Oct 14, 2021

Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101

દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં 
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને 
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.

હે,ભરતજી,સાંભળો,રાજાએ રાજ્ય તમને સોંપ્યું છે,પિતાનું વચન તમને ગમે ન ગમે તો યે તમારે તેને સત્ય 
કરવું જોઈએ.રાજાને પ્રાણ કરતાં યે વચન પ્રિય હતું.માટે પિતાનું વચન તમે માથે ચડાવો તેમાં જ તમારું 
કલ્યાણ છે.શ્રીરામે જેમ પિતાની ઈચ્છાને માન આપ્યું,તેમ તમે પણ તેમની ઈચ્છાને માન આપો તો 
વનવાસમાં રહેલા શ્રીરામને પણ આનંદ થશે.ચૌદ વર્ષ પછી રામજી વનમાંથી આવે ત્યારે તમને ઠીક લાગે 
તેમ કરજો,પરંતુ આવતી કાલે અમે તમને ગાદી પર બેસાડીશું.અને અનાથ અયોધ્યા ને સનાથ કરીશું.

તે પછી મંત્રીઓએ ઉભા થઇ ને વસિષ્ઠજી વાતને ટેકો આપ્યો.કૌશલ્યાજી બોલ્યા કે-ગુરુની આજ્ઞા પાળવી 
એ તારો ધર્મ છે,બેટા,તારા પિતા સ્વર્ગમાં છે,અને રામ વનમાં છે,એટલે જે અહીં રહ્યા છે તે સૌનો તું  
આધાર છે,માટે તું કાયર ના થા અને હિંમતથી રાજ્યની ધુરા ધારણ કર.
ભરતજીએ ઉભા થઇ,સૌની સામે હાથ જોડ્યા,ને બોલવાનું શરુ કર્યું.

ભરતજીના આ ચરિત્રનું વર્ણન કરતાં તુલસીદાસજીને સમાધિ લાગી છે.એમની એક એક ચોપાઈ અદભૂત 
અને માધુર્યથી ભરપૂર છે.ભરતજીનો રામ પ્રત્યેનો પ્રેમ અતિ ઉત્કટ છે,જો કે એવો જ પ્રેમ લક્ષ્મણમાં પણ 
રામજી પ્રત્યે છે,પણ અહીં ભરતજીનો વિવેક અને ધર્મબુદ્ધિ,રામજી પ્રત્યેનો ઉત્કટ ભાતૃપ્રેમ બતાવે છે.

ભરતજી કહે છે કે-આપ સૌ વડીલ છો,પૂજ્ય છો,ગુરુજન છો.આપની આજ્ઞા માથે ચડાવવી એ મારો ધર્મ છે.
માતા-પિતા અને ગુરુજનોની વાણી વિષે યોગ્ય-અયોગ્યતાનો વિચાર કરવો એ પાપ છે.
આપની સલાહ મારું કલ્યાણ કરનારી છે તે હું સમજુ છું,પણ તેમ છતાં મારા જીવને સંતોષ કે સુખ નથી.
તેથી આપ સૌની ક્ષમા માગી હું પુછું છું કે-શું હું ગાદીએ બેસું તેથી આપ ખુશ થશો?
કે પછી શું હું સુખી થાઉં એમ કરવાથી આપ સૌ સુખી થશો?
ખરેખર,તો શું હું રાજા થવાથી સુખી થઈશ? શું અયોધ્યાની પ્રજા સુખી થશે? એમ આપ સહુ સમજો છો?

સત્યમાં તો આ સર્વ અનર્થનું કારણ હું છું,આ જગતમાં ભરતનો જન્મ ના થયો હોત તો આ પ્રસંગ બનત જ નહિ.
આજે મારા પિતા સ્વર્ગે સિધાવ્યા તેનું મને જે દુઃખ છે તેના કરતાંયે અધિક,મારા રામ,વલ્કલ પહેરી ઉઘાડા પગે
વનમાં ફરે છે,તેનું દુઃખ મારાથી અસહનીય છે.શ્રીરામ વગર સઘળું વ્યર્થ છે,શ્રીરામ વિનાનું રાજ્ય મારા માટે
શોકાગાર છે.જેમ કપડાં વગર ઘરેણાંનો ભાર વ્યર્થ છે,વૈરાગ્ય વિના બ્રહ્મ-વિચાર વ્યર્થ છે.
તેમ શ્રીરામ વિના મારું સર્વ વ્યર્થ છે.

હવે અયોધ્યાના સુખની વાત કરું.તો આ કૈકેયીનો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે,જે ગાદી પર રાજા ભગીરથ વિરાજતા હતા તે ગાદી પર બેસવાને તે લાયક નથી.મારા જેવા અધમને ગાદી એ બેસાડીને તમે કયા સુખની આશા રાખો છો? હું સત્ય જ કહું છું.રાજા તો ધર્મ-શીલ જ હોવો જોઈએ.તમે હઠ કરીને મને રાજા બનાવશો 
તો પૃથ્વી રસાતળે જશે.મારે લીધે જ રામને વનવાસ મળ્યો ને મારા પિતાજી સ્વર્ગે સિધાવ્યા,
તો એવા પાપનું કારણ એવો હું ગાદીએ બેસી તમારું શું ભલું કરી શકવાનો?

આટલો જગતમાં હાંસીપાત્ર થવા છતાં હું જીવતો છું એ શું બતાવે છે? તે એજ બતાવે છે કે,જેમ,કારણ કરતાં
કાર્ય,એટલે કે હાડકાં કરતાં હાડકામાંથી બનાવેલું વજ્ર વધારે કઠોર હોય છે,તેવી જ રીતે કૈકેયી કરતાં પણ 
આ ભરત વધારે કઠોર છે. એવા ભરતને રાજતિલક કરી તમે સર્વ શું સુખી થવાની આશા રાખો છો? 
શ્રીરામ વિના મારા દિલમાં આજે આગ લાગી છે,અને શ્રીરામના દર્શન વિના એ આગ બુઝાવાની નથી,

એટલે મેં નિશ્ચય કરી લીધો છે કે-આવતીકાલે સવારે જ હું રામની પાસે જઈશ,મને વિશ્વાસ છે કે 
શ્રીરામ અત્યંત દયાળુ છે,અને તેઓ મારા તમામ અપરાધ ક્ષમા કરી મને શરણમાં લેશે.
શ્રીરામે તો કદી દુશ્મનનું યે બુરું ઈચ્છયું નથી.તેઓ મારા માલિક છે ને હું તેમનો સેવક છું..

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE