Nov 21, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૩

રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચને મૃગના વેશે રામજીની પાસે મોકલવાનું નક્કી કર્યું.તે વિચારે છે કે-“જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગને જોઈને તે તરત જ સમજી જશે અને મૃગની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે.અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-બજન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?” ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવીને.

કોક પળે રાવણના મનમાં પણ સત્યના પ્રકાશનો ઉદય થાય છે ખરો,પણ એની વાસના,એના વિવેકને 
ભુલાવી દે છે.એનો અહંકાર એણે અવળે પાટે ચડાવી દે છે.અને પ્રકાશને અદશ્ય કરી દે છે.
રાવણ રથમાં ચડીને મારીચને મળવા ચાલ્યો.મારીચને શ્રીરામે વિશ્વામિત્રના યજ્ઞ વખતે દરિયા કિનારે ફેંકી 
દીધો હતો,તે ત્યાં રહેતો હતો.રાવણે મારીચને સીધી જ વાત કરી કે-રામે વગર વાંકે મારી બહેન શૂર્પણખાના 
નાક-કાન કાપી લીધાં છે,ને મારી સાથે વેર બાંધ્યું છે,હવે એને હું છોડવાનો નથી,તું મને આમાં મદદ કર.

રામનું નામ દેતાં જ મારીચ તેમને ઓળખી ગયો, તેણે કહ્યું કે-હે, રાવણ,તું રામની સાથે વેર ના બાંધ.
આપણે તેમના જીવાડ્યા જીવીએ છીએ ને તેમના માર્યા મરીએ છીએ.એમના બળની મને ખબર છે તેથી આ 
હું કહું છું.હું વિશ્વામિત્રના યજ્ઞનો ભંગ કરવા ગયો ત્યારે તો રામ બાળક હતા,પુરી અસ્ત્ર-વિદ્યાનો અભ્યાસ 
પણ કર્યો નહોતો,છતાં પણ એક ફણા વગરનું બાણ છોડી તેમણે મને સો જોજન દૂર અહીં દરિયા-કિનારે 
ફેંકી દીધો હતો.ત્યારથી એમનાથી હું એવો ભય ખાઈ ગયો છું કે મને જ્યાં-ત્યાં રામ જ દેખાય છે.
હું જાણું છું કે તને મારી સલાહ નહિ ગમે,એટલે તને અપ્રિય લાગે તોયે સાચી વાત તને કહું છું કે-
તું રામની સાથે વેર ના કર,નહિતર તારી લંકા હતી ન હતી થઇ જશે.

આ સાંભળી રાવણના ગુસ્સાનો પાર રહ્યો નહિ.અને કહે છે-ચૂપ રહે,હું તારી કોઈ વાત સાંભળવા માગતો નથી,
મેં તને કાંઇ ગુરૂ કર્યો નથી કે તારો ઉપદેશ હું સાંભળું.અહીં તો એક જ વાત છે કે-
કાં તો હા કહે, કાં તો ના કહે.અને જો ના કીધી તો આ તલવાર તારી ડોક પર પડેલી જાણજે.
પળમાં મારીચે વિચાર કરી લીધો કે-આ દુષ્ટની આગળ કોઈ દલીલ ચાલવાની નથી.
જો એનું માનું છું તો યે મરણ છે અને ના માનું તો યે મરણ છે.તો પછી આવા દુષ્ટ  હાથે મરવા કરતાં,
રામના હાથે રામ-બાણ ખાઈને શું કરવા ના મરું?

મનમાં આવો નિર્ણય કરી મારીચે રાવણને કહ્યું કે-હે,રાવણ હું તારી વાતનો સ્વીકાર કરું છું,સીતાજીનું 
હરણ કરવામાં હું તને મદદ કરીશ,છતાં હજી તને કહેવાનું મન થાય છે કે-તું આ ઠીક કરતો નથી.
વિનાશકાળે બુદ્ધિ બગડે છે-એવું તારે માટે થયું છે.
રાવણે કહ્યું કે-ચૂપ રહે,રામે તારી મા તાડકાને મારી હતી,તેનું વેર લેવાની તને તક મળી છે,
એમ સમજી ખુશ થા.ને મારી સાથે ચાલ.

મારીચ એ દોષ-યુક્ત મનનું પ્રતિક છે.મન ચંચળ તો છે જ અને ચંચળ-દોષ-યુક્ત મન,
કાલ્પનિક સુવર્ણની સૃષ્ટિ ઉભી કરવા માટે સમર્થ છે.મોહ-રૂપી રાવણ આવા મનનો આશ્રય લે છે.અનેપાપમાં પ્રવૃત્ત થાય છે.મારીચ,એ તાડકાનો દીકરો છે,અને તાડકા એ અવિદ્યાનું પ્રતિક છે.
અવિદ્યામાંથી “હું ને મારું,તું અને તારું” પેદા થાય છે.(તાડકાના બે દીકરા-મારીચ અને સુબાહુ)

“હું ને મારું” તે મારીચ અને “તું અને તારું” એટલે સુબાહુ.(રામે સુબાહુનો વધ કરેલો અને મારીચને છોડેલો)
આ બન્નેને એક સાથે જ મારવા પડે,બેમાથી જો કોઈ એક જીવતું (અહીં મારીચ) રહી જાય તો,
સુવર્ણ-મૃગ બનીને સામે આવે છે.
વિવેક (રામ)નું બાણ અવિદ્યા (તાડકા) ને એક જ પ્રયત્ને મારી શકે છે,
પણ,મન પ્રત્યે કઠોર થઈને --“દોષ-યુક્ત મન” ને (મારીચને) હણ્યા વગર કોઈ છૂટકો નથી.(નહોતો)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE