Dec 6, 2020

ભાગવત રહસ્ય -૪૬૮

જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે.
ભાગવતની કથા કરતાં કરતાં શુકદેવજી ને બે વખત સમાધિ લાગેલી છે.
પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે,(શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું  રૂપ લઇ ને ગયા ત્યારે) અને બીજી વખત –આ સુદામા ચરિત્રનું વર્ણન કરતી વખતે.

શુકદેવજી વર્ણન કરે છે કે-સુદામા ભગવાનના ખાસ મિત્ર છે.સુદામા પોરબંદરમાં બિરાજે છે.
સુદામા પવિત્ર,જીતેન્દ્રિય અને મહાજ્ઞાની છે.ચાર વેદ અને છ શાસ્ત્ર નું તેમને જ્ઞાન છે,આખો દિવસ પૂજા પાઠમાં ગાળે છે,જ્ઞાન અને ભક્તિનું ફળ પૈસો નહિ,પ્રતિષ્ઠા નહિ,પણ પરમાત્માને મેળવવાનું છે.સતત પરમાત્માનું ધ્યાન કરે તે લક્ષ્મીજીને ગમતો નથી.લક્ષ્મીજી વિચારે છે કે-
“આ મારા માલિક સાથે પાંચ મિનિટ વાત પણ કરવા દેતો નથી” સુદામા ગરીબ પણ છે.

તેમ છતાં સુદામાએ અયાચક વ્રત લીધું હતું. (કોઈની પાસે કાંઇ માગવું નહિ-તેવું વ્રત)
સુદામાએ નિશ્ચય કરેલો કે-મારા જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાન માટે જ કરવો છે,પૈસા માટે નહિ.તેમને પ્રભુ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ ગમતી નથી.
સુદામા તેમના અપરિગ્રહ વ્રત મુજબ ઘરમાં સૂર્યોદય પહેલા જે આવે તે સૂર્યાસ્ત પહેલા વાપરી નાખે છે.
બીજા દિવસ માટે કશું રાખવાનું નહિ કે કોઈની પાસે માગવાનું નહિ. ઘરમાં દારિદ્રય છે.

સુદામાની પત્ની નામ ભાગવતમાં બતાવ્યું નથી પણ ઈતર ગ્રંથ મુજબ,તેમની પત્નીનું નામ સુશીલા હતું.
સુશીલા સુશીલ છે.પહેરવાને માત્ર એક વસ્ત્ર છે,સ્નાન કરી શરીર પર જ સાડી સૂકવે છે.
સુશીલા મહાન પતિવ્રતા છે.ગરીબી ને કારણે અનેકવાર ઉપવાસ થાય તેમ છતાં
સુશીલાએ કદી કીધું નથી કે,”તમે વિદ્વાન છો,બ્રાહ્મણ છો તો ક્યાંક કમાવા જાવ.”
ઘરમાં રહી પતિ-પત્ની સત્સંગ કરે કૃષ્ણ-કીર્તન કરે.એમનો ગૃહસ્થાશ્રમ,સન્યાશ્રમને શરમાવે તેવો છે.

પતિ પત્ની એકલાં હતાં ત્યાં સુધી ઘરમાં શાંતિ હતી.ભગવાનની લીલા છે કે ઘરમાં બે ત્રણ બાળકો થયાં.
સુદામાના ઘરમાં ઘણીવાર બાળકોને ખવડાવવા માટે કંઇ હોતું નથી.બાળકો માતાને પજવે છે.
શિયાળાની ઠંડીમાં છોકરાં ઉઘાડા દિલે-ઉઘાડા પગે ફરે છે,ઘરમાં ઓઢવાનું પૂરતું સાધન નથી.
બાળકો માતાની પાછળ પડે છે.સુશીલાને દુઃખ થાય છે,પોતાની જાતને ધિક્કારે છે,અને વિચારે છે કે-
“મને પરમાત્મા એ માતા બનાવી પણ ખાવાનું કાંઇ આપ્યું નથી.એના કરતા મને વાંઝણી રાખી હોત તો
સારું હતું.મારા પતિદેવ ને હું કેમ કહું કે- તમે પ્રવૃત્તિ કરો.તે તો આખો દિવસ જપ-ધ્યાન કરે.
હું એકલી હતી ત્યાં સુધી બરોબર હતું પણ બાળકો ની આ દશા મારાથી જોવાતી નથી.”

એક દિવસ બહુ વ્યાકુળ થઇ એટલે પતિદેવને કહ્યું કે-નાથ, મારે તમને એક પ્રાર્થના કરવી છે,આપે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે,તેને મિત્રો બહુ વહાલા લાગે છે.મિત્રો માટે તે ચોરી પણ કરતો.
મેં સાંભળ્યું છે કે તમે કનૈયા ની સાથે ગુરુકુળ માં સાથે ભણતા હતા અને તમે કનૈયા ના મિત્ર છો.
તો તમારા મિત્ર ને મળવાની ઈચ્છા તમને થતી નથી?એક દિવસ તેમને મળવા જાવ. તમે તેને મળો તો આપણું દુઃખ દૂર થાય.

સુદામા કહે છે કે-મારો મિત્ર છે લક્ષ્મીનારાયણ અને હું છું દરિદ્રનારાયણ.મને જતાં સંકોચ થાય છે.
શ્રીકૃષ્ણને મળવા જઈશ તો લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે.
મારો નિયમ છે કે-હું પરમાત્મા ને ઘેર પણ માગવા નહિ જાઉં,માગવું તે મારા માટે મરણ સમાન છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE