તેનાં આચરણ કયાં છે?એ પ્રશ્ન –ખરેખર
સંભવતો જ નથી.કારણકે-જેને ગુણાતીત કહેવામાં આવે છે-તે કદી ગુણાધીન (ગુણોને આધીન)
હોતો જ નથી.તે ગુણોમાં વ્યવહાર કરતો દેખાતો હોવા છતાં-પણ તે ગુણોને વશ હોતો નથી.

તેમ છતાં -ગુણોની સાથે તેનો વ્યવહાર દેખાય છે- તો -તે ગુણોને આધીન છે કે નહિ ?
તે કેવી રીતે જાણી શકાય ?

--તે  જીવાત્મામાં રજોગુણની પ્રબળતા વધે અને કર્મો કરી પ્રવૃત્તિ માર્ગમાં લીન થાય, અને જો-
તે પ્રવૃત્તિમાં જો સફળતા મળે તો પણ “કર્મો કરનાર હું જ છું” એવું અભિમાન –તેને ના થાય, અને-
--જો કર્મોનો નાશ (પ્રવૃત્તિનો નાશ) થાય-તો પણ જો-તેની બુદ્ધિને ખેદ (શોક) ના થાય-
અથવા-
--તે  જીવાત્મા માં સત્વગુણ ની પ્રબળતા વધે-અને સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશિત થાય-ત્યારે-જો-
તે “મારા જેવો કોઈ બીજો વિદ્વાન નથી” તેવો સંતોષ કે અભિમાન ના રાખે-

અથવા-
--તે જીવાત્મામાં તમોગુણ ની વૃદ્ધિ થાય-ત્યારે જો –તે મોહ કે ભ્રમમાં ડૂબતો નથી અને અજ્ઞાનના
સંસર્ગથી જે મનમાં ખેદ કરતો નથી.

આ રીતે આવો જ્ઞાની-જીવાત્મા –શરીરમાંથી  ઉત્પન્ન થતા ગુણો (સત્વ,રજસ,તમસ) ના પ્રત્યે લક્ષ
આપતો નથી.
અને ઉદાસીનની જેમ રહી, ગુણોથી વિકાર પામતો નથી, અને “ગુણો જ કર્તા છે-કર્મ કરે છે”
એમ માનીને પોતે સ્થિર રહે છે અને “પોતે કાંઇ જ કરતો નથી” –એવું માને છે.(૨૨-૨૩)

આવાં ગુણાતીત મનુષ્યનાં  લક્ષણો છે, હવે તેમનાં આચરણો કેવાં હોય છે –તેનું વર્ણન છે.

આવો ગુણાતીત મનુષ્ય-
--આત્મસ્વ-રૂપમાં સ્થિર રહે છે.
--સુખ-દુઃખને સમાન માને છે.
--માટી,પથ્થર અને સોનાને સમાન માને છે.
--પ્રિય અને અપ્રિયને સમાન માને છે.
--ધૈર્યવાન છે અને નિંદા અને સ્તુતિને સમાન માને છે.
--માન અને અપમાનને સમાન માને છે.
--મિત્ર અને શત્રુને સમાન માને છે.
--સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે.
--એકનિષ્ઠ ભક્તિથી પરમાત્મા ની સેવા કરે છે.
--ત્રણે ગુણોને જીતી ને બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય થાય છે.

કારણકે-અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ-એ અખંડ સુખ નું સ્થાન છે.(૨૪-૨૫-૨૬-૨૭)

અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ-સમાપ્ત


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE