Oct 17, 2021

Gujarati-Ramayan-Rahasya-104-ગુજરાતી-રામાયણ-રહસ્ય-104

ભરતજીએ પણ તીર્થરાજમાં સ્નાન કરી હાથ જોડી પ્રાર્થના કરી કે-હે તીર્થરાજ,
હું દુઃખી છું,દુઃખી માણસ કયું કુકર્મ નથી કરતો? એમ આજે હું ક્ષત્રિયનો ન માગવાનો ધર્મ ચૂકીને,આપની પાસે માગું છું કે,મારે,ધર્મ,અર્થ,કામ કે મોક્ષ –એ 
કશું જોઈતું નથી.હું તો માત્ર એટલું જ માગું છું કે –જન્મોજન્મ મારો 
શ્રીરામચરણ માં પ્રેમ થાઓ. “જનમ જનમ રતિ રામપદ,યહ બરદાનુંન આન “

પછી ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમ આગળ આવ્યા,ભરતજી આશ્રમમાં પગ મુકતાં 
ડરતા હતા.તે વિચારે છે-કે-હું કુટિલ કૈકેયીનો પુત્ર આવા પવિત્ર આશ્રમમાં પગ કેવી રીતે મૂકી શકું? 
કૈકેયી,તેં મારું મોં કાળું કર્યું !! સંતોની પાસે હું કેવી રીતે ને કયા મોઢે જાઉં?
ભરદ્વાજમુનિ સમજાવે છે કે-ભરતજી શોક ના કરો,આ તો ઈશ્વરની લીલા છે,તેમાં તમે કે કૈકેયી કોઈ કશું કરતાં
નથી.ભરતજી,તમે તો મહા ભાગ્યશાળી છો,રામજી તમને રોજ યાદ કરે છે.તેઓ પ્રયાગમાં નહાતા હતા,
ત્યારે જ મેં તેમનો આ મર્મ જાણ્યો હતો.આખી રાત તેમણે અહીં તમારાં વખાણ કર્યા હતાં.

શ્રીરામ પોતાને યાદ કરે છે,એ જાણી ભરતજીને આનંદ થયો.પછી ભરદ્વાજજીએ કહ્યું કે-મારો એવો મત છે કે-
રામના સ્નેહે જ તમારો દેહ ધારણ કર્યો છે.“તુમ્હ તો ભરત મોર મત એહૂ,ધરે દેહ જનુ રામ સનેહૂ”
બીજા ચંદ્ર ઉદય-અસ્ત પામશે પણ તમારો યશ-ચંદ્ર કદી અસ્ત નહિ થાય.માટે ગ્લાનિ છોડો,પારસમણીને 
પામ્યા પછી ડરવાનું કેવું? સર્વ સાધના નુ ફળ છે-રામ દર્શન.અમે સાધના કરી અને અમને રામદર્શન થયાં,પછી 
અમે વિચારતાં હતા કે,રામનાં દર્શનનું ફળ કયું? પણ આજે તમારાં દર્શન કર્યા પછી,મને ખાતરી થઇ છે કે-
રામનાં દર્શનનું  ફળ એ ભરતનું દર્શન છે,માટે,હે ભરતજી આપનાં દર્શન કરી ને અમે ધન્ય થયા છીએ.
“સબ સાધન કર સુફલ સુહાવા,લખન,રામ,સીય દરસનું પાવા,તેહિ ફલ કર ફલુ દરસ તુમ્હારા”

ભરતજી કહે છે કે-મુનિવર,મને માતા કૈકેયીએ જે કર્યું તેનું દુઃખ નથી,જગત મને નીચ માને તેનું મને દુઃખ નથી,
પિતાજી સ્વર્ગે સિધાવ્યા તેનું યે મને દુઃખ નથી,પણ મને તો દુઃખ એ વાતનું છે કે-
મારા,રામ,સીતાને લક્ષ્મણ ઉઘાડા પગે વનમાં ફરે છે !!એ દુઃખથી મારી છાતી નિરંતર બળ્યા કરે છે,
મને નથી ઊંઘ આવતી કે નથી ભૂખ લાગતી.મારા આ રોગની દવા કોઈ જડતી નથી,એનું મને દુઃખ છે.

ભરદ્વાજમુનિએ ફરીથી આશ્વાસન આપતાં કહ્યું કે-પ્રભુની આ લીલા છે,માટે શોક ના કરો.
પછી ભરદ્વાજ મુનિએ વિચાર કર્યો કે-આંગણે મોટા અને અસંખ્ય અતિથીઓ પધાર્યા છે તો તેમનો પણ 
યોગ્ય સત્કાર થવો જોઈએ.યોગીને માટે કશું અશક્ય નથી.સિદ્ધિઓ જેની આગળ હાથ જોડી ઉભી રહે 
તેના માટે શું અશક્ય છે? આજદિન લગી તો મુનિને સિદ્ધિઓના ઉપયોગ ની જરૂર પડી નહોતી,
પણ આજે મુનિએ અણિમાદિક-રિદ્ધિ-સિદ્ધિઓને આજ્ઞા કરી કે-આંગણે આવેલા મહેમાનો ને શોભે,
એમને જરા પણ તકલીફ ના પડે એવું એમનું આતિથ્ય કરો. અને સિદ્ધિઓ કામે લાગી ગઈ.

ભાતભાતની સાધન સામગ્રીઓવાળા અસંખ્ય ઘરો ઉભા થઇ ગયા,જેને જે ઈચ્છયું તે પ્રમાણે તેને મળ્યું.
ભરતજીના નિવાસ-સ્થાનમાં તો મુનિના કહેવા થી એવી તો સુખની સામગ્રીઓ ભરી હતી કે-
જ્ઞાનીઓ ને વૈરાગી પણ તેમનો વૈરાગ્ય ભૂલી જાય,મુનિ ભરતજીના મનની પરીક્ષા કરવા માગતા હતા.
પણ ભરતજી એ તો એ સુખ સામગ્રીની સામે પણ જોયું નહિ,પકવાનના થાળ એમ ને એમ રહ્યા,
અને બધી સાહ્યબીથી દૂર એક દર્ભાસન પર બિરાજીને રામ-રામ જપ કરવા લાગ્યા.

ભરતજીએ જે કહેલું કે “મને ઊંઘ આવતી નથી,ભૂખ નથી લાગતી” તેની ભરદ્વાજ મુનિ પરીક્ષા કરે છે,
અને પહોરે પહોરે જઈને ભરતજીની ખબર કાઢે છે કે –ભરતે કંઈ ખાધું?કે તે પોઢ્યા કે નહિ?
પણ દર વખત તે આવીને જુએ છે-તો,ભરતજી એ જ દર્ભના આસન પર સ્થિર થઇ રામ-રામ જપે છે.
એમના રોમરોમમાંથી રામ-નામનો ધ્વનિ ઉઠે છે,બિછાનું ને ભોજનના થાળ એમ ને એમ પડ્યા છે.
જાણે એ કશું છે જ નહિ,ભરતને માટે તો રામ-નામ સિવાય બીજા કશુંનું અસ્તિત્વ જ નથી.

ભરદ્વાજ મુનિ કહે છે કે-અદભૂત,અલૌકિક,ભરતનો રામ-પ્રેમ કોણ વર્ણવી શકે?એ વાણીની પહોંચ 
બહારની વસ્તુ છે. ભરતની તપશ્ચર્યા જોઈ મુનિનું હૃદય ભરાઈ આવ્યું છે ને તે બોલી ઉઠયા કે-
ખરેખર,સર્વ સાધનાનું ફળ તે શ્રી રામનાં દર્શન અને શ્રીરામનાં દર્શનનું ફળ એ ભરતનાં દર્શન છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE